ગૃહમંત્રી અમિત શાહની ઝારગ્રામ રેલી રદ થતાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે એમની રેલી કરતાં વધારે લોકો તો જેસીબીનું ખોદકામ જોવા માટે અથવા ચાની લારી પર ભેગા થાય છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે
તાજેતરમાં અમિત શાહે રેલી રદ થતાં વર્ચ્યુઅલ રેલીમાં સંબોધન કર્યું હતું
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના ટોચના નેતાઓ છાશવારે પશ્ચિમ બંગાળની મુલાકાત લઈ રેલીઑ કરી રહ્યા છે તો બીજી તરફ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.
અભિષેક બેનર્જીએ કર્યો કટાક્ષ
થોડા સમય અગાઉ ગૃહ મંત્રી અમિત શાહની ઝારગ્રામમાં રેલી હતી જે પાછળથી રદ કરવામાં આવી હતી. આ રેલીના રદ થવા પર તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે મેં રેલીના ફોટા જોયા છે. એકદમ ઓછા લોકો જોવા મળ્યા હતા. આનાથી વધારે લોકો તો જેસીબીનું ખોદકામ જોવા માટે અથવા ચા વાળની દુકાને ભેગા થતાં હોય છે.
પશ્ચિમ બંગાળને 'સોનાર બાંગ્લા' કેવી રીતે બનાવશે
અભિષેક બેનર્જીએ ઉમેર્યું હતું કે ભાજપ ઉત્તર પ્રદેશ, ગુજરાત કે અસમ જેવા પોતાના શાસન હેઠળ રહેલા રાજ્યોને સ્વર્ણિમ રાજ્યોમાં બદલી શક્યું નથી તો પશ્ચિમ બંગાળને 'સોનાર બાંગ્લા' બનાવવાનો વાયદો કઇ રીતે પૂરો કરશે.
અન્ય એક જગ્યાએ તેમણે ટોણો મારતા કહ્યું હતું કે ભાજપ ગાયના દૂધમાંથી સોનું કાઢીને 'સોનાર બાંગ્લા' બનાવવાની યોજના ઘડી રહ્યું છે.
તૃણમૂલ કોંગ્રેસ 250 થી વધારે સીટ જીતશે
પશ્ચિમ મેદીનીપુર જિલ્લાનાં ચંદ્રકોનામાં એક રેલીને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસની રેલીમાં વ્યાપક પ્રમાણમાં જનમેદની જોવા મળી રહી છે તે જોતાં આ ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને 250થી વધારે સીટો જીતીને ફરી સત્તારૂઢ થશે. અન્ય એક રેલીમાં અભિષેકે કહ્યું હતું કે ભાજપ સોનાર યુપી, સોનાર અસમ, કે સોનાર ગુજરાત નથી બનાવી શક્યું હતો સોનાર બાંગ્લા બનાવવાનો વાયદો કેવી રીતે પૂરો કરશે? એવું લાગે છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ગાયના દૂધમાંથી સોનું કાઢી સોનાર બાંગ્લા બનાવશે.
ચૂંટણી પ્રચારમાં લાગેલા ભાજપના નેતાઓમાં અમિત શાહ સોમવારે ઝારગ્રામમાં એક રેલીને સંબોધિત કરવાના હતા પરંતુ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતાં વર્ચ્યુઅલ રેલીમાં સામેલ થયા હતા.