બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / સુરત અને નવસારીમાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
Last Updated: 02:36 PM, 21 July 2026
સુરત જિલ્લામાં ફરી એકવાર અનરાધાર વરસાદ વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે અલથાણ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને લક્ષ્મી હોમ બિલ્ડિંગના ગેટ પાસે વરસાદી પાણી ભરાતા 13 માળની બિલ્ડિંગમાં રહેતા 250થી વધુ પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ADVERTISEMENT

રહીશોએ VTVNEWS સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે બાળકો શાળાએ જઈ શકતા નથી અને લોકો ધંધા-રોજગાર માટે પણ બહાર નીકળી શકતા નથી. સ્થાનિકોએ બિલ્ડર અને સુરત મહાનગરપાલિકા (SMC) સામે રોષ વ્યક્ત કરતાં આરોપ લગાવ્યો છે કે તંત્ર આ વિસ્તારને નીચાણવાળો વિસ્તાર કહીને કોઈ કાયમી કાર્યવાહી કરતું નથી. રહીશોએ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
ADVERTISEMENT
સુરતમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની અસર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. અવિરત વરસાદને કારણે બમરોલી ખાડી ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્વિમિંગ પૂલ જેવી સ્થિતિ સર્જાઈ છે. અલથાણ અને બમરોલી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આકાશી દૃશ્યોમાં જળતાંડવ જોવા મળ્યું છે. ખાડી ભયજનક સપાટી વટાવી ગામ તરફ પાણી ઘૂસતાં બમરોલી તરફ જતો મુખ્ય રસ્તો પણ બંધ થઈ ગયો છે. સ્થાનિક લોકોની મુશ્કેલીઓ VTVNEWSના કેમેરામાં કેદ થઈ છે.
ADVERTISEMENT
જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા અરેઠના મુજલાવ અને બોધનમાંથી પસાર થતી ખાડીમાં પૂર આવ્યું છે. રસ્તો બંધ થતાં માંડવી, અરેઠ અને બારડોલી તરફ જતાં લોકોને લગભગ 20 કિલોમીટરનો વધારાનો ફેરો ફરજિયાત કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં દૈનિક જીવન પ્રભાવિત થયું છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ADVERTISEMENT
બીજી તરફ નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વિજલપોરના વિઠ્ઠલ મંદિર નજીક વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાકભાજી માર્કેટમાં પણ વરસાદી પાણી સાથે ડ્રેનેજનું પાણી ભરાઈ જતાં વેપારીઓ અને ગ્રાહકો પરેશાન બન્યા છે. સતત વરસાદને કારણે માર્કેટની દુકાનોમાં પણ પાણી ઘૂસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે વેપારીઓમાં ચિંતા વધી છે.
ADVERTISEMENT
નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદે સ્થિતિ ગંભીર બનાવી છે. ગણદેવી તાલુકાના ભાટ ગામમાં વરસાદી પાણી ફરી વળતાં ગામમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ગામલોકોનો દાવો છે કે ઝીંગા તળાવને કારણે પાણીનો યોગ્ય નિકાલ થઈ રહ્યો નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પાણીના ઝડપી નિકાલ માટે ઝીંગા તળાવની પાળ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોનું માનવું છે કે પાળ તૂટ્યા બાદ થોડા જ સમયમાં પાણી ઓસરી જશે અને સ્થિતિ સામાન્ય બનશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : જંતર મંતરના વિરોધ પ્રદર્શન પર આરોહીનું નિવેદન, Insta પર સ્ટોરી મૂકી જણાવ્યો પોતાનો મત
ભારે વરસાદને કારણે સુરત અને નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરીને વરસાદી પાણીના ઝડપી નિકાલ અને કાયમી ઉકેલની માંગ કરી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે આગામી દિવસોમાં પણ સ્થિતિ પર તંત્રની નજર રહેશે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.