મુંબઈમાં કોરોનાની સ્થિતિ દેશમાં સૌથી ગંભીર કહી શકાય તેવી છે. એવામાં એક ચોંકાવનરા સમાચાર સામે આવ્યા છે કે શહેરમાં ઓછામાં ઓછા 9000 મેડિકલના વિદ્યાર્થીઓ અને PGના રેસિડેન્ટ ડોકટરોને છેલ્લા 3 મહિનાથી તેમનું સ્ટાઈપેન્ડ મળ્યું નથી.
Directorate of Medical Education and Research (DMER)એ આ મુદ્દે નિવેદન આપતા કહ્યું છે કે આ મુદ્દો બે થી ત્રણ દિવસમાં ઉકેલાઈ જશે. રેસિડેન્ટ ડોક્ટર કુલ ડોકટરોની ટીમનો 80% હિસ્સો છે.
આશરે 5500 જેટલા પોસ્ટ ગ્રેજ્યુએટ રેસિડેન્ટ ડોકટરો અને તેમના સિનિયર મેડિકલ ઓફિસર્સને છેલ્લા દોઢ મહિનાથી તેમના સ્ટાઇપેન્ડ મળ્યા નથી. તેમને મળતા સ્ટાઇપેન્ડની રકમ BMC અને સરકારી મેડિકલ કોલેજો પ્રમાણે અલગ અલગ હોય છે. તેમને છેલ્લે 15 માર્ચે સ્ટાઇપેન્ડ મળ્યું હતું. અત્યાર સુધી 25 જેટલા રેસિડેન્ટ ડોકટરોને કોરોના સંક્રમણ થઇ ચુક્યું છે જયારે સેંકડો ડોકટરોને ક્વોરેનટાઈન કરાયા છે.
વિદ્યાર્થીઓની આપવીતી: સિનિયર ડોકટરો તો રિપોર્ટ જ તપાસે છે; અમે દર્દીઓની સાથે રહીએ છીએ
MBBSની ડિગ્રી લીધા પછી મેડિકલના વિદ્યાર્થીઓને અલગ અલગ જગ્યાએ ઇન્ટર્નશિપ આપવામાં આવે છે. અત્યારે મુંબઈમાં કુલ 3300 જેટલા MBBSના વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં 11000 જેટલું અને BMCની કોલેજમાં 6000 જેટલું સ્ટાઇપેન્ડ મળે છે. આ પૈકીના એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે સિનિયર ડોકટરો તો ફક્ત રિપોર્ટ જોવા માટે જ આવે છે. અમે લોકો જ કોવિડ 19ના દર્દીઓની સાથે આઈસોલેશન વોર્ડમાં રહીએ છીએ અને તેમની ચાકરી કરીએ છીએ.
સ્ટાઇપેન્ડ વધારાની માંગ
હવે વિદ્યાર્થીઓ 30000 જેટલા સ્ટાઇપેન્ડની માંગ કરી રહ્યા છે.એક વિદ્યાર્થીનું કહેવું છે કે તેઓ દિવસના 8 થી 12 કલાક કામ કરે છે. પહેલા તેમને એરપોર્ટ ઉપર યાત્રીઓનું સ્ક્રીનિંગનું કામ સોપેલું હતું હવે તેમને કોવિડ કેર સેન્ટરમાં ફરજ સોપાઈ છે. તેમને દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસ કરીને લક્ષણો ધરાવતા દર્દીઓને શોધવાનું કામ પણ સોપ્યું છે. DMERના ડાયરેક્ટર TP લહાનેનું કહ્યું છે કે તેમણે વિદ્યાર્થીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે અને જલ્દી જ તેનું સમાધાન કરી દેવામાં આવશે.
જન આરોગ્ય અભિયાનના સિનિયર ડોક્ટર અભિજિત મોરેએ આ મુદ્દે નિવેદન આપ્યું હતું કે મહામારીના સમયમાં ડોકટરો એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. બધા રાજકીય નેતાઓને તેમનો પગાર સમયસર મળી જાય છે તો ડોક્ટર કેમ પોતાના પગારથી વંચિત રહી શકે. તેઓ તો વાયરસ સામે ફ્રન્ટ લાઈન વોરિયર તરીકે સૌથી વધુ ખતરામાં છે.