જે ચીજવસ્તુ તમે ખાઈ રહ્યા છો, તે શુદ્ધ જ હોય તેની કોઈ ગેરંટી નથી. હકીકતમાં ખાણી-પીણીની ચીજોમાં ભેળસેળ કરીને લોકોને ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. આંકડાઓ સાફ જણાવે છે કે, છેલ્લા થોડા વર્ષોમાં ભેળસેળયુક્ત, દૂષિત, હલકી ગુણવત્તાના અને નકલી બ્રાન્ડવાળા ખાદ્ય પદાર્થોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે.
તહેવારોની સીઝનમાં તો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને હલકી ગુણવત્તાનો આ કાળો કારોબાર તેની ચરમસીમાએ પહોંચી જાય છે. ભ્રષ્ટ તંત્ર ઉપરાંત સઘન ચેકિંગના અભાવના કારણે ભેળસેળનો આ ધંધો આસમાને પહોંચ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અધિકૃત આંકડાઓ અનુસાર, દર વર્ષે ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો ખાવાના કારણે દુનિયાભરમાં 4.20 લાખ લોકો તેમની જિંદગી ગુમાવે છે. ભારતમાં તો ભેળસેળનું આ કૌભાંડ પુરજોશમાં ચાલી રહ્યું છે.
દર વર્ષે વિશ્વમાં 60 કરોડ લોકો ભેળસેળવાળું ભોજન ખાવાના કારણે બીમાર પડે છે. આટલું જ નહીં, 200થી વધુ પ્રકારની ગંભીર બીમારીઓનું મુખ્ય કારણ પણ ખાદ્ય પદાર્થોમાં કરવામાં આવતી આ ભેળસેળ જ હોય છે. હાનિકારક બેક્ટેરિયા, વાયરસ કે રાસાયણિક પદાર્થોથી અસુરક્ષિત બનેલો ખોરાક લોકોના આરોગ્યને જોખમમાં મૂકે છે.
ખાસ કરીને દાળ, દૂધ, માવા, મસાલા અને લોટમાં સૌથી વધુ ભેળસેળ કરવામાં આવે છે. દેશમાં ફૂડ સિક્યોરીટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 લાગુ છે, જેમાં ભેળસેળ કરતા લોકોને દંડ અને સજા બંનેની જોગવાઈ છે. આપણા દેશમાં 250થી પણ વધારે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી છે, જેમાં 72 રાજ્ય ખાદ્ય પ્રયોગશાળાઓ અને 18 રેફરલ લેબનો સમાવેશ થાય છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ખાસ તહેવારોની સીઝનમાં આ ભેળસેળીયાઓ સક્રિય બનતા હોય છે. શ્રાવણ મહિનાથી શરૂ થતા હિન્દુ તહેવારોમાં ફરસાણ અને મીઠાઈ ખાવાની પરંપરા છે, જેનો ગેરલાભ આ ભેળસેળિયાઓ ઉઠાવતા હોય છે.
ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો કે ભોજન આરોગવાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થવાની શક્યતા છે. ખાસ કરીને લીવર અને કિડનીની સમસ્યા, પેટમાં ગરબડ, ડાયરિયા, કેન્સર, ઉલ્ટી, ઝાડાં, સાંધામાં અસહ્ય પીડા જેવી સમસ્યાઓ થઈ શકે છે.