ભારતમાં એક મોટો વર્ગ ડિજિટલ સાધનોનો ઉપયોગ કરે છે. કમનસીબે આ સાધનોની એપ્સ વડે લીક થઇ રહેલી તેમની અંગત માહિતીના મુદ્દા પ્રત્યે તેમણે આંખ આડા કાન કરી લીધા છે. હાલમાં થયેલા વૉટ્સએપ સ્પાયવેર કૌભાંડ પછી આ પરિસ્થિતિ બદલાય એ અતિશય જરૂરી છે.
આપણે રોજ મોટી સંખ્યામાં એપ્સ ડાઉનલોડ કરીએ છીએ. આ એપ્સ આપણો ગોપનીય ડેટા ફક્ત પોતે જ નથી વાપરતી પરંતુ વિદેશની કંપનીઓને પણ શેર કરે છે. આ ડેટા વડે આપણને ટાર્ગેટેડ એડવર્ટાઈઝીસ બતાવવામાં આવે છે.
વળી આ અંગત માહિતીના કલેક્શનને ઘણા રાજકીય નેતાઓ અને જજ દેશના નાગરિકોની સુરક્ષા માટે જરૂરી ગણાવે છે. આ પ્રકારના અભિગમથી આ બાબત ખુબ હકારાત્મક લાગે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે પ્રજા તરીકે આપણે બંધારણે સુરક્ષિત કરેલા મૂળભૂત પ્રાઇવસીના અધિકારથી વંચિત રહીએ છીએ.
હાલની ઘટનામાં વોટ્સએપમાં NSO ગ્રુપ નામની ઇઝરાયેલી કંપનીએ બનાવેલ "પેગાસસ" નામનો સ્પાયવેર ભારતના સ્માર્ટફોન યુઝર્સના ફોન્સમાં વોટ્સએપ મિસ કોલ વડે નાખવામાં આવી રહ્યો છે. NSO ગ્રુપે તેમના બચાવમાં કહ્યું હતું કે તેઓએ આ સ્પાયવેર ફક્ત સરકાર દ્વારા ઓથોરાઇઝ કરેલી સંસ્થાઓને જ વેચ્યો હતો.
પરંતુ CitizenLab નામની કેનેડાની લેબ વડે થયેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે આ સ્પાયવેરનો ઉપયોગ એક્ટિવિસ્ટ્સ, પત્રકારો અને માનવ અધિકારના લોકો સામે થઇ રહ્યો હતો. આ ઘટનાએ સરકારના ઈરાદાઓ અને 2017ના Right to Privacy ચુકાદા ઉપર એક મોટો પ્રશ્નાર્થ મૂકી દીધો છે.
આઝાદી પછી ભારત હંમેશાથી માહિતીની જાસૂસીના મામલામાં ગાફેલ રહ્યું છે અને તેને લગતો કાયદો બનાવવાની કોઈએ તસ્દી લીધી નહોતી. 1996ના ફોન ટેપિંગ કેસ પછી સુપ્રીમ કોર્ટે આને લાગતો કાયદો ઘડ્યો હતો.
આ મામલાઓમાં સૌથી ચિંતાની વાત એ રહે છે કે આ સર્વેલન્સના સૌથી વધુ દુરુપયોગ સરકાર વડે કરવામાં આવે છે અને ત્યારબાદ આની તાપસ પણ સરકારને જ સોંપાય છે. આથી તમામ ભીનું સફળતાપૂર્વક સંકેલી લેવાય છે અને દોષીને ક્યારેય દંડી શકાતા નથી.
અહીં એ પણ નોંધનીય છે કે આ કાયદાઓ એનાલોગ અને વાયરવાળી ફોનલાઈન માટે બનેલા છે જેમાં સ્માર્ટફોન્સના પર્સનલ ડેટાને લગતો ઉલ્લેખ નથી. આ જ કરંતી આ વર્ષે જયારે સરકારી ઇન્ટેલીજન્સ એજન્સીઓએ જયારે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ શરુ કરવાની પરવાનગી મેળવી હતી ત્યારે તેનો વિરોધ ફાટી નીકળ્યો હતો.
આ તમામ વિવાદમાં સરકારે મૌન જાળવી રાખ્યું છે. અહીં નોંધનીય છે કે દુનિયાની મોટા ભાગની લોક્શાહીઓએ આવી સરકારી ઇન્ટેલીજન્સ સંસ્થાઓને પણ કાયદાના દાયરામાં રાખ્યા છે.
આની સામે સરકારે એન્ડ ટુ એન્ડ પ્રાઇવસી અને ટેક્નિકલ સુરક્ષા આપતા મેસેજ એન્ક્રીપશનનો વિરોધ કર્યો છે જેથી તેઓ સર્વેલન્સ રાખી શકે. અહીં નાગરિકોને કાયદાકીય સુરક્ષા ન મળતી હોવાના કારણે સરકાર આ પ્રકારના પગલાં ભરવા માટે પ્રેરાય છે. આ પ્રકારના અભિગમથી લોકોમાં અવિશ્વાસ અને દ્વેષનું વાતાવરણ ફેલાય છે.
આજે દેશમાં ડેટાને ક્રૂડ ઓઇલ સાથે સરખાવાય છે. આ શબ્દ ડેટા વેચનારાઓની ખોરી દાનત બતાવે છે. હાલના આ વોટ્સએપ કૌભાંડની નિષ્પક્ષ તપાસ થાય અને આરોપીઓને સજા મળે તે ખુબ જરૂરી છે. ત્યારબાદ લાંબા ગાળા માટે આ બાબતને લગતા કાયદાકીય સુધારા થાય અને આ કાયદાઓમાં સરકાર અને ખાનગી ક્ષેત્ર બંનેને આવરી લેવાય એ ખુબ જરૂરી છે.