આ કપરા કોરોનાકાળમાં એક તરફ સ્કૂલ-કોલેજ ફરીથી ખોલવાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ જોરશોરથી ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. હવે ધીમે ધીમે ઓનલાઈન શિક્ષણનાં કેટલાંક દુષ્પરિણામો સામે આવવાનું શરૂ થઈ ગયું છે.
કોરોનાકાળમાં સ્કૂલ-કોલેજ ફરીથી ખોલવાની થઇ શરૂઆત
સર્વેક્ષણમાં થયો ચોંકાવનારો ખુલાસો
ઓનલાઇન શિક્ષણ પદ્ધતિ બોજ સમાન
આ જ કારણે સંયુક્ત રાષ્ટ્રએ પણ ચેતવણી આપી છે કે, ઓનલાઈન માધ્યમ બાળકોને યૌનશોષણ અને અન્ય વિકૃતિઓ તરફ લઈ જાય તેવી પણ આશંકા છે. યુનેસ્કોએ કહ્યું છે કે, આ વિચારવું ભ્રમ છે કે ઓનલાઈન માધ્યમ તમામ માટે આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે. હવે આ પ્રકારના શિક્ષણની અસર બાળકોની આંખો પર પણ પડવા લાગી છે.
તાજેતરમાં થયો સર્વેક્ષણ
તાજેતરમાં જ જારી થયેલા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી)ના એક સર્વેક્ષણમાં એક તરફ સંસાધનોની અછત ઉજાગર થઈ તો બીજી તરફ શિક્ષણ પ્રક્રિયાની પોલ પણ ખુલી ગઈ. ૨૭ ટકા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન કે લેપટોપ નથી. ૨૮ ટકા વિદ્યાર્થીઓએ તેમના વિસ્તારોમાં વારંવાર લાઈટ જતી રહેતી હોવાની ફરિયાદ કરી. સર્વે અનુસાર, ૩૬ ટકા વિદ્યાર્થીઓ પુસ્તકોનો જ ઉપયોગ કરી રહ્યા છે. આ સર્વે કેન્દ્રીય વિદ્યાલયો, નવોદય વિદ્યાલયો અને સીબીએસઈ સંલગ્ન સ્કૂલો પર કરવામાં આવ્યો હતો.
ઓનલાઈન અભ્યાસ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી
જોકે હાલના સમયે ઓનલાઈન અભ્યાસ સિવાય અન્ય કોઈ વિકલ્પ નજરે પણ પડતો નથી. બાળકો સાથે સંબંધિત સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનિસેફના એક રિપોર્ટમાં જણાવાયું છે કે, દુનિયાભરના ૪૬.૩૦ કરોડ બાળકો લોકડાઉનમાં શાળાઓ બંધ થઈ ત્યારથી જ શિક્ષણથી વંચિત છે. લગભગ ૧૦૦ દેશોની સ્થિતિનો ચિતાર આપતા આ રિપોર્ટ પ્રમાણે, સ્કૂલ બંધ થવાથી દુનિયાભરના લગભગ દોઢ અબજ બાળકોને નુકસાન થયું છે.
શિક્ષણ પદ્ધતિ બોજ સમાન
ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ શિક્ષકો માટે પણ મોટો પડકાર છે. તેમણે ખૂબ મહેનત કરવી પડે છે અને છતાં પણ ઘણી વખત તેમને જશ મળવાના બદલે અપજશ મળતો હોય છે. આ કારણે જ શિક્ષકોમાં પણ બાળકોને કંઈક નવતર શિખવવાનો ભાવ ઓછો અને પોતાની જવાબદારી પૂર્ણ કરવાનો ભાવ વધુ દેખાઈ રહ્યો છે.ઓનલાઈન શિક્ષણ પદ્ધતિની સૌથી મોટી ખામી એ છે કે, નાના બાળકો તેમાં પૂરી રીતે જોડાઈ શકતા નથી. તેમને આ શિક્ષણ પદ્ધતિ બોજ સમાન લાગે છે.
ઘણી શાળાઓમાં તો વોટ્સએપ પર એક જ દિવસમાં કોઈ એક વિષયના આઠ-દસ પેજ મોકલીને બાળકોને આ હોમવર્ક પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવે છે. એક સાથે આટલું હોમવર્ક બાળકને અંદરથી ડરાવી દે છે અને તે શિક્ષણથી દૂર ભાગવા લાગે છે. એ વાત પણ દુર્ભાગ્યપૂર્ણ છે કે, આજે નાના બાળકો માટેના ઓનલાઈન શિક્ષણને વધુ સર્જનાત્મક અને રસપ્રદ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા નથી. સર્જનાત્મકતાના માધ્યમથી જ બાળકોમાં શિક્ષણ પ્રતિયે રસ-રુચિ જાગ્રત કરી શકાશે. આ સમસ્યા માટે મોટાભાગે સ્કૂલોનું મેનેજમેન્ટ પણ જવાબદાર છે. મોટાભાગની ખાનગી સ્કૂલોનું મેનેજમેન્ટ શિક્ષકોને પોતાના ‘ગુલામ’ સમજે છે. આ કારણે તેઓ શિક્ષકો પર સાવ અવ્યવહારુ નિર્ણયો પણ થોપી દેતા હોય છે. આ મામલે સરકારી સ્કૂલોનું વલણ તો સાવ પરંપરાગત અને ‘સરકારી’ જ છે.
ગામડાંના બાળકો વિશે પણ વિચારવું જ પડશે
ઓનલાઈન શિક્ષણની આ પ્રક્રિયામાં આપણે ગામડાંના બાળકો વિશે પણ વિચારવું જ પડશે. હજુ સુધી આ પ્રક્રિયામાં આપણું ધ્યાન ગામડાંનાં બાળકો પર સાવ ગયું જ નથી. મૂળ વાત એ છે કે, નાનાં બાળકો માટે ઓનલાઈન શિક્ષણને વધુ વ્યવહારુ અને વૈજ્ઞાનિક બનાવવું જોઈએ. વિશ્વવ્યાપી આપત્તિની આ ઘડીમાં આપણે ફક્ત એ વાત વિશે જ ના વિચારવું જોઈએ કે શિક્ષણના મામલે બાળકોને નુકસાન થઈ રહ્યું છે. આપણે એ પણ વિચારવું જોઈએ કે, આ નુકસાનની ભરપાઈ વ્યવહારુ પદ્ધતિથી કઈ રીતે થઈ શકે તેમ છે. આ કપરા કાળમાં આપણે બાળકો પર આપણા મનસ્વી નિર્ણયો થોપી દેવાના બદલે તેમને સમજીને તેમની સાથે ઊભા રહેવું જોઈએ.
હાલ ઓનલાઈન શિક્ષણ ભલે અનિવાર્ય હોય પણ તેને રસપ્રદ બનાવવાની જવાબદારી શિક્ષકો અને સ્કૂલોની છે. વાલીઓએ પણ તેમના બાળકોને આ સિસ્ટમથી થઈ રહેલી સમસ્યાઓ સ્કૂલો સામે મૂકવી જોઈએ, જેથી તેનો કોઈ નક્કર હલ નીકળે અને બાળકો ફરી એક વખત શિક્ષણ-અભ્યાસને પ્રેમ કરતા થઈ જાય.•