બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:30 PM, 17 June 2026
ભારતીય સંસદના ઇતિહાસ અને લોકશાહીના મેદાન પરથી આ સમયના સૌથી મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યસભાના 6 સભ્યોએ ગૃહમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વિરૂદ્ધ સંયુક્ત રીતે વિશેષાધિકાર ભંગની નોટિસ રાજ્યસભાના સભાપતિને સોંપી છે. ભાજપના સાંસદોનો આરોપ છે કે ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અત્યંત અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે, જે સંસદ અને તેના સભ્યોની ગરિમા તેમજ સંસદીય પરંપરાઓની તદ્દન વિરૂદ્ધ છે. નોટિસ મળ્યા બાદ રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને મામલાની ગંભીરતાને જોઈને તેને તપાસ અને રિપોર્ટ માટે પ્રિવિલેજ કમિટીને મોકલી આપ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભાજપના વરિષ્ઠ સાંસદો બ્રિજલાલ, મિથિલેશ કુમાર, સુમિત્રા વાલ્મિકી, શિવેશ કુમાર, સિકંદર કુમાર અને નાગેન્દ્ર રાયે સંયુક્ત રીતે આ નોટિસ આપી છે. આ નોટિસ રાજ્યસભાની કાર્યવાહી નિયમાવલીના નિયમ 188 હેઠળ દાખલ કરવામાં આવી છે. રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદી દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર સૂચના અનુસાર, સભાપતિએ 16 જૂન 2026 ના રોજ નિયમ 203 હેઠળ આ કેસને તપાસ માટે સમિતિ પાસે મોકલ્યો છે. રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ આ વિશેષાધિકાર સમિતિના અધ્યક્ષ છે. સમિતિના અન્ય સભ્યોમાં સુધાંશુ ત્રિવેદી, દીપક પ્રકાશ, સુમેરસિંહ સોલંકી, સુરેન્દ્રસિંહ નાગર, મનન કુમાર મિશ્રા અને અપક્ષ સાંસદ કાર્તિકેય શર્મા સામેલ છે. કમિટી હવે આ આખી ફરિયાદની ઝીણવટભરી તપાસ કરીને પોતાનો રિપોર્ટ સભાપતિને સોંપશે.

ADVERTISEMENT
વાસ્તવમાં, આ વિવાદ મંગળવારે ત્યારે શરૂ થયો જ્યારે ખડગેએ NEET-UG 2026 ની ફરીથી યોજાનારી પરીક્ષા પહેલા સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર સરકાર દ્વારા લાદવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધો પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારે પરીક્ષાનું લીક થયેલું મટીરિયલ ફેલાતું અટકાવવા માટે ટેલિગ્રામનો એક્સેસ બ્લોક કર્યો હતો અને મેસેજ-એડિટિંગ ફીચર્સ બંધ કર્યા હતા. સરકારના આ પગલાની તીવ્ર આલોચના કરતા ખડગેએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર પરીક્ષાની ગેરરીતિઓ અને પેપર લીક રોકવામાં પોતાની નાકામી છુપાવવા માટે આવા હથકંડા અપનાવી રહી છે. ભાજપના સાંસદોના મતે, ખડગેની ટિપ્પણીઓ ઉચ્ચ ગૃહના વિપક્ષના નેતા જેવા પ્રતિષ્ઠિત પદને શોભે તેવી નથી.
ADVERTISEMENT
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકારને ઘેરતા ગંભીર આક્ષેપ કર્યો હતો કે, પાછલા 10 વર્ષોમાં દેશમાં આશરે 90 જેટલી પેપર લીકની ઘટનાઓ બની છે, જેનાથી દેશના અંદાજે 90,000,000 (9 કરોડ) યુવાનોનું ભવિષ્ય પ્રભાવિત થયું છે. તેમણે કહ્યું કે, ભારતીય વાયુસેના (IAF) નો ઉપયોગ કરવો, ટેલિગ્રામ બ્લોક કરવો કે નાના આરોપીઓ પર એક્શન લઈને અસલી પેપર લીક માફિયાઓને બચાવવાનો પ્રયાસ કરવો એ સરકારની લાચારી દર્શાવે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : 'મોદી શાંત, સંયમિત અને જબરદસ્ત... હું એમના જેવો નહીં' ટ્રમ્પે PMના કર્યાં ભરપૂર વખાણ
ખડગેએ દાવો કર્યો હતો કે નીટ, એસએસસી (SSC), યુજીસી નેટ (UGC-NET) જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાં સતત થતી ગેરરીતિઓના કારણે લાખો પરિવારો આર્થિક દેવામાં ડૂબી ગયા છે અને અનેક યુવાનો માનસિક તણાવમાં આવીને આત્મહત્યા જેવા આકરા પગલાં ભરી રહ્યા છે. તેમણે સીબીએસઈ (CBSE) પરીક્ષાના પરિણામો અને યુપીએસસી (UPSC) પરીક્ષા પર ઉઠી રહેલા સવાલોનો ઉલ્લેખ કરીને દેશની શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે આંગળી ચીંધી હતી અને માંગ કરી હતી કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આ તમામ બાબતોની જવાબદારી સ્વીકારીને તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપે. હવે આ મામલો સંસદીય સમિતિ પાસે હોવાથી આગામી દિવસોમાં રાજકારણ વધુ ગરમાય તેવા એંધાણ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.