ઈજાના કારણે રોહિત શર્માની ઑસ્ટ્રેલિયા વનડે અને ટી 20 શ્રેણી માટે ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતીય. આવામાં હવે વિરાટ કોહલીએ કહ્યું છે કે તે આઈપીએલમાં રમતો જોવા મળ્યો હતો ત્યારે લાગ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આવશે.
ઑસ્ટ્રેલિયા સામે સિડની વનડે પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્માના મુદ્દે ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રોહિત શર્મા ઑસ્ટ્રેલિયા કેમ નથી આવ્યો તે તેમને ખબર નથી. કોહલીએ કહ્યું કે તેમને લાગ્યું કે રોહિત શર્મા પણ તેની સાથે ઑસ્ટ્રેલિયા ટૂર દરમ્યાન ફ્લાઇટમાં હશે.
ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2020 ના અંત પછી રોહિત શર્મા મુંબઇ પરત ફર્યો હતો અને ટીમ ઈન્ડિયા ત્યાંથી ઑસ્ટ્રેલિયા પ્રવાસ માટે પહોંચી હતી. BCCIએ કહ્યું હતું કે રોહિત શર્મા ફીટ નથી અને તેથી જ તેને વનડે અને ટી 20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું નથી. જો કે હવે વિરાટ કોહલીએ રોહિત શર્માના મુદ્દે મોટી વાત કહી દીધી છે.
રોહિત શર્મા પર વિરાટ કોહલીનું મોટું નિવેદન
સિડની વનડે પહેલા વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માને લગતા સવાલ પર વિરાટ કોહલીએ કહ્યું હતું કે, 'રોહિત શર્માને પસંદગી સમિતિની બેઠક પૂર્વે કહેવામાં આવ્યું હતું કે તેને મોટી ઈજા થઈ શકે છે અને તેથી તેને ઓસ્ટ્રેલિયા વનડે અને ટી 20 શ્રેણી માટે ટીમમાં તેની પસંદગી કરવામાં આવી રહી નથી પરંતુ આ પછી રોહિત શર્મા આઈપીએલમાં રમતા દેખાયો હતો. આવી સ્થિતિમાં મને લાગ્યું કે હવે તે ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર અમારી સાથે હશે પરંતુ તે બન્યું નહીં. અમને રોહિત શર્મા મુદ્દે કોઈ માહિતી આપવામાં આવી નથી.
BCCIએ રોહિત શર્માની માહિતી વિરાટ કોહલીથી કેમ છુપાવી હતી?
કોહલીએ કહ્યું, 'પસંદગી સમિતિની બેઠક પહેલાં અમને એક ઇમેઇલ મળ્યો હતો કે તે ઉપલબ્ધ નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે આઈપીએલ દરમિયાન તેને ઈજા થઈ હતી. એવું કહેવામાં આવ્યું છે કે તેને ઈજાને લગતી માહિતી આપવામાં આવી છે અને તે સમજી ગયો છે અને તે હવે નહીં રમી શકે. પગમાં માંસપેશીઓમાં ઈજામાંથી બહાર આવી રહેલ રોહિત બેંગલુરુની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે અને હવે તેને સંપૂર્ણ મેચ ફિટનેસ હાંસલ કરવામાં ત્રણ સપ્તાહ જેવા લાગશે પરંતુ 14 દિવસ ટ્રેનિંગ વિનાના ક્વૉરન્ટાઈનને કારણે તે ટેસ્ટ સીરીઝની બહાર થઈ ગયો છે.