કેન્દ્રીય બજેટ નજીક છે ત્યારે રાજ્યના અર્થતંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવતા નાના અને મધ્યમ યુનિટો મોટી જાહેરાતોની આશા રાખી રહ્યા છે.
સિનિયર સિટીઝનને લાભ મળશે
GSTના સ્લેબમા સુધારો કરવાની માગ
"નાના ઉદ્યોગકારોને યોગ્ય પેકેજ મળે"
કોરોના કાળમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ આવી રહેલા કેન્દ્ર સરકારના પ્રથમ બજેટ પર વાપીના હજારો ઉદ્યોગો મીટ માંડીને બેઠા છે...આ વખતેના બજેટમાં વાપીના ઉદ્યોગો GSTના સ્લેબમાં સુધારો કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. સાથે જ નાના અને મધ્યમ કદના ઉધોગોને અગાઉ જે રીતે સરકારે પેકેજ જાહેર કરેલા છે. તેવી જ રીતે આ વખતના બજેટમાં પણ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને વધારે રાહત આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે
રાજ્યમાં કૃષિ અને બાંધકામ ઉદ્યોગ બાદ સૌથી મોટા પ્રમાણમાં રોજગારી આપતો ટેક્સ્ટાઇલ ઉદ્યોગ કેન્દ્રીય બજેટમાં આત્મનિર્ભર ભારત થિમ હેઠળ મોટી રાહતની અપેક્ષા રાખે છે. ગુજરાત જિનિંગ, સ્પિનિંગ, વિવિંગ અને ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગમાં મજબૂત સ્થાન ધરાવે છે અને રેડિમેડ ગાર્મેન્ટના મામલે બાંગ્લાદેશ જેવા દેશો સામે ટક્કર લઇ શકતું નથી ત્યારે જો સરકાર દ્વારા બાંગ્લાદેશથી થતી ગાર્મેન્ટ આયાત પર ડ્યૂટી લાગુ કરવામાં આવે તો રાજ્યમાં ઉદ્યોગ વધારે ઝડપથી પ્રગતિ કરશે. ઉપરાંત, સરકાર સામાન્ય લોકો માટે કરવેરામાં રાહત જાહેર કરે તો લોકોની ખરીદશક્તિ વધશે અને સરવાળે કાપડનું વેચાણ વધશે એમ ઉદ્યોગના અગ્રણીઓ જણાવે છે
સિનિયર સિટીઝનને લાભ મળશે
નાણાંમંત્રી નિર્મલા સીતારમણ ગત વર્ષે નવી ટેક્સ વ્યવસ્થા લઈને આવ્યા હતા. જોકે ખૂબ જ ઓછા લોકોએ આ વિકલ્પને પસંદ કર્યો છેે. કારણ એ છે કે, તેમાં NPSમાં 50,000 સિવાય કોઈ છુટ નથી. નવી ટેક્સ વ્યવસ્થાને આકર્ષક બનાવવા માટે નિયમોમાં થોડા ફેરફાર કરવામાં આવી શકે છે. લોકોને રાહત આપવા માટે તેમાં પ્રોવિડન્ટ ફન્ડ(PF) અને લીવ ટ્રાવેલ કન્સેશન એટલે કે LTC પર ટેક્સ છૂટ અપાઈ શકે છે.
બજેટમાં કરવેરામાં રાહતની આશા
કોરોના મહામારીના કારણે પગારદાર વર્ગ પર ઘણી વિપરિત અસર થઇ છે.. સામાન્ય લોકોની ખરીદશક્તિ ઘટી છે ત્યારે પગારદાર વર્ગ બજેટમાં કરવેરામાં રાહતની આશા રાખે છે. કરવેરા નિષ્ણાતો માને છે કે, સરકારે પગારદાર વર્ગની બચત વધી શકે તે માટે 80(સી)ના રોકાણોની મર્યાદા વધારવી જોઇએ. આ ઉપરાંત 5 લાખથી વધુ આવક ધરાવતા લોકો 20 ટકા ટેક્સ સ્લેબમાં આવે છે તેમાં પણ પરિવર્તન કરવા માટે નવા ટેક્સ રેજિમને અમલી બનાવી લાભ આપવો જોઈએ. કોર્પોરેટ કંપનીઓની જેમ જ પ્રોફેશનલ્સ કે વ્યક્તિગત કરદાતાને પણ 22 ટકાના દરમાં આવરી લેવા જોઇએ એવી માંગ ટેક્સ નિષ્ણાતો કરી રહ્યા છે.
કેન્દ્રીય બજેટને લઈને GCCIની અપેક્ષા
GCCI મોટી જાહેરાતોની આશા રાખી રહ્યું છે. GCCI દ્વારા કોર્પોરેટ કંપનીઓની જેમ જ પાર્ટનરશીપ કંપનીઓ અને એલએલપીને પણ 22 ટકાના ટેક્સ સ્ટ્રક્ચરનો લાભ આપવામાં આવે. ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે મહત્ત્વની યોજનાઓ તથા એમએસએમઇ કંપનીઓ માટે સરળ બેન્કિંગ ફાઇનાન્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે...સાથે જ એમએસએમઇ કંપનીઓ કોરોના લોકડાઉન બાદ મુશ્કેલીમાં છે ત્યારે તેમને વર્કિંગ કેપિટલ ઉપરાંત આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ખાસ પ્રોત્સાહનો આપવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે
બજેટને લઇ નાના ઉદ્યોગકારોને આશા
MSME યુનિટો માટે બેન્ક ફાઇનાન્સ મોટી સમસ્યા છે ત્યારે સરકાર સરળ ફાઇનાન્સ માટે કોઇ સ્કિમ લાવે તેવી માંગ રાજ્યના 2.50 લાખ જેટલા ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન્સેએ કરી છે. ઉપરાંત આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારતમાં વિશ્વ કક્ષાની પ્રોડક્ટ્સ તૈયાર કરવા માટે આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી પણ જરૂરી બને છે ત્યારે આ પ્રકારની ટેક્નોલોજી મેળવવા માટે પણ સરકાર કોઇ સબસિડી આપે તેવી માંગ એમએસએમઇ ઉદ્યોગો કરી રહ્યા છે.