બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતનું એવું જ્યાં ગામ લોકોએ સૂકા રણને ઓઢાડી લીલી ચાદર, દેવાય છે દાખલા
Last Updated: 07:08 PM, 5 June 2024
સમગ્ર વિશ્વમાં ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધારવાનો છે. પર્યાવરણના જતન માટે સરકાર તરફથી અનેકવિધ પહેલ કરવામાં આવી છે. જેના કારણે આજે રાજ્યમાં વૃક્ષ આવરણમાં વધારો જોવા મળે છે. વિષમ પરિસ્થિતિ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો શુષ્ક અને સૂકો ભઠ્ઠ પ્રદેશ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર બાવળ જ જોવા મળે છે. આ પ્રદેશમાં લીલોતરી અથવા હરિયાળા ગામની કલ્પના કરવી એ દીવાસ્વપ્ન સમાન છે. પરંતુ સરકાર અને ગામ લોકોના સહયોગથી આ અશક્ય કાર્ય પણ રણ પ્રદેશમાં શક્ય બન્યું છે અને માલણપુર ગામમાં ઘટાદાર સાત હજારથી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે.
ADVERTISEMENT

ગામમાં સાત હજારથી પણ વધારે વૃક્ષો લહેરાઈ રહ્યા છે
ADVERTISEMENT
માલણપુરના લોકોએ વૃક્ષો વાવીને સૂકા રણને જાણે એક લીલી ચાદર ઓઢાડી છે. સૂકા વિસ્તારને લીલોછમ્મ બનાવવાના આ ભગીરથ કાર્યમાં સમસ્ત ગ્રામજનોનો અગત્યનો ફાળો છે જેના કારણે માલણપુર ગામના લોકો આજે ગરમીમાં પણ ગામના પાદરે વૃક્ષ નીચે બેસીને ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે. ગ્રામજનોએ ગામમાં બિનપિયત યોજનાનો લાભ લઇ ગામમાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું. ગામ લોકોએ ઉનાળામાં પણ વૃક્ષોને પાણી આપી તેનું જતન કર્યું છે. જેના પરિણામે આજે ગામમાં સાત હજારથી પણ વધારે વૃક્ષો લહેરાઈ રહ્યા છે. આ ગામની વસ્તી અંદાજે 1200 થી 1300 ની આસપાસ છે. જ્યારે ગામમાં વૃક્ષોની સંખ્યા સાત હજારથી વધારે છે.

ADVERTISEMENT
ગામનાં એક વ્યક્તિએ પાંચથી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે
ગામનાં એક વ્યક્તિએ પાંચથી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે. વૃક્ષોના કારણે આજે ગામમાં પક્ષીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. ગામનું આખું વાતાવરણ પહેલા કરતાં બદલાઈ ગયું છે. સરકારની રોડ સાઇડ વાવેતર યોજનાનો લાભ લઈને રોડ પરથી ગામમાં પ્રવેશતા અંદાજે ૧.૫ કિલોમીટરથી પણ વધારે વિસ્તારોમાં પાંજરા ગોઠવી વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ વૃક્ષોને ગ્રામજનોએ ઉનાળાના સમયમાં પણ પાણીના ટેન્કર મારફતે પાણી આપીને તેનું જતન કર્યું છે. આજે એ બધાં જ વૃક્ષો મોટા ઘટાદાર થઈ ગયા છે. ગામમાં પ્રવેશતા જ રસ્તાની બંને બાજુએ વૃક્ષોની હારમાળા તમારૂ સ્વાગત કરવા ઉભી હોય. એવો અનુભવ થાય છે કે આપણે નાના રણમાં નહીં પણ કોઈ હરિયાળા વિસ્તારમાં છીએ.
ADVERTISEMENT

આ ગામ રણ વિસ્તારની નજીક આવેલું છે
ADVERTISEMENT
આ ગામ રણ વિસ્તારની નજીક આવેલું ગામ છે. બીજા વિસ્તારોમાં જ્યારે તાપમાન 44 ડિગ્રી તાપમાન હોય ત્યારે પાટડી તાલુકાનાં આ વિસ્તારમાં સરેરાશ તાપમાન ૪૭ થી ૪૮ ડિગ્રી હોય છે. પરંતુ માલણપુર ગામમાં વૃક્ષોના લીધે તાપમાનમાં પણ ઘટાડો અનુભવાય છે. જેના પરિણામે આજે લોકો ગરમીથી પણ રાહત મેળવી રહ્યા છે. ગામના દરેક ઘરે બે થી ત્રણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગામ લોકોએ સંકલ્પ કર્યો છે કે દર વર્ષે ગામમાં નવા એક હજાર વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવો. આ આખું ગામ પર્યાવરણ પ્રેમી છે અને વૃક્ષોનું જતન પણ કરે છે.
45 થી 46 ડિગ્રી ગરમીમાં પણ ગામ લોકોને મળી રહે છે ઠંડક
ADVERTISEMENT
ગામમાં આટલા બધા વૃક્ષોને કારણે અત્યારે ૪૫ થી ૪૬ ડિગ્રી તાપમાનમાં પણ ગરમીનો અહેસાસ થતો નથી. દરેક લોકો વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરે એવો સંદેશ આ ગામ આપે છે. માલણપુર ગામમાં યુવાનો, વડીલો અને સર્વ સમાજના લોકોએ સાથે મળીને વૃક્ષોનો ઉછેર કર્યો છે. સામાન્ય રીતે લોકો વૃક્ષો વાવીને મૂકી દે છે પરંતુ આ ગામના લોકોએ સતત ત્રણથી ચાર વર્ષ મહેનત કરી તેનું જતન કર્યું છે. અને આજે ગ્રામજનોને તેનું સુંદર ફળ મળી રહ્યું છે. આજના સમયમાં વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓના કારણે પીડાઈ રહ્યું છે ત્યારે માલણપુર ગામે હરિયાળા વૃક્ષો વાવીને લોકો સમક્ષ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.