ભાઇ-બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધન. દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે.
આ વખતે આ તહેવાર આવતીકાલે એટલે કે 15મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઇના કાંડા પર રાખડી બાંધીને તેને જીવનમાં ડગલે-પગલે ખૂબજ સફળતા મળે તે માટે મનોકામના કરે છે. તો બીજી તરફ ભાઇ પણ પોતાની લાડકવાઇ બહેનને ભેટ આપીને તેનું રક્ષણ કરવાનુ વચન આપે છે. હાલમાં પોતાના ભાઇને રાખડી બાંધવા માટે બહેનો બજારમાં જઇને રાખડીઓની ખરીદી કરતી જોવા મળે છે, ત્યારે ભૂજની બજારમાં તદ્દન નવા પ્રકારની- ગાયના ગોબરની રાખડી પણ જોવા મળી રહી છે.
ભૂજ નજીકના કુકમા ખાતે આવેલા રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા પ્રાકૃતિક, ગાય આધારિત ખેતી માટે સંશોધન થાય છે, તે માટેની તાલીમ આપવામાં આવે છે. અહીં આ વર્ષે ગાયના ગોબરમાંથી લગભગ 5000 રાખડીઓ બનાવવામાં આવી છે. ગાયનું ગોબર આરોગ્યની દૃષ્ટિએ ખૂબ સારૂં માનવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાને આપેલી સાબિતી અનુસાર, ગોબરના કારણે માનવઉર્જામાં વધારો થાય છે.
ગોબરમાંથી બનતી રાખડીમાં ગૌમૂત્ર, તુલસીના માંજર અને ગુવાર ગમનો ઉપયોગ કરવામાં આવે છે. 95 ટકા ગાયનું ગોબર અને રાખડીના બનાવવા માટે ગુવાર ગમનો ઉપયોગ થાય છે. આ રાખડીનું નામ સંજીવની રાખડી રાખવામાં આવ્યુ છે. ગાયના છાણનો માવો બનાવીને, તેને રાખડીનો આકાર આપીને તેને સુકવીને મશીનથી તેનું ફિનિશિંગ કરવામાં આવે છે. શણગાર માટે તેમાં રંગ પણ પૂરવામાં આવે છે.
કુકમા અને આસપાસની ગામોની કન્યાઓ અને ટ્રસ્ટના 7થી 8 લોકો દોઢ મહિનાથી આ રાખડી બનાવતા હતા.આ પ્રકારની રાખડી બનવાથી લોકોમાં ગાયોનું જતન કરવાની અને ગોબરના બહુવિધ ઉપયોગ અંગે જાગૃતિ આવશે તેવું સંસ્થાના પ્રમુખ મનોજભાઇ સોલંકી દ્વારા માનવામાં આવે છે. ગત વર્ષે આવી 2000 રાખડીઓ વેચાઇ હતી અને આ વર્ષે 5000 રાખડી બનાવવામાં આવી છે.
ગોબર અને ગૌમૂત્રનું સુરક્ષા કવચ માનવ શરીરની જાળવણી પણ કરે છે.ગોબરમાંથી રાખડી ઉપરાંત તોરણ, ઘડિયાળ, અરીસા, શોપીસ, ગણપતિની મૂર્તિ, પેનસ્ટેન્ડ વગેરે વસ્તુઓ પણ બનાવવામાં આવે છે.