બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શિક્ષકે લાફો મારતા ધોરણ-10ના વિદ્યાર્થીનો કાનનો પડદો તૂટ્યો, અમદાવાદની સ્કૂલની ઘટના
Last Updated: 08:02 PM, 29 June 2026
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં ધોરણ-10ના વિદ્યાર્થીને શિક્ષકે મારેલા લાફાથી ગંભીર ઇજા પહોંચી હોવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીના પરિવારના આક્ષેપ મુજબ, તમાચાના કારણે તેના ડાબા કાનનો પડદો ફાટી ગયો છે અને હાલ તે કાનથી સાંભળવામાં મુશ્કેલી અનુભવી રહ્યો છે. ઘટનાને પગલે પરિવાર દ્વારા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યારે શાળા સંચાલન અને શિક્ષણ વિભાગે પણ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
પીટીના પિરિયડ દરમિયાન બની ઘટના
માહિતી અનુસાર ધોરણ-10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પીટીના પિરિયડ દરમિયાન શાળાના મેદાનમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે બેઠો હતો. આ દરમિયાન એક શિક્ષકે વિદ્યાર્થીને ઉભો કરીને તેને જોરદાર લાફો માર્યો હોવાનો આક્ષેપ છે. પરિવારનું કહેવું છે કે વિદ્યાર્થીનો તે શિક્ષક સાથે કોઈ સીધો શૈક્ષણિક સંબંધ પણ નહોતો.
ADVERTISEMENT

ઇજા બાદ હોસ્પિટલમાં સારવાર
ADVERTISEMENT
ઘટના બાદ શાળા તરફથી વિદ્યાર્થીના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી. પરિવાર તરત જ બાળકને ઈએનટી નિષ્ણાત પાસે લઈ ગયા હતા. તબીબી તપાસમાં ડાબા કાનના પડદાને નુકસાન પહોંચ્યાનું સામે આવ્યું હોવાનું પરિવારનું કહેવું છે. હાલ વિદ્યાર્થીને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે અને સ્થિતિમાં સુધારો નહીં થાય તો સર્જરી કરવાની જરૂર પડી શકે તેવી તબીબોએ શક્યતા વ્યક્ત કરી હોવાનું જણાવાયું છે.

ADVERTISEMENT
વાલીઓએ જવાબદારી નક્કી કરવાની માંગ કરી
ઘટના બાદ વાલી અને શાળા સંચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી. પરિવારના જણાવ્યા મુજબ, બેઠક દરમિયાન શિક્ષક લક્ષ્મણભાઈએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ટ્રસ્ટીઓએ ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. વાલીઓએ માંગ કરી છે કે ભવિષ્યમાં વિદ્યાર્થીને કાન સંબંધિત કોઈ કાયમી તકલીફ થાય તો તેની સંપૂર્ણ તબીબી તેમજ આર્થિક જવાબદારી શાળા અને સંબંધિત શિક્ષક સ્વીકારે.
ADVERTISEMENT
શિક્ષક સસ્પેન્ડ, શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા
અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાથમિક પગલાં રૂપે સંબંધિત શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ માટે ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભાવનગર અને અમરેલી આજુબાજુમાં ધોધમાર વરસાદ, ખેડૂતોની ચિંતા હળવી-લોકોને ગરમીથી રાહત
પોલીસમાં ફરિયાદ નોંધાઈ
આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદના આધારે જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ નિયમો અનુસાર આગળના પગલાં લેવામાં આવશે.ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, શિક્ષકોના વર્તન અને શારીરિક સજાના મુદ્દે ફરી એકવાર ગંભીર ચર્ચા જગાવી છે. વાલીઓએ આવી ઘટનાઓને રોકવા માટે કડક માર્ગદર્શિકા અને અસરકારક અમલની માંગ ઉઠાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.