કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ટૂંક સમયમાં એક નવી સ્કીમ લોન્ચ કરવા જઇ રહી છે. આ સ્કીમ હેઠળ ખેડૂતો પોતાનાં ખેતર અથવા ખાલી પડેલી જમીન પર સોલર પેનલ સ્થાપિત કરીને વીજ ઉત્પાદનનો કારોબાર કરી શકે છે, તેમાં ખેડૂતોને દર વર્ષે રૂ. એક લાખ કમાવાની તક મળશે.
આ જાણકારી કેન્દ્રીય રિન્યૂઅલ એનર્જી પ્રધાન આર.કે. સિંહે લોકસભામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાને એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે આ યોજના હેઠળ ખેડૂતો સોલર પેનલ લગાવીને બે મેગાવોટ સુધી વીજળીનું ઉત્પાદન કરી શકશે, તેમાં તેમને વાર્ષિક રૂ. એક લાખ સુધીની આવક થઇ શકશે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા ઉત્પાદિત આ વીજળીની ખરીદી સરકાર કરશે.
આ યોજનાની જાહેરાત આગામી ૧૫થી ૨૦ દિવસમાં કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું છે કે સરકારે એવી જોગવાઇ કરી છે કે ખેડૂતો પોતાની જમીન પર સોલર પેનલ લગાવીને વીજળી ઉત્પાદિત કરી શકે છે અથવા વીજળીના ઉત્પાદન હેતુથી જમીન લીઝ પર આપીને પણ આવક કરી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે ભારત અત્યારે વિશ્વમાં સૌથી વધુ રિન્યૂએબલ એનર્જી પેદા કરનાર દેશ છે અને આપણું લક્ષ્ય ૧.૭૫ લાખ મેગાવોટ રિન્યૂઅલ એનર્જી પેદા કરવાનું છે. તેમણે જણાવ્યું કે આપણે ૨૦૨૨ સુધીમાં લક્ષ્ય સિદ્ધ કરી શકીશું.
તેમણે વધુમાં જણાવ્યું છે કે તેમના મંત્રાલયે ૨૦૨૦ સુધી ૫૦ હજાર સૂર્ય મિત્ર તૈયાર કરવાના હેતુથી સોલર સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ વધુ રોજગાર ઊભા કરવામાં આવશે.