ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ ટેસ્ટ શ્રેણી માટે ગુજરાતના ક્રિકેટ રસીકો માટે આંચકા સમાન સમાચાર આવ્યાં છે.
હાલમાં ચાલી રહેલ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાંથી સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બહાર થઇ ગયા છે. ભારતને ચેન્નાઇમાં રમાયેલ પહેલી ટેસ્ટમાં 227 રનનો કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ટીમ ઇન્ડિયા 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં 0-1થી પાછળ થઇ ગઇ છે. જ્યારે આ શ્રેણીની બીજી ટેસ્ટ ચેન્નાઇમાં જ 13 ફેબ્રુઆરીથી શરુ થઇ રહી છે.
ગુજરાતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના અંગૂઠામાં ઓસ્ટ્રેલિયા સામની સીડની ટેસ્ટમાં ફ્રેકચર થઇ ગયુ હતું જેના કારણે તે બ્રિસ્બેનમાં ચોથી ટેસ્ટમાંથી બહાર થઇ ગયા હતા. રવિન્દ્ર જાડેજાને સિડનીમાં નિષ્ણાંતોના વિચાર વિમર્શ પછી બેંગલુરુમાં આવેલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઇલાજ માટે મોકલવામાં આવ્યા હતા.
ચેન્નાઇમાં માં યોજાનારી બંને ટેસ્ટ માટે ટીમ જાહેર કરી દેવામાં આવી હતી અને આશા હતી કે રવિન્દ્ર જાડેજા અમદાવાદમાં રમાનારી ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ફિટ થઇ જશે પરંતુ જાડેજાને ઠીક થવામાં આશા કરતા વધારે સમય લાગી શકે છે અને તેને અંતિમ બંને ટેસ્ટ માટે ફિટ થવાની શક્યતા ઘણી ઓછી છે. રવિન્દ્ર જાડેજા ઇંગ્લેન્ડની સામની સીમિત ઓવરની શ્રેણી માટે કદાચ ફીટ થઇ જશે, જો કે હજુ સુધી એ પણ સ્પષ્ટ થઇ શક્યું નથી.
રવિન્દ્ર જાડેજાની ઉણપ ટીમ ઇન્ડિયામાં હાલ જોવા મળી રહી છે. પહેલી ટેસ્ટ મેચમાં વોશિંગ્ટન સુન્દર અને શાહબાજ નદીમ બોલિંગમાં કોઇ કમાલ બતાવી શક્યા નહોતા. જેના કારણે અશ્વિન ઉપર દબાણ સતત વધતું જોવા મળ્યું હતું. જો કે સુન્દર પહેલી ઇનિંગ્સમા સારી બેટિંગ કરી હતી. બીજી ટેસ્ટ મેચમાં અક્ષર પટેલને તક મળી શકે છે. જ્યારે કેટલાંક ક્રિકેટર કુલદિપ યાદવને તક આપવા અંગે જણાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે હાલ રવિન્દ્ર જાડેજાની ઇજાના કારણે ટીમ ઇન્ડિયાને સ્થાનિક મેદાનમાં રમાઇ રહેલી ઇંગ્લેન્ડ સામેની બાકીની મેચો માટે મોટા ઝટકા સમાન છે.