પોતાના જીવનમાં નાનામાં નાની સમસ્યાની ફરિયાદો કરવા માટે આપણે ટેવાઈ ગયા છીએ. એવા સમયે દુનિયામાં એવા પણ લોકો છે જે સૌથી કપરી અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ ટકી રહીને સિતારાની જેમ ઉજળે છે. મહારાષ્ટ્રના પોલીયોગ્રસ્ત ગરીબ વિદ્યાર્થીએ અધિકારી બનવાનું સ્વપ્ન જોયું અને કઠોર પરિશ્રમ અને એકાગ્રતાના ફળ સ્વરૂપે આજે તે ઝારખંડ કેડરના IAS અધિકારી છે.
રમેશ ઘોલાપનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લાના, બરશી તાલુકાના મહાગાંઓ ગામમાં થયો હતો. રમેશ પહેલેથી તેજસ્વી હતા. તેમના પિતા ગોરખ ઘોલાપ એક સાયકલ રીપેર કરવાની દુકાન ચલાવતા હતા. આ નજીવી આવકમાં પરિવારનું જેમ તેમ ગુજરાન ચાલી જતું પરંતુ સતત દારૂ પીવાના કારણે તેમના પિતાની તબિયત ઉપર માઠી અસર આવી.
રામુના માતા વિમલ ઘોલાપ નજીકના ગામમાં બંગડીઓ વેચીને રોજી મેળવતા હતા. રામુના એક પગે પોલિયો હતો આમ છતાં તેઓ તેમની મા ને બંગડીઓ વેચવામાં મદદ કરતા. ત્યાર બાદ વધુ અભ્યાસ માટે રામુ બરશી સ્થાયી થયા. તેઓ જાણતા હતા કે આ દારુણ ગરીબીથી બહાર આવવાનો એક જ રસ્તો છે અને તે છે શિક્ષણ.
શિક્ષકોમાં રામુ પ્રિય વિદ્યાર્થી હતા. જયારે 2005માં 12માં ધોરણમાં એમના પિતાજીની મોત થઇ ગઈ ત્યારે અપંગો માટે બસમાં મુસાફરી કરવાના 2 રૂપિયાની ટિકિટ હતી. જો કે રામુ પાસે 2 રૂપિયા પણ ન હતા. તેમના પાડોશીઓની મદદથી રામુ તેમના ગામ પહોંચીને પિતાના અંતિમ સંસ્કાર કરી શક્યા.
તેમના પિતાના અવસાનના થોડા જ સમયમાં રામુની 12માં ધોરણની બોર્ડની પરીક્ષા હતી જેમાં 88.5%નું પરિણામ મેળવ્યું અને તેમની તેજસ્વિતાનો પરિચય આપ્યો.
રામુએ શિક્ષણમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવી કારણકે એ સૌથી સસ્તો કોર્સ હતો જેના વડે તેણે શિક્ષકની નોકરી ચાલુ કરીને પરિવારનું ગુજરાન ચલાવવાનું શરુ કર્યું. 2009માં રામુએ શિક્ષકની નોકરી શરુ કરી પરંતુ અંદરથી તે જાણતા હતા કે તેઓ ભીતરથી કાંઈક જુદું કરવા માંગે છે.
કોલેજ કાળમાં રામુ સ્ટુડન્ટ્સ યુનિયનના સભ્ય હતા અને તે સમયે તે મામલતદાર બનવા માંગતા હતા કેમ કે તેમણે જોયું હતું કે મામલતદાર પાસે ઘણી સત્તાઓ હોય છે.
સપ્ટેમ્બર 2009માં તેમની માતાએ એક જૂથ પાસે લીધેલી લોનની મદદથી રામુએ તેમની નોકરીમાં 6 મહિનાની રજા મૂકીને UPSCની તૈયારી શરુ કરી.
રમેશ જણાવે છે કે તે સમયે તેમને UPSC MPSC વગેરે શું છે તેની પણ જાણ નહોતી પરંતુ જયારે તેમણે તેમના શિક્ષણ અતુલ લાન્ડેને પૂછ્યું કે શું તેઓ UPSC આપી શકે છે ત્યારે અતુલે જવાબ આપ્યો હતો કે UPSCની પરીક્ષા પાસ કરતા રમેશને કોઈ રોકી શકે તેમ નથી. આ એક વિધાને રમેશને આત્મવિશ્વાસથી ભરી દીધા.
રામુ મે 2010ની UPSCમાં બેઠા પણ કમનસીબે પાસ ન થઇ શક્યા. એ સમયે તેમની માતા ગામમાં સરપંચ તરીકે ચૂંટણી લડ્યા અને તેઓ થોડા મતથી હારી ગયા. એ સમયે રામુએ પ્રતિજ્ઞા લીધી કે તેઓ અધિકારી બન્યા વગર ગામ પાછા નહિ ફરે.
આ પછી રામુએ તેમની નોકરી છોડી દીધી અને SIACમાં મન લગાવીને તૈયારી શરુ કરી દીધી। તેમનો ખર્ચ કાઢવા તેઓ સાથે સાથે પોસ્ટર્સ રંગીને ગુજરાન ચલાવતા. 2012ની પરીક્ષામાં રામુએ એક વિકલાંગ અને અતિશય ગરીબી પરિસ્થિતિમાંથી આવનાર વ્યક્તિ તરીકે UPSCની પરીક્ષામાં કોઈ કોચિંગ વગર 287મો ક્રમ લાવીને ઇતિહાસ રચી દીધો. તેમની પ્રતિજ્ઞા મુજબ જયારે તેઓ તેમના ગામ પાછા ફર્યા ત્યારે તેઓ રામુમાંથી IAS રમેશ ઘોલાપ બની ગયા હતા.
રમેશ હાલ ઝારખંડમાં કોડર્મા જિલ્લાના કલેકટર તરીકે ફરજ બજાવે છે.
રમેશ જણાવે છે કે જયારે પણ તેઓ કાળા બજારમાં કેરોસીન વેચવા બદલ કોઈ દુકાનદારનું લાઇસન્સ રદ કરે છે ત્યારે તેઓ જુના દિવસો યાદ કરે છે જયારે તેઓ કેરોસીન ન હોવાના કારણે ફાનસ બુઝાવી દેતા હતા. જયારે તેઓ એક વિધવાને મદદ કરે છે ત્યારે તેઓ તેમની મા ને યાદ કરે છે અને જયારે તેઓ કોઈ ગરીબ બાળકને મદદ કરે છે ત્યારે તેઓ તેમના જુના દિવસોના રામુને યાદ કરે છે.