આ વખતે દિવાળી પહેલાં જ સોનું ઓલટાઇમ હાઈ રૂ. 40,000ની સપાટી પાર કરી ગયું છે. ત્યારે આજે સોમવારે સાંજે 6ઃ10થી શરૂ થતાં પુષ્ય નક્ષત્રના મુહૂર્તથી સોનાની શુભ ખરીદીને સારો પ્રતિસાદ મળે તેવી આશા જ્વેલર્સ વર્ગમાં સેવાઈ રહી છે. જોકે દશેરાથી લગ્નસરા માટે અમદાવાદ શહેરના જ્વેલર્સ પાસે 30 ટકાથી વધુ ઓર્ડર નોંધાઈ ચૂક્યા છે.
દશેરા પછી 30 ટકા જેવું લગ્નસરા માટે જ્વેલરીના ઓર્ડર મળ્યા
30 ટકાનો વેપાર ધનતેરસે અને પુષ્ય નક્ષત્રના મુહૂર્તમાં થાય તેવી આશા
દિવાળીના શુકનવંતી ખરીદીની સાથે લગ્નસરાની ખરીદી પણ અમદાવાદીઓએ શરૂ કરી દીધી છે. શહેરના અગ્રણી જ્વેલર્સના મતે દશેરાથી લઈને અત્યાર સુધી શહેરમાં લગ્નસરાની ખરીદીના 30 ટકા જેટલા ઓર્ડર નોંધાઈ ચૂક્યા છે. સામાન્ય રીતે, નવરાત્રિથી ધનતેરસ સુધીના સમયગાળામાં શહેરના 3500 જ્વેલર્સને 600થી 700 કરોડનો વેપાર મળતો હોય છે. જેમાં ખાસ કરીને 70 ટકાથી વધુ લગ્નસરા માટેની ખરીદી થતી હોય છે.
દશેરા પછી જે પ્રમાણે ઓર્ડર નોંધાયા છે. તેને જોતાં લગ્નસરાની સોનાની ખરીદી પૂરતા પ્રમાણમાં થશે પણ દિવાળીની ખરીદી શુકનવંતી જ ન રહી જાય તેની ચિંતા પણ સેવાઈ રહી છે.
આ અંગે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના ગુજરાતના સૂત્રોના જણાવ્યાનુસાર, સોનાના વધતા ભાવના કારણે જ્વેલર્સ વર્ગમાં ચિંતા તો છે પણ તહેવાર સમયે સારો વેપાર પણ મળતો હોય છે. દશેરાએ 20 ટકા જેવી ખરીદી જોવા મળી હતી. દશેરા પછી 30 ટકા જેવું લગ્નસરા માટે જ્વેલરીના ઓર્ડર મળ્યા છે. હવે બાકીના 30 ટકાનો વેપાર ધનતેરસે અને પુષ્ય નક્ષત્રના મુહૂર્તમાં થાય તેવી આશા છે.
પુષ્ય નક્ષત્રનો પ્રારંભ સિદ્ધયોગમાં આજે સોમવારે સાંજે 5.33 કલાકે થશે અને સમાપન મંગળવારે સાંજે 4.40 કલાકે સાધ્ય યોગમાં થશે. સાંજે 6.10થી 9.18 કલાક, રાત્રે 10.20થી 11.21 વાગ્યા સુધી મંગળવારે સવારે 8.35થી 11.27, બપોરે 12.25થી 13.23 અને સાંજે 3.18થી 4.15 કલાક સુધી ખરીદી થશે. સપ્ટેમ્બર 2018માં 197 ટન જ્યારે સપ્ટેમ્બર 2019માં ઘટીને માત્ર 37 ટન જ ઇમ્પોર્ટ થયું હતું.