બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:01 AM, 15 February 2026
પાકિસ્તાનમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનના સમર્થનમાં શનિવાર રાત્રે કરાચીથી લઈને રાવલપિંડી સુધી વ્યાપક પ્રદર્શન જોવા મળ્યા. દેશના મુખ્ય શહેરોમાં ભડકેલા આ આંદોલનો દરમિયાન પરિસ્થિતિ તંગ બની ગઈ અને અનેક સ્થળોએ હિંસક અથડામણો સર્જાઈ. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણોએ રાજકીય અસ્થિરતાના સંકેતો વધુ ગાઢ કર્યા છે.
ADVERTISEMENT
કરાચી, લાહોર, ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા. પ્રદર્શનકારીઓએ અનેક માર્ગો અવરોધી દીધા અને કેટલાક સ્થળોએ વાહનોને આગ ચાંપી દેવાના બનાવો પણ સામે આવ્યા. પોલીસ દ્વારા તેમને રોકવાનો પ્રયાસ થતા સ્થિતિ વધુ ઉગ્ર બની અને પથ્થરમારો શરૂ થયો.

ADVERTISEMENT
આંદોલન દરમિયાન પોલીસે આંસુગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કરીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો. અહેવાલ મુજબ, કેટલાક સ્થાનિક નેતાઓને હિરાસતમાં લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સાઉન્ડ સિસ્ટમ અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા. પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરતાં ઈમરાન ખાનની તાત્કાલિક મુક્તિની માંગ ઉઠાવી.
આ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ અચાનક ઇસ્લામાબાદ છોડ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેઓ દક્ષિણ પંજાબ પહોંચ્યા છે, જ્યાં રાજકીય બેઠક યોજાશે. તેમની આ અચાનક મુસાફરીએ રાજકીય વર્તુળોમાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. સાથે જ બિલાવલ ભુટ્ટો ઝરદારી અને આસિફા ભુટ્ટોની સુરક્ષા પણ વધારવામાં આવી છે.
ADVERTISEMENT

રાવલપિંડીની જેલ બહાર પણ પરિસ્થિતિ તંગ બની રહી છે. અહેવાલો મુજબ ઈમરાન ખાનને નવી જેલમાં ખસેડવાની ચર્ચાઓ બાદ તેમના સમર્થકો મોટી સંખ્યામાં જેલ બહાર એકત્ર થયા છે. પોલીસે જેલ પરિસરમાં ભારે બંદોબસ્ત ગોઠવ્યો છે. માહિતી મુજબ, ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી અદિયાલા જેલમાં બંધ છે અને તેમને હોસ્પિટલમાં ખસેડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
રાજકીય વિશ્લેષકો માને છે કે આ ઘટનાઓ પાકિસ્તાનમાં વધતી રાજકીય અસ્થિરતાનું પ્રતિબિંબ છે. એક તરફ ઈમરાન ખાનના સમર્થકો સરકાર પર દબાણ વધારી રહ્યા છે, તો બીજી તરફ સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક પગલાં લઈ રહી છે. હાઈવે અને મુખ્ય માર્ગો પર જામની સ્થિતિએ સામાન્ય જનજીવનને પણ અસર પહોંચી છે.
આ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાં રાજકીય ભવિષ્ય અંગે અનિશ્ચિતતા વધી રહી છે. આવનારા દિવસોમાં સરકાર અને વિરોધ પક્ષ વચ્ચેનો તણાવ કઈ દિશામાં આગળ વધે છે તે પર દેશની સ્થિરતા નિર્ભર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.