PM CARES એટલે કે Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations ફંડમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 9677 કરોડ રૂપિયા જેટલું દાન ઉઘરાવવામાં આવ્યું છે. આ દાન 28 માર્ચે આ ફંડની જાહેર થયાના 52 દિવસમાં ઉઘરાવવામાં આવ્યું છે. IndiaSpend.com દ્વારા આ આંકડો ગણતરીમાં લેવામાં આવ્યો છે અને તેમના મતે આ આંકડો ફક્ત જાહેર થયેલા દાનના આધારે છે અને વાસ્તવિક આંકડો ઘણો મોટો છે.
આ 9677.9 કરોડના આંકડા ઉપરાંત બીજા 2098.2 કરોડ રૂપિયા ઉઘરાવવાનો વાયદો લેવામાં આવ્યો છે. 9677.9 કરોડના 32% એટલે કે 3100 કરોડ રૂપિયા જેટલી રકમ PM મોદીએ PM CARES ફંડમાંથી કોવિડ 19 સામેની લડાઈમાં વાપરવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે આ ફંડની રકમ Consolidated Fund of India હેઠળ ન આવતી હોવાથી તેનું Comptroller and Auditor General(CAG) પાસેથી ઓડિટ કરાવવું જરૂરી નથી. આથી આ દાનની વિગતો બહાર આવશે બહાર આવે તેવી શક્યતા ઓછી છે.
આ 9677.9 કરોડમાંથી શું ખરીદી શકાય?
આ એક મસમોટી રકમ છે. આ રકમમાંથી જો 666 રૂપિયાની PPE કિટ ગણવાના આવે તો 14.5 કરોડ PPE કિટ્સ દેશના હેલ્થ વર્કર્સને આપી શકાય જેની દેશમાં ખૂબ તંગી વર્તાઈ રહી છે. દેશમાં 1.4 અબજ N95 માસ્ક ખરીદી શકાય જેની કિંમત 65 રૂપિયા પ્રતિ માસ્ક છે. અત્યારે દેશમાં ખાનગી લેબ્સ કોરોના ટેસ્ટની કિંમત 4500 રૂપિયા છે. આ ભાવે દેશમાં 2.15 કરોડ ટેસ્ટ થઇ શકે. દેશમાં અત્યાર સુધી 25 લાખથી વધુ ટેસ્ટ થયેલા છે. દેશમાં લાખો શ્રમિકો અત્યારે અટવાયેલા છે અને વતન જવા ઈચ્છે છે. જો ગુજરાતથી ઉત્તરપ્રદેશ જવાની રેલવેની ટિકિટ સરેરાશ 700 રૂપિયાની ગણવામાં આવે તો 13.2 કરોડ જેટલા શ્રમિકોને પોતાના વતન પહોંચાડી શકાય.
કોણે દાન કર્યું છે?
PIB પાસેથી મળેલી વિગતો અનુસાર અને ખાનગી કંપનીઓ કરેલી જાહેરાતો અનુસાર અને કેટલાક વ્યક્તિઓ કરેલી દાનની જાહેરાતો અનુસાર 9677 કરોડનો આંકડો સામે આવ્યો છે. નોંધનીય છે કે વાસ્તવિક આંકડો ઘણો વધારે હશે. આ 9677 કરોડમાંથી 4308 કરોડ સરકારી સંસ્થાઓ અને કર્મચારીઓ પાસેથી મળેલ દાન છે. આ આંકડામાં 438.8 કરોડ દાન કર્મચારીઓના એક દિવસના પગાર કાપીને લેવામાં આવેલ દાન છે. આ ઉપરાંત ખાનગી કંપનીઓનું કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી CSRમાંથી મળેલું દાન 5369.6 છે. આમ કુલ સરવાળો 9677.9 કરોડ ઉપર બેસે છે.
કોણે દાનનો વાયદો કરેલો છે?
આ ઉપરાંત નાણાકીય વર્ષ 2020-21માં બીજા 1250 કરોડ સરકારી સંસ્થાઓએ દાન કરવાનો વાયદો કર્યો છે. ખાનગી કંપનીઓ 772.4 કરોડ દાન કરવાનો વાયદો કર્યો છે. દેશના સેલિબ્રિટીઝે 53.8 કરોડ અને અન્ય બે વિદેશ કંપનીઓએ 22 કરોડ આપવાનો વાયદો કર્યો છે. આમ કુલ સરવાળો 2098.2 કરોડ ઉપર બેસે છે.
નોંધનીય છે કે આ ઉપરાંત Prime Minister’s National Relief Fund (PMNRF), મુખ્યમંત્રીઓના રાહતભંડોળ, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ફંડમાં પણ દાન મળેલ છે.
MPLAD સ્કીમ સ્થગિત કરવાથી સરકારને મળશે બીજા 7800 કરોડ
કોરોના સામેની લડાઈ માટે સરકારે દરેક લોકસભાના MP તેના ક્ષેત્રમાં વિકાસલક્ષી કામો કરવા માટે મળતી 5 કરોડની વાર્ષિક રાશિને 6 એપ્રિલથી 2 વર્ષ માટે સ્થગિત કરી છે. આમ કરવાથી સરકારને બીજા 7800 કરોડ મળશે.
આ ઉપરાંત સરકારે સાંસદોના પગારમાં 30% ઘટાડો કર્યો છે જેના પગલે બીજા 55 કરોડ રૂપિયા સરકારને મળશે. આ સમગ્ર પ્રક્રિયામાં બચતી રકમની ગણતરી આ પ્રમાણે છે.
આ ઉપરાંત અન્ય સંસ્થાઓ જેવી કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, FICCI, NASSCOM, બિલ ગેટ્સ ફાઉન્ડેશન વગેરે સંસ્થાઓએ કરોડો રૂપિયાની આર્થિક મદદ ઉપરાંત વેન્ટિલેટર, માસ્ક, PPE ટેસ્ટ કિટ વગેરેનું પણ વિતરણ કર્યું છે.
પગાર કાપતી કંપનીઓએ પણ PM CARESમાં ડોનેશન આપ્યું
પોતાના કર્મચારીઓને પગાર ન આપી શકતી, તેમને છુટા કરતી, તેમને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા ન કરી શકતી કંપનીઓ પેટે પાટા બાંધીને PM CARES ફંડમાં દાન કર્યું છે. આ ઉપરાંત રિલાયન્સે મે 2020માં તેના કર્મચારીઓને પગારમાં ઘટાડો જાહેર કર્યો છે પરંતુ PM CARESમાં 500 કરોડ ડોનેશન કર્યું. આવી અન્ય કંપની Larsen and Toubro (L & T)એ પણ PM CARESમાં 150 કરોડ ડોનેશન કર્યું છે.
આ ઉપરાંત દેશના ઘણા નાના મોટા સરકારી અને ખાનગી કંપનીના કર્મચારીઓ અને વેપારીઓ અને કામદારો સહિતના લોકોએ તેમના ગજા પ્રમાણે દાન નોંધાવ્યું છે.
PM CARES ફંડ અને PM રિલિફ ફંડમાં શું તફાવત છે?
PM રિલિફ ફંડ 1948થી અસ્તિત્વ ધરાવે છે. તેમાં ડિસેમ્બર 2019 પ્રમાણે 3800 કરોડનું ભંડોળ છે. બંને ફંડમાં દાન કરવાથી ટેક્સમાં મુક્તિ તો મળે જ છે પરંતુ બંને વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે PM રિલિફ ફંડમાં તેમના વિદેશી ભંડોળની 45% રકમની વિગતો જાહેર થાય છે અને તેમના કુલ દાન અને કુલ ખર્ચની વિગતો પણ જાહેર થાય છે પરંતુ PM CARES ફંડમાં આવી કોઈ જોગવાઈ નથી.