બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા સ્ટેશન પર અફરાતફરીનો માહોલ, ટ્રેનો રદ-શોર્ટ ટર્મિનેટ થતા મુસાફરો ફસાયા
Last Updated: 04:18 PM, 23 July 2026
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સીધી અસર હવે મુંબઈ-અમદાવાદ રેલવે રૂટ પર જોવા મળી રહી છે. વલસાડ અને વાપી વિસ્તારમાં ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર ખોરવાતા અમદાવાદ-મુંબઈ રૂટની 7 મહત્વની ટ્રેનો રદ કરવામાં આવી છે. અનેક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરાયો છે અથવા સમયપત્રક ખોરવાયું છે. ટ્રેનો રદ થતાં વડોદરા રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ ગયા હતા. સ્ટેશન પર ચારે તરફ મુસાફરોની ભીડ જોવા મળી હતી અને કનેક્ટિવિટી માટે લોકો ભારે હાલાકીનો સામનો કરતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
ટ્રેન રદ થતાં મુસાફરોની મુશ્કેલી અહીં અટકી ન હતી. ટિકિટના નાણાં પરત મેળવવા માટે પણ મુસાફરોને રઝળપાટ કરવી પડી હતી. મુસાફરોના જણાવ્યા પ્રમાણે, રેલવે દ્વારા માહિતી આપવા માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંથી પણ યોગ્ય માહિતી ન મળતી હોવાના આક્ષેપો થયા હતા. રેલવે કર્મચારીઓ તરફથી અયોગ્ય જવાબો મળતા હોવાની પણ મુસાફરોએ ફરિયાદ કરી હતી. જેના કારણે ટ્રેન ક્યારે આવશે, કઈ ટ્રેન રદ થઈ છે અને હવે આગળ કેવી રીતે જવું તે અંગે મુસાફરોમાં મૂંઝવણ જોવા મળી હતી.
મુસાફરો સુરત તરફ જવા મજબૂર બન્યા
ADVERTISEMENT
વડોદરા સ્ટેશન પર ખાસ કરીને પરિવાર સાથે મુસાફરી કરતા લોકોની હાલત કફોડી બની હતી. ટ્રેન રદ થયા બાદ આગળની કનેક્ટિવિટી મેળવવા માટે કેટલાક મુસાફરો સુરત તરફ જવા મજબૂર બન્યા હતા. બીજી તરફ, બસ અને ટેક્સીનો સહારો લેવા જતા મુસાફરો પાસેથી વધુ ભાડું વસૂલવામાં આવતું હોવાના આક્ષેપો પણ થયા હતા. સમયસર વાહનવ્યવસ્થા કે અન્ય સુવિધા ન મળતા કેટલાક પરિવારોને સ્ટેશન પર જ રોકાઈ રહેવાની ફરજ પડી હતી.
પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેકને નુકસાન
ADVERTISEMENT
આ તરફ વલસાડમાં ભારે વરસાદના કારણે પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેકને પણ નુકસાન થયું છે. ઉદવાડા અને પારડી રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેક પાસે માટીનું ધોવાણ થતાં મુંબઈ-અમદાવાદ રૂટની ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. રેલવે દ્વારા કુલ 5 ટ્રેનો રદ અથવા શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનોને ડાયવર્ટ પણ કરવામાં આવી છે.
નવસારીમાં પણ રેલવે વ્યવહાર ખોરવાતા મુસાફરોની મુશ્કેલી વધી છે. નવસારીથી મુંબઈ અને અમદાવાદ તરફ જતી અનેક મહત્વની ટ્રેનોના સમયપત્રક પર અસર પડી છે. નવસારીથી સુરત અને વાપી તરફ રોજ અપ-ડાઉન કરતા પાસધારકો પણ રેલવે સ્ટેશન પર અટવાયા હતા. નવસારીનો મોટો નોકરિયાત વર્ગ રોજિંદા જીવનમાં રેલવે પર નિર્ભર હોવાથી ટ્રેન વ્યવહાર ખોરવાતા જનજીવનને પણ અસર થઈ છે.
ADVERTISEMENT
મુંબઈ-અમદાવાદ તરફ જતા મુસાફરોની મુશ્કેલી વધી
ભારે વરસાદ વચ્ચે રેલવે ટ્રેનો રદ થતાં દક્ષિણ ગુજરાતથી મુંબઈ અને અમદાવાદ તરફ જતા મુસાફરોની મુશ્કેલી વધી છે. ખાસ કરીને વડોદરા સ્ટેશન પર ટ્રેન રદ થવાની જાણ થયા બાદ સર્જાયેલી ભીડ અને અફરાતફરીએ મુસાફરોની પરેશાનીને વધુ વધારી દીધી છે. હવે વરસાદની સ્થિતિ સામાન્ય થાય અને રેલવે ટ્રેકનું સમારકામ પૂર્ણ થાય ત્યાર બાદ જ આ રૂટ પર રેલવે વ્યવહાર ફરી સંપૂર્ણપણે સામાન્ય બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.