મહેસાણાઃ તમને જાણીને આશ્ચર્ય થશે કે શું એક વિકાસનું કામ અગિયાર વર્ષ સુધી ચાલી શકે? અગિયાર વર્ષથી ચાલતું વિકાસનું આ કામ ક્યારે પૂર્ણ થશે એ આજે પણ નિશ્ચિત નથી. મહેસાણામાં આવેલા એકમાત્ર પરાં તળાવ કે જે વર્ષ ૨૦૦૭થી બનાવવામાં આવી રહ્યું છે. તળાવ બ્યુટીફીકેશનની હાથ ધરાયેલી કામગીરી આજે પણ પૂર્ણ થઇ નથી. કરોડો રૂપિયાથી બનતું આ તળાવ કૌભાંડમાં પણ બદનામ થઇ ચૂક્યું છે. પણ તળાવની કામગીરી પૂર્ણ થઇ નથી.
સત્તાધીશો અને ચીફ ઓફિસર બદલાયા પણ તળાવ બનતું નથી
વર્ષ ૨૦૦૭માં સ્થાનિક ધારાસભ્ય અનિલ પટેલના હસ્તે મહેસાણા પરાં તળાવને સુંદર નયનરમ્ય અને ફરવાલાયક સ્થળ બનાવવા ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૦૭માં રૂપિયા ત્રણ કરોડના ખર્ચે સુંદર તળાવ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષો વીતવાની સાથે તળાવ બ્યુટીફીકેશન થવાના બદલે તળાવ કૌભાંડના કીચડમાં ફસાયું હતું. કૌભાંડના કીચડમાં ફસાયેલા તળાવનો વિકાસ થવાના બદલે પાલિકાના તત્કાલીન એન્જીનીયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે ત્રણ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા તળાવનો ખર્ચ કૌભાંડની સાથે વર્ષો વીતવાની સાથે દસ કરોડ સુધી પહોંચી ગયો છે પરંતુ હાલમાં પણ તળાવ બ્યુટીફીકેશનની કામગીરી પૂર્ણ થઇ નથી.
બ્યુટીફીકેશનની કામગીરી હજુ પણ યથાવત્
અગિયાર વર્ષથી નિર્માણાધીન તળાવ બ્યુટીફીકેશનની કામગીરી આજે પણ જૈસે થે જેવી સ્થિતિ છે. પરંતુ મહેસાણા નગરપાલિકા ચીફ ઓફિસરનું માનીએ તો દોઢ માસમાં તળાવની કામગીરી પૂર્ણ થશે. જોકે વર્ષોથી ચાલી રહેલા આ તળાવ વિકાસ કામ દરમ્યાન સત્તાધીશો અને ચીફ ઓફિસરો બદલાયા પણ તળાવ મામલે જવાબો આજે પણ એજ સાંભળવા મળે છે. કોંગ્રેસ શાસિત મહેસાણા પાલિકામાં ભાજપના નગરસેવકના કહેવા મુજબ તળાવ કામગીરી હજુ છ માસ સુધી પણ પૂર્ણ થાય એવું લાગંતુ નથી. તેમજ તળાવની હાલની સ્થિતિ જોતા પણ તળાવ બ્યુટીફીકેશન કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થાય એવી લાગતી પણ નથી.
શહેરીજનો ને ફરવા લાયક તળાવ બનશે ક્યારે ?
અગિયાર-અગિયાર વર્ષના વ્હાણા વાઈ ગયા છતાં એકમાત્ર તળાવનું કામ પૂર્ણ થયું નથી. તળાવની સ્થિતિ જોતા લાગતું પણ નથી કે ટૂંક સમયમાં તળાવ શહેરીજનોને ફરવા માટે ભેટમાં મળે. ત્રણ કરોડનું કૌભાંડી તળાવ દસ કરોડનું થયું પણ તળાવ બનતું નથી અને ભાજપ હોય કે કોંગ્રેસ પણ તળાવની કામગીરી પૂર્ણ થતી જ નથી.