અમેરિકામાં કોરોના લાખોની સંખ્યામાં કેસ નોંધાઇ રહ્યા છે. તેવામાં ગુજરાતના નડિયાદના એક યુવાનનું અમેરિકાના ન્યુજર્સીમાં મોત નિપજ્યું છે. પહેલા એવી અફવા ફેલાઇ રહી હતી કે આ યુવાનનું કોરોનાથી મોત નિપજ્યું છે. પરંતુ તેમનું અવસાન બ્રેઇન હેમરેજથી થયાનું સામે આવ્યું છે.
મૂળ નડિયાદના યુવાનનું અમેરિકાના ન્યુજર્સીમાં બ્રેઇન હેમરેજથી મોત
સોશિયલ મીડિયામાં એવી ખોટી અફવા ઉડી હતી કે યુવાનનું કોરોનાથી મોત
23મીને શનિવારે સવારે તેમના અગ્નિસંસ્કાર કરાશે
અમેરિકાના ન્યુજર્સીમાં પોતાના ઘરમાં એકલા રહેતા આતિશ પટેલ નામના યુવાનનું મોત નિપજ્યું છે. બ્રેઇન હેમરેજના કારણે બેભાન હાલતમાં ગત રોજ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. તેથી તેમને તાત્કાલિક જે.એફ.કે. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા છે. એવી માહિતી મળી રહી છે કે 48 કલાક પહેલા મૃત્યુ પામેલા આ યુવાનની હજુ સુધી અંતિમ વિધી થઇ શકી નથી.
સોશિયલ મીડિયામાં કોઇએ ઉડાવી અફવા
અફવાઃ આતિશભાઇનું મોત કોરોનાથી થયું હોવાની તથા તેમના પરિવારજનો કે માતાપિતાની કોઇ ભાળ મળતી નથી તેવી અફવાઓ સોશિયલ મીડિયામાં જોરશોરથી ચાલી હતી. વળી આ યુવાન નડિયાદનો વતની છે, તેના માતાપિતા અમદાવાદમાં રહે છે, તેઓનું પણ મૃત્યુ થઇ ગયું છે એવી વિગતો સાથે સોશિયલ મીડિયામાં આ યુવાનના ઘણાં ફોટાઓ અને મૃતદેહના ફોટા પણ વાયરલ થયા હતા.
યુવકનું મોત બ્રેઇન હેમરેજથી થયું, પરિવારજનો પણ હયાત છે
સત્યઃ પરંતુ આખરે આ સઘળી હકિકત અફવા સાબિત થઇ હતી. આ યુવાનનું મોત માત્ર બ્રેઇન હેમરેજથી જ થયું હોવાનું સામે આવ્યું છે. આ યુવાનના પરિવારજનો પણ હયાત હોવાની માહિતી મળી હતી. આતિશ તેમના ઘરમાં એકલા જ રહેતા હોવાથી તેમના વિશે વધુ કોઇ વિગતો મળી આવી નથી, પરંતુ ન્યુજર્સીમાં રહેતા ભારતીય લોકોએ તેમના વિશે અમદાવાદ ખાતે રહેતા તેમના પરિવારજનોને આ સમાચાર પહોંચાડ્યા હતા. .
જોકે આ લખાય છે ત્યાં સુધી તેની અંતિમક્રિયા થઇ નથી કારણ કે ન્યુજર્સીમાં ફ્યુનરલ માટેનું વેઇટીંગ લીસ્ટ ઘણું લાંબુ છે. આખરે 22મી તારીખે તેમની અંતિમવિધિની પૂજા અને 23મીને શનિવારે સવારે તેમના અગ્નિસંસ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં એમ પણ જાણવા મળ્યું છે કે આ આશાસ્પદ યુવાને મૃત્યુ અગાઉ પોતાના શરીરના મૂલ્યવાન અંગો દાન કરવાની કાયદેસર જાહેરાત કરેલ છે. આથી ઓર્ગન ડોનેશનની કાર્યવાહી બાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેમ અમેરિકાના પરિવારજનોએ જણાવ્યું છે.