UIDAI દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત હવે NRI એટલે કે વિદેશમાં રહેતા ભારતીયોએ જો આધાર કાર્ડ કઢાવવું હોય તો તેમને મોટી રાહત આપવામાં આવી છે.
NRI હવે ૧૮૨ દિવસના વેઈટીંગ વગર ભારત આવ્યા પછી તરત જ આધાર કાર્ડ માટે એપ્લાય કરી શકશે.
સરકારે આ અંગે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે હવે non resident indians (NRIs)એ આધાર કાર્ડ માટે હવે ૧૮૨ દિવસની રાહ નહિ જોવી પડે. આ નોટીફીકેશન UIDAI(યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા) દ્રારા બહાર પાડવામાં આવ્યું છે.
એપોઇન્ટમેન્ટ શીડ્યુલ કરવી પણ હવે શક્ય
આ સિવાયની પૂરી પ્રક્રિયામાં લગભગ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પણ ભારતીય પાસપોર્ટ ધરાવતા NRI હવે બાયોમેટ્રિક આઈડી માટે ભારત આવીને તરત અથવા પહેલાથી જ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ વડે એપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરાવી શકશે. આમ કરવાથી તેઓ હવે ભારતમાં ૧૮૨ દિવસના વેઈટીંગ પીરીયડમાંથી હવે તેમને મુક્તિ મળી ગઈ છે.
NRI માટે ભારતીય પાસપોર્ટ ગણાશે માન્ય દસ્તાવેજ
UIDAIના જાહેરનામા મુજબ વ્યક્તિની ઓળખ, રહેઠાણના પુરાવા અને જન્મ તારીખના પુરાવા આ ત્રણેય બાબતો માટે ભારતીય પાસપોર્ટ માન્ય દસ્તાવેજ ગણાશે. જો ભારતીય પાસપોર્ટ ઉપર ભારતનું એડ્રેસ નહિ હોય તો તે વ્યક્તિ UIDAI દ્વારા માન્ય બીજા કોઈ દસ્તાવેજને પણ આપી શકશે.
નાણામંત્રી એ કરી હતી અગાઉથી જ જાહેરાત
અહી ઉલ્લેખનીય છે કે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે ૫મી જુલાઈના તેમના બજેટના વક્તવ્યમાં આ મુદ્દો ઉમેરતા જણાવ્યું હતું કે તેઓ ભારતની બહાર વસતા ભારતીયો માટે આધારકાર્ડની વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છે. આ લોકો ફક્ત તેમના ભારતીય પાસપોર્ટ વડે આધાર કાર્ડ માટે એપ્લાય કરી શકે અને તેમણે વધુ સમય રાહ ન જોવી પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.