વાત કરીએ ઓલપાડ તાલુકાના એક એવા ગામની જે ગામ આજથી નહી પરંતુ મોગલ અને અંગ્રેજોના શાસનથી અડીખમ ઉભું છે. અંગ્રેજોના શાસનમાં પરિયાઈ નામથી ઓળખાતું ગામ અપભ્રંશ થઇ આજે પરિયા ગામથી ઓળખાય છે. કહેવાય છેકે માંડવીના મહીડા નામના રાજાએ ગામને કર મુક્ત કર્યું હતું. અને માંડવીની મહારાણીએ ગામમાં મંદિરનું નિર્માણ પણ કર્યું હતું જે મંદિર આજે પણ હયાત છે. સાથે વણઝારા દ્વારા ૧૦૦ વરસ પૂર્વે બનાવેલ એતિહાસિક કુવો આજે ગામના લોકો માટે આશીર્વાદરૂપ બન્યો છે.
ઓલપાડ તાલુકાનું પરિયા ગામ આમતો મોગલ અને અંગ્રેજોના સમયથી અડીખમ રહેલું છે. ગામની બાજુમાંથી દિલ્હીથી સુરત જવાનો ૯૯ ફૂટનો રસ્તો હતો. આ રસ્તા પરથી અકબર રાજાની દીકરી સુરતના મક્કા એટલે કે મક્કાઈપુલના ઓવારા પર હજ્જ પઢવા આવી હતી. સમયની સાથે આ રસ્તો આજે લુપ્ત થઇ ગયો છે. પરંતુ આ ગામ સાથે અનેક વાતો જોડાયેલી છે.કહેવાય છે કે આજથી સો-બસો વરસ પહેલા સુરત ખાતે વેપાર અર્થે નીકળતા વણઝારા આ ગામ પાસેથી પસાર થતા હતા. ત્યારે મંગળ નામના વણઝારા દ્વારા આ ગામે એક કુવાનું નિર્માણ કર્યું હતું. આજે આ કુવો હયાત છે. જોગાનુજોગ આ કુવો મંગળ નામના વણઝારાએ બનાવ્યો હતો અને આ કુવામાં મંગળવારે જ પાણી ઉભરાતું હોવાથી મંગળીયો કુવાના નામે ઓળખાય છે.
પરિયા ગામના આગેવાનોની વાત માંનીએતો માંડવીના મહીડા નામના રાજાનું આ વિસ્તારમાં શાસન હતું અને આ ગામમાં મહીડા જાતિના રજપૂતો વસતા હોવાથી તે સમયે મહીડા રાજાએ પરિયા ગામને કર મુક્ત કર્યું હતું. આ ગામના ઇતિહાસના પુરાવાની વાત કરીએ તો ભાવનગરના વલ્ભીપુર મ્યુઝિયમમાં મુકેલા નકશામાં આજનું પરિયા ગામ નકશામાં પરીયાઈ નામથી જોવા મળે છે. આ ગામમાં તે સમયે જૈનોની વસ્તી હતી. આજે સમયની સાથે ગામનું નામ બદલાઈ પરિયા થઇ ગયું છે. પરિયા ગામમાં જૈનની વસ્તી નથી. ગામમાં રાજપૂત કોળી પટેલ પ્રજાપતિ દેસાઈ હળપતિ અને માહ્યાવંશી જાતિના લોકો રહે છે અંદાજીત ૩૫૦૦ વસ્તી ધરાવતું ગામ છે.પણ આજે આ ગામમાં વણઝારા દ્વારા બનાવેલ ઐતિહાસિક કુવો આકર્ષણનું કારણ બન્યો છે.
મંગળનામના વણઝારા દ્વારા બનાવેલા આ કુવામાં દુકાળના સમયે પણ પાણી સુકાયા નથી. ખાસ કરીને આ કુવામાં દર મંગળવારે પાણી ઉભરાઈ છે. ત્યારે ગામના યુવાનો દ્વારા કુવામાં ૪ થી ૫ મોટરો મૂકી પાણી કાઢવા માટે પ્રયાસ કર્યો તો પાણી કુવામાંથી ઓછું થતું નહોતું. આથી ગામના આગેવાનોની સલાહ લઇ ગામના યુવાનોએ કુવામાં ઉતરી જે જગ્યા પરથી સતત પાણીનું ઝરણું વહી રહ્યું હતું ત્યાં મોટો પત્થર મૂકી ઝરણાના સ્રોતને બંધ કરવા પ્રયાસ કર્યો હતો. જોકે પત્થર મુકવાના કારણે આજે પાણીનો પ્રવાહ ઓછો થઇ ગયો છે પણ છતાં દર મંગળવારે આજે પણ કુવામાં પાણી આપોઆપ વધી જાય છે
ઐતિહાસિક કુવામાંથી આજે આખા ગામમાં પીવાનું પાણી સપ્લાય થાય છે. આ કુવો આજે ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બન્યો છે. મંગળીયા કુવામાં મંગળવારે પાણી ઉભરતા આ કુવો મંગળીયા કુવાના નામે ઓળખાય છે. ગામમાં કોઈનું મરણ થાય કે પછી લગ્ન પ્રસંગ હોય ત્યારે આ કુવાના પાણીનો ઉપયોગ થાય છે અને કુવાની પૂજા પણ કરવામાં આવે છે.