દિલ્લીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટર્મિનલ 3 પર રેડિયોએક્ટિવ પદાર્થ લીક થવાની ખબર પછી હલચલ મચી ગઈ હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન અને અગ્નિશામન દળના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર બહાર આવ્યા નથી. તપાસ બાદ દળોએ કોઈ ખતરો ન હોવાની જાણ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે લીક કેન્સરની દવાઓથી થયું હતું. જે એર ફ્રાન્સના વિમાનમાંથી આવ્યું હતું. એક અધિકારીએ કહ્યું હતું કે રેડિયોએક્ટિવ લીક એકદમ મામૂલી હતું અને તેને લઈને ચિંતા કરવા જેવું નહોતું.
અગ્નિશામક દળોના અધિકારીના જણાવ્યા પ્રમાણે એરપોર્ટ પર આશરે સાડા દસ વાગ્યે મેડિકલ ઉપકરણમાંથી સંદિગ્ધ રેડિયોએક્ટિવ પદાર્થ લીક થવાની ઘટના વિશે તેમને ફોનથી જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે એર ફ્રાન્સથી આવેલા ઉપકરણને કાર્ગો ટર્મિનલ પર રાખવામાં આવ્યા હતા.