છેલ્લા એક અઠવાડિયાથી ઓવરફ્લો થઇ રહેલા નર્મદા ડેમનો નજારો માણવા માટે રવિવારે એક લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડયા હતાં. પ્રદુષણ મુક્ત વાતાવરણ અને સાટપુડાની ગીરી કંદરાઓ વચ્ચે બનાવવામાં આવેલ સરદાર સરોવર ડેમ પર પ્રવાસીઓને સ્વચ્છ હવા અને કુદરતી વાતાવરણને કારણે આનંદની અનુભૂતિ થાય છે. જે કારણે પ્રવાસીઓ અહીં વારંવાર આવવા આકર્ષાય છે. ત્યારે આજથી શરૂ થયેલા મીની વેકેશનમાં પ્રવાસીઓ નર્મદા જીલ્લાના સૌદર્યને નાયગ્રા ધોધ સાથે સરખાવી ભરપૂર આનંદ માણી રહ્યા છે. તો વળી નર્મદા ડેમ નજીક જ બનનારું સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ ઉભું કરી રહ્યું છે. રવિવારની રજા હોવાના કારણે અંદાજે 1 લાખ જેટલાં પ્રવાસીઓએ ડેમની મુલાકાત લીધી હતી.
પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર એ પણ કમર કસી છે. નર્મદા પોલીસે પણ બહારથી પોલીસ બોલાવી લેધી છે જ્યારે SRP જવાનોની ટીમ તો તૈનાત જ છે બીજી બાજુ નર્મદા બંધ ઓવરફ્લો થવાને કારણે પ્રવાસન નિગમ પણ સજ્જ છે અને પ્રવાસીઓને ટિકિટ શાંતિથી મળી રહે તે માટે ટિકિટ બુથો પણ ઉભા કરાયા છે. ખાણી પીણીની લારીઓને પ્રોત્સાહન આપી તેમની રોજગારી વધે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.