બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Gujarati Cinema / ગુજરાતી સિનેમા / ગુજરાતી ફિલ્મ 'વશ'ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત
Last Updated: 09:48 PM, 23 September 2025
દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલી ભવ્ય પુરસ્કાર વિધિમાં, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે "વશ" ફિલ્મને "શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ" માટેનો એવોર્ડ એનાયત કરાયો, ફિલ્મના દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક (બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન) અને પ્રોડ્યુસર કલ્પેશ સોની (કે એસ એન્ટરટેઇન્મેન્ટ) એ આ એવોર્ડ સ્વીકાર્યો. અભિનેત્રી જાનકી બોડીવાલાને "શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી" માટેનો એવોર્ડ એનાયત કરાયો. દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને પ્રોડ્યુસર કલ્પેશ સોની સહીત વશ ફિલ્મના પ્રોડ્યુસર્સ કૃણાલ સોની (કે એસ એન્ટરટેઇન્મેન્ટ), નિલય ચોટાઈ (અનંતા બિઝનેસ કોર્પ) અને દિપેન પટેલ (પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયો) પણ આ મહત્વપૂર્ણ કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.
ADVERTISEMENT
ગત મહિને 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. , જેમાં 1 જાન્યુઆરી, 2023 થી 31 ડિસેમ્બર, 2023 વચ્ચે CBFC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) તરફથી પ્રમાણપત્ર મેળવનાર ફિલ્મો પાત્ર હતી. જેમાં જાનકી બોડીવાલા સ્ટારર સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ "વશ"એ ગુજરાતી ફિલ્મ જગતનું નામ રોશન કરતા બે એવોર્ડ જીત્યા હતા..વશ શ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરાઇ હતી અને અભિનેત્રી જાનકી બોડીવાલાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. તે વખતે જાહેરાત થયા બાદ આજે દિલ્હીમાં આ એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાઇ ગયો.
ADVERTISEMENT

આ અવસરે પ્રોડ્યુસર્સ કૃણાલ સોની, કલ્પેશ સોની, નિલય ચોટાઈ અને દિપેન પટેલ એ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, “અમારે માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. ‘વશ’ બનાવતી વખતે અમે ક્યારેય વિચાર્યું નહોતું કે ફિલ્મને આટલું મોટું રાષ્ટ્રીય સન્માન મળશે. આ એવોર્ડ સમગ્ર ટીમની મહેનત અને દર્શકોના પ્રેમનું પરિણામ છે. આ સન્માન અમને વધુ સારા વિષયો પર કામ કરવાની પ્રેરણા આપે છે. અમે માનીએ છીએ કે ગુજરાતી સિનેમા હવે નવી દિશામાં આગળ વધી રહ્યું છે અને આ સફરમાં ભાગીદાર બનવું અમારા માટે સદભાગ્ય છે.”
ADVERTISEMENT

દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકે આ અવસરે જણાવ્યું હતું કે, "અમારા માટે ગર્વની વાત છે કે ગુજરાતી સિનેમામાં સાયકોલોજિકલ હોરર જેવા વિષયને પ્રામાણિક રીતે રજૂ કરી શક્યા. આ રાષ્ટ્રીય સન્માન સાબિત કરે છે કે જો કન્ટેન્ટ મજબૂત હોય તો ભાષા કે રિજનલ લિમિટેશન કોઈ અવરોધ નથી. આ એવોર્ડ મારી ટીમ અને દર્શકો બંનેને સમર્પિત છે.”
ADVERTISEMENT
અભિનેત્રી જાનકી બોડીવાલાએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિના હસ્તે આ સમ્માન મળે એનાથી વધુ ખુશીની ક્ષણ શું હોઈ શકે. હું "વશ"ની આખી ટીમ અને ખાસ કરીને કૃષ્ણદેવ સરનો આભાર માનું છું કે તેમણે મને આ તક આપી. આ પુરસ્કાર મારા અભિનયની કારકિર્દીમાં મોટો માઈલસ્ટોન છે."

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ એવોર્ડની જાહેરાત વચ્ચે 'વશ' ફિલ્મને લઈને હિતેનકુમારનું મોટું નિવેદન, VTV Podcastમાં કરી દીધી મોટી વાત
'વશ' એક મનોવૈજ્ઞાનિક હોરર થ્રિલર ફિલ્મ છે કે જે દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે. વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર આ ફિલ્મમાં જાનકી બોડીવાલા સાથે હિતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ મહત્વનો છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે હિતેન કુમાર વશીકરણથી જાનકી બોડીવાલાને પોતાના વશમાં કરી લે છે. આ ફિલ્મે અંત સુધી લોકોને જકડી રાખ્યા હતા. આ ફિલ્મ પરથી બૉલીવુડમાં પણ ફિલ્મ બની. 2023માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વશ’ એ તેના ગાઢ કથાનક, ડરામણી વાર્તા, અનોખી સિનેમેટોગ્રાફી અને કલાકારોના શક્તિશાળી અભિનયને કારણે દર્શકો અને સમીક્ષકો બંનેની પ્રશંસા મેળવી હતી. ફિલ્મમાં આર્યાની ભૂમિકા ભજવનાર જાનકી બોડીવાલાએ ભય, સંઘર્ષ અને તણાવ જેવી લાગણીઓને એવી અસરકારક રીતે વ્યક્ત કરી હતી કે તેને ખુબજ પ્રશંસા પ્રાપ્ત થઇ હતી
ADVERTISEMENT
આ રાષ્ટ્રીય સન્માન માત્ર ફિલ્મ ‘વશ’ની ટીમ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવની વાત છે. સાઈકોલોજિકલ હોરર જોનર કે જે સામાન્ય રીતે રિજનલ સિનેમામાં બહુ જોવા મળતી નથી, તેને આ ફિલ્મે એક નવો દરજ્જો અપાવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.