બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:35 AM, 4 March 2026
West Asia Crisis: પશ્ચિમ એશિયામાં વધતા સંકટને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સરકારે કુલ 58 વિશેષ ફ્લાઈટ્સ સંચાલિત કરવાનો નિર્ણય લીધો છે. જેથી સંકટગ્રસ્ત વિસ્તારોમાં રહેલા યાત્રિકોને તાત્કાલિક રાહત મળી શકે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સતત મોનીટરીંગ કરી રહ્યા છે અને સ્થાનિક દૂતાવાસો સાથે સંકલન સાધી કામગીરી આગળ વધી રહી છે. આ અભિયાનમાં ખાનગી અને સરકારી એરલાઈન્સ બંનેનો સહકાર લેવામાં આવ્યો છે. IndiGo દ્વારા 30 ફ્લાઈટ્સ અને Air India દ્વારા 23 ફ્લાઈટ્સ સંચાલિત કરવામાં આવશે. બાકીની ફ્લાઈટ્સ જરૂરિયાત મુજબ ગોઠવાશે. સરકારનું કહેવું છે કે પ્રાથમિકતા વૃદ્ધો, મહિલાઓ અને તાત્કાલિક પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકોને આપવામાં આવશે. તમામ ફ્લાઈટ્સ માટે સુરક્ષા અને વ્યવસ્થાની ખાસ કાળજી લેવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકટના સમયમાં ટિકિટના ભાવમાં અનિયંત્રિત વધારો ન થાય તે માટે પણ સરકાર કડક નજર રાખી રહી છે. એરલાઈન્સને સૂચના આપવામાં આવી છે કે માનવતાના આધારે ભાડાં નક્કી કરવામાં આવે. જરૂર પડે તો સરકાર ભાડાં નિયંત્રિત કરવા હસ્તક્ષેપ પણ કરશે. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર સતત નજર રાખીને ભારત સરકાર નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ હોવાનું પુનરોચ્ચાર કર્યો છે.
ADVERTISEMENT
4 માર્ચે ભારત સરકારે કુલ 58 વિશેષ ફ્લાઇટ્સ સંચાલિત કરવાની યોજના બનાવી છે. જેમાં 30 ફ્લાઇટ્સ IndiGo દ્વારા અને 23 ફ્લાઇટ્સ Air India તેમજ Air India Express દ્વારા ચલાવવામાં આવશે. આ તમામ ફ્લાઇટ્સ હાલમાં બંધ અથવા પ્રતિબંધિત એરસ્પેસને ટાળીને વૈકલ્પિક માર્ગોથી સંચાલિત કરવામાં આવી રહી છે. ગલ્ફ ક્ષેત્ર અને ભારત વચ્ચે કેટલીક વિદેશી એરલાઇન્સ પણ મર્યાદિત સંખ્યામાં ઉડાનો ચલાવી રહી છે. જે સંપૂર્ણપણે ઓપરેશનલ પરિસ્થિતિ અને ઉપલબ્ધ એરસ્પેસ પર આધારિત છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ ખાસ કરીને અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિને કારણે અનેક દેશોએ પોતાનો એરસ્પેસ અસ્થાયી રીતે બંધ કર્યો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર સીધી અસર પડી છે.
ADVERTISEMENT
નાગરિક ઉડ્ડયન મંત્રાલય મુજબ DGCAના અહેવાલ અનુસાર ભારતીય એરલાઇન્સ દ્વારા અત્યાર સુધીમાં કુલ 1221 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે વિદેશી એરલાઇન્સે 388 ઉડાનો રદ કરી છે. માત્ર મંગળવારે જ ભારતીય એરલાઇન્સે 104 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી હતી. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ત્રણ દિવસના ગાળામાં કુલ 1117 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થવાની નોંધ લેવાઈ છે. જે હાલની વૈશ્વિક પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. સરકાર દ્વારા તમામ એરલાઇન્સને મુસાફરોને સમયસર અને સ્પષ્ટ માહિતી આપવા તેમજ રિફંડ, રિશેડ્યુલિંગ અને અન્ય સહાય સંબંધિત નિયમોનું કડક પાલન કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
Air India એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી છે કે પશ્ચિમ એશિયાની તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 4 માર્ચ 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી United Arab Emirates, સાઉદી અરેબિયા, ઈઝરાયેલ અને કતાર માટેની તેની મોટાભાગની ફ્લાઇટ્સ અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે. એરલાઇને સ્પષ્ટ કર્યું છે કે તે વિસ્તારની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને સ્થિતિ મુજબ આગામી નિર્ણય લેવામાં આવશે. સાથે જ સરકારે મુસાફરોની સુરક્ષા પ્રાથમિકતા હોવાનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું છે કે સેવાઓને તબક્કાવાર સામાન્ય બનાવવા માટે એરલાઇન્સ, એરપોર્ટ ઓપરેટરો, નિયમનકારી સંસ્થાઓ અને વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધીને કામ ચાલી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.