બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VTV વિશેષ / ખોપડીઓને ટ્રોફીની જેમ સજાવતો, મગજનું સૂપ બનાવીને પીતો આ સીરિયલ કિલર, ડાયરીએ ખોલ્યા ધ્રુજાવી નાખે એવાં રહસ્ય
Last Updated: 08:00 AM, 27 April 2025
ઝાડ પર લટકેલી એ ખોપડીઓ!
ADVERTISEMENT
ચો તરફ લીલોતરી, પક્ષીઓનો કલરવ, વચ્ચોવચ નાની ઓરડી ... અહીં બેસો તો ભરઉનાળાની ભરબપોરે પણ ઠંડક અનુભવાય, હાશ થાય. પણ, ખાટલે બેસીને ઉપર નજર કરો તો, હાડ કાંપી ઉઠે. ઝાડ પર લટકેલી છે, સંખ્યાબંધ માનવ ખોપડીઓ. એ પણ જુદા જુદા રંગથી રંગાયેલી. થોડીવાર પહેલા અનુભવાતી નીરવ શાંતિને આ ખોપડીઓ બિહામણી શાંતિમાં ફેરવી દે છે, એટલે સુધી કે અલાહબાદ પોલીસના અધિકારીઓ પણ આ જોઈને બે પગલા પાછા હટી ગયા. વાત છે, એક ગુમ પત્રકારની જેને શોધવામાં પોલીસે દિનરાત એક કરી દીધા, અને આ ખોપડીઓ લટકેલા ઝાડ સુધી પહોંચી ગઈ.
પોલીસ સ્ટેશનનો ફોન રણક્યો અને...
ADVERTISEMENT
17 ડિસેમ્બર, 2001. અડધી રાતે પોલીસ સ્ટેશનમાં ફોન રણકે છે. ટ્રિન-ટ્રિન, ટ્રિન-ટ્રિન અને ફોન ઉપાડતા જ ગભરાયેલા સ્વર સાથે સામેથી અવાજ આવે છે, સાહેબ ઓ સાહેબ, પ્લીઝ Help me. હું પત્રકાર ધીરેન્દ્રસિંહની પત્ની બોલું છું. રાત પડવા આવી, તોય મારા પતિ બે દિવસથી ઘરે નથી આવ્યા. અને ફોન પણ નથી ઉપાડતા. ખબર નહીં કયા કામમાં અટવાઇ ગયા છે. ફોન પણ સ્વીચ ઑફ આવે છે, 48 કલાકથી અમે તેમને બધે જ શોધી રહ્યા છીએ. તો પ્લીઝ સર, અમારી મદદ કરો.' ત્યાં જ પોલીસવાળા કહે છે, 'બહેન, ગભરાશો નહીં. સવાર પડતા જ પોલીસ સ્ટેશન આવી જજો'. તો પત્નીએ એ વખતે ઓકે તો કહી દીધું. પણ પતિના વિરહમાં પત્નીએ આખી રાત કઇ રીતે પસાર કરી એ તો પત્નીને જ ખબર. આખી રાત ઉજાગરા કરી પરિવાર બેસી રહ્યો. નાના શહેરમાં પત્રકારોની ઓળખાણ ખૂબ સારી હોય છે, મોટાભાગના લોકો ઓળકતા હોય છે. જેમ જેમ ધીરેન્દ્રસિંહના ગુમ થવાની વાતની જાણ લોકોને થતી ગઈ તેમ તેમ પત્રકાર મિત્રોના ફોન આવતા ગયા. કોઇ કહે, હું PIને વાત કરું, તો કોઇ કહે હું ઉપર સુધી વાત કરું છું, ચિંતા ના કરો. છેલ્લે બોસનો પણ કોન્ટેક્ટ કર્યો, તોય કોઇ જ ભાળ ના મળી. સવાર પડતા જ ધીરેન્દ્રસિંહનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યાં સુધી તો તેમના દરેકના મનમાં અઢળક વિચારો આવી ગયા હતા, કે ક્યાંક અજુગતું ના થયું હોય. કોઇકે અપહરણ તો નથી કરી લીધું ને? અથવા ટેન્શનમાં ને ટેન્શનમાં ક્યાંક અકસ્માત તો નહીં થયો હોય ને.
ગાડી જેવી પોલીસ સ્ટેશન પહોંચી કે તરતજ હાંફળો-ફાંફળો થઇ ગયેલો પરિવાર દોટ મૂકીને પોલીસ સ્ટેશનમાં ભાગ્યો. ખુરશીમાં બેઠા ના બેઠા, ત્યાં તો પત્નીએ કહ્યું, 'સાહેબ ફટાફટ FIR લખજો ને, 48 કલાક થઇ ગયા તોય મારા પતિ નથી મળ્યા. પ્લીઝ, ગમે તે થાય, મારા પતિને શોધી લાવો.' ત્યાં જ સામેથી રાઇટરનો અવાજ આવ્યો,'અરે બેન, શાંતિથી, ચિંતા ના કરો, તમારા પતિ તમને મળી જશે. અમે આજે જ અમારી ટીમને શોધખોળમાં લગાડી દઇએ છીએ.' ધીરેન્દ્રસિંહની ચિંતિત પત્ની સતત પોલીસને વિનંતી કરી રહી હતી,'બસ સાહેબ, એટલી મહેરબાની કરજો. ખબર નહીં, તેઓ કઇ હાલતમાં હશે, શું કરતા હશે, તેમની સાથે શું થયું હશે?'
દિવસો વીત્યા, ભાળ ન મળી
પોલીસે FIR તો લખી, પણ બીજી તરફ પોલીસની પણ ચિંતા એટલી જ હદે વધતી. ગુમ થયેલ વ્યક્તિ હતી પત્રકાર. ન્યૂઝપેપરોમાં પણ પત્રકાર ગાયબ થયાના સમાચાર આગની જેમ પ્રસરાઇ ગયા. એટલે વિપક્ષના નેતાઓ પણ મેદાને આવ્યા. પછી તો બાકી જ શું રહે. પોલીસે આ કેસમાં દિવસ-રાત એક કરી દીધા. તપાસ દરમ્યાન પોલીસના મનમાં અનેક સવાલો પણ ઉઠવા લાગ્યાં. જેમ કે, શું પત્રકાર કોઇ એવી સ્ટોરી તો નહોતા કરી રહ્યાં ને જેમાં તેમને કોઇ ધમકી મળી હોય, અથવા પત્રકારનું કોઇ દુશ્મન તો નથી ને! જેવાં અનેક સવાલો સાથે પોલીસ કેસને ઊંડાણથી ખોતરવા લાગી. તોય પત્રકારનો પત્તો ન લાગ્યો. ત્યાં જ પોલીસને એક એવી કડી હાથ લાગી જેનાથી આશાનું કિરણ જાગ્યું.
એક નહીં, 20 લોકો ગુમ થયા હતા
ગુમ પત્રકારની શોધમાં પોલીસ એવી ઊંડી ઉતરી ગઇ કે ભૂતકાળમાં થયેલી ક્રાઇમ હિસ્ટ્રીને પણ શોધી-શોધીને ખંગાળવા લાગ્યા. ત્યાં જ એવાં કેસના કાગળિયા હાથ લાગ્યા કે જેને વાંચતા જ પોલીસ ચોંકી ઉઠી. તપાસમાં જાણવા મળ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી અલ્હાબાદની આસપાસના વિસ્તારોમાંથી અંદાજે પંદરથી-વીસેક લોકો ગાયબ થઇ ગયા છે. પરંતુ હજુ સુધી તેનો કોઇ જ પત્તો નહોતો લાગ્યો. જ્યારે મહિનાઓમાં બેથી ચાર લોકો ગાયબ થઇ ગયા છે. ત્યાં જ પોલીસે મગજ દોડાવવાનું શરૂ કર્યું, કે પત્રકારના ગુમ થવાને અને આ લોકોને ગુમ થવાને કોઈ સંબંધ તો નથી ને? બાકીના ગુમ થયેલા લોકો સામાન્ય હતા, એટલે પોલીસે તેમની શોધ કરવામાં ધ્યાન નહોતું આપ્યું. પરંતુ હવે તપાસ કરવી જરૂરી હતી.
લેન્ડલાઇન નંબરે પોલીસને ચકરાવે ચડાવી
દિવસોના દિવસો વીતી જતા પરિવારને બે ઘડી તો એમ થઇ ગયું કે હવે ધીરેન્દ્રસિંહનો પત્તો નહીં લાગે. બીજી તરફ સમાજમાં પણ આ કેસની ચર્ચાઓ બંધ થઇ ગઇ, ના પોલીસ, ના મીડિયા, એકેય સાઇડથી રિએક્શન આવવાના બંધ થઇ ગયા, જોકે થોડા જ દિવસોમાં ફરીવાર મીડિયાએ પ્રેશર લગાવતા પોલીસે પત્રકારના કેસમાં આગળ ઝંપલાવ્યું. અપનાવ્યા અલગ-અલગ એંગલ, ક્યારેક પરિવાર સાથે પૂછપરછ કરે, તો ક્યારેક સાથી મિત્રો સાથે પૂછપરછ કરે, તો ક્યારેક હિસ્ટ્રીશીટર્સની પૂછપરછ કરે. એમ કરતા-કરતા પોલીસને હાથ લાગી કૉલ ડિટેઇલ્સ. જેમાંના એક નંબરે પોલીસને છેક નૈની સુધી દોડતી કરી દીધી. જે આવેલું અલ્હાબાદની જ નજીક.
નંબરે ખોલી પોલ
મોબાઇલની કૉલ ડિટેઇલ્સ ફંગોળતા પોલીસને હાથ લાગ્યો એક એવો લેન્ડલાઇન નંબર જેને પોલીસને ચકરાવે ચડાવી દીધી, કારણ કે પત્રકાર ધીરેન્દ્રસિંહના મોબાઇલ પર આવેલો આ એક માત્ર એવો લેન્ડલાઇન નંબર હતો કે જે લિસ્ટમાં સૌથી છેલ્લો હતો, એમાંય ચોંકાવનારી વાત એ હતી કે, બંને સાઇડથી કૉલિંગ થયેલો. પાછું રહી જતું હતું, તો કૉલિંગ ટાઇમિંગે પણ પોલીસને હક્કા-બક્કા કરી દીધા. કારણ કે નૈની એક એવા વિસ્તાર તરીકે ઓળખાય છે જ્યાં આઠ વાગ્યા નહીં, કે ઘરની લાઇટો ટપોટપ બંધ થઇ નહીં. રસ્તાઓ તો જાણે એવાં થઇ જાય કે, બહાર નીકળતા જ બીક લાગે. ત્યાં રાતના પોણા બાર વાગ્યે પત્રકાર ધીરેન્દ્રસિંહને એવી શું ઇમરજન્સી આવી ગઇ કે છેક નૈની કૉલ કરવો પડ્યો. નહીં પરિવાર, નહીં ઓફિસ કે નહીં મિત્ર સર્કલ. તો ધીરેન્દ્રસિંહે છેલ્લે જે લેન્ડલાઇન નંબર પર કોલ લગાવ્યો તે ખરેખર છે કોણ. બસ આ જાણવા જ પોલીસે એક ટીમ તૈયાર કરી, જેને આ ફોનનંબર ધરાવનારની પાછળ તપાસમાં લગાવી.
થઈ 'અદાલત' અને 'ઝમાનત'ની એન્ટ્રી
ફોન નંબર ફૂલનદેવીના પરિવારનો હતો. ચંબલના ફૂલનદેવી નહીં, પરંતુ આ તો એક સામાન્ય ગૃહિણી હતા. પતિ રામનિરંજન ડેપોમાં ડ્રાઈવરની નોકરી કરતો હતો. પોલીસને અહીં એક એવી માહિતી મળી, જેનાથી રામનિરંજનની પૂછપરછ શરૂ થઈ. રામનિરંજને પોતાના બે બાળકોના નામ અદાલત અને ઝમાનત રાખ્યા હતા. પોલીસને અહીં દાળમાં કંઈક કાળુ હોવાની શંકા ગઈ. પોલીસે પૂછપરછ શરૂ કરી બંને પતિ-પત્નીને સામે બેસાડ્યા, ને પૂછ્યું, કે પત્રકાર ધીરેન્દ્રસિંહને તમે કઇ રીતે ઓળખો છો? કારણ કે તે કેટલાય સમયથી ગાયબ છે. એમાંય છેલ્લો કોલ તમારા લેન્ડલાઇન નંબર પરથી આવેલો છે. તો જે હોય તે સાચેસાચું કહી દેજો. નહીંતર પછી ના કહેતા. ત્યાં જ રામનિરંજનની પત્નીએ કહ્યું 'હું તો આની વિશે કંઇ જ જાણતી નથી', ત્યાં જ રામનિરંજને કહ્યું,'હા હું ઓળખું છું, મારા તો મિત્ર છે. કારણ કે તેઓ ન્યૂઝપેપરમાં પત્રકાર છે. એમાંય મારી પત્ની ચૂંટણી લડતી હોય એટલે મારે તો કોન્ટેક્ટમાં રહેવું જ પડે. પરંતુ ધીરેન્દ્રસિંહ સાથે મારે ચાર દિવસ જ વાત થયેલી, ત્યાર બાદ મારે ધીરેન્દ્રસિંહ સાથે કોઇ જ વાત નહોતી થઇ. હા ક્યારેક-ક્યારેક ફોન કરતા.' કંઇ જ પુરાવો હાથ ન લાગતા પોલીસને નિરાશ થઇ વીલા મોંએ પાછી ફરી.
પોલીસ ફરી ડેડએન્ડ પર હતી. અધિકારીઓએ રામનિરંજનની ફરી પૂછપરછ કરવાનું નક્કી કર્યું, અને આ વખતે કામ કડકાઈથી લીધું. પોલીસે પોતાનો પાવર બતાવતા જ રામનિરંજન પોપટની જેમ બોલવા લાગ્યો. જો કે, તેણે પોલીસ પાસે અજુગતી ડિમાન્ડ કરી. કહ્યું 'હું બધું જણાવીશ, પરંતુ મારી ધરપકડ ન કરતા.' રામનિરંજને પોલીસ પાસે દાળ પીવાની માગ કરી. પોલીસે એક વાટકી દાળ મંગાવી તો કહે ના, કૂકર ભરીને દાળ લાવો. પોલીસ વળી કૂકર ભરીને દાળ લાવી, રામનિરંજન આખું કૂકર ચટ કરી ગયો. છેવટે રામનિરંજને કહ્યું,'જો હું તમને બધું જ બતાવી દઉં, તો તમે ગેરંટી આપશો કે મને છોડી દેશો?' તો પોલીસ પણ વિચારે છે કે લાવો ને અત્યારે ખાલી લોલીપોપ આપવામાં આપણું શું જવાનું? અને બેધડક પોલીસ કહી દે છે,'કંઇ નહીં, છોડી દઇશું, નહીં પકડીએ.' અને રામનિરંજને ખેલાયેલા ખૂની ખેલની કહાની શરૂ કરી.
કેસમાં એન્ટ્રી થઇ 'રાજા કલંદર'ની
રામનિરંજને પોલીસને કહ્યું,'ચાલો મારી સાથે.' તો પોલીસ પણ આખી ટીમ સાથે રામનિરંજનને લઇને નીકળી પડી. અને પહોંચી નૈની ગામની એ જગ્યાએ, જ્યાં એક ખેતર હતું, એ ખેતરની અંદર એક રૂમ બનાવેલો. જાણે નાની ઓરડી. એ ખેતર પણ રામનિરંજનનું જ હતું. જેને તે 'ફાર્મ હાઉસ' તરીકે ઓળખાવતો. જ્યાં ખેલાયેલો મોતનો ખૂની ખેલ. રામનિરંજન પોલીસને રૂમ બતાવીને કહે છે,'આ રૂમ રાજા કલંદરનો છે. રાજા કલંદર વિશ્વનો સૌથી બુદ્ધિશાળી માણસ છે. તેના મગજની આગળ દુનિયામાં કોઇનું પણ મગજ કંઇ જ નથી. અને તેનો શોધવો પણ અશક્ય છે. રાજા કલંદર આ જ ખેતરમાં, પોતાની અદાલત લગાવે છે. ક્યારેક-ક્યારેક, અને તે પછી ફેંસલો પણ સંભળાવે છે, અને તેની સજા પણ આપે છે.'
પોલીસને લાગ્યા ટાઢા પહોરના ગપ્પા
આટલું સાંભળતા જ પોલીસ વિચારે છે કે, આ શું ઠોકમઠોક કરે છે. તોય પોલીસ સાંભળતી જ જાય છે. અને વિચારે છે કે, આ રાજા કલંદર વચ્ચે ક્યાંથી આવ્યો. આવું કહેતા જ પોલીસની નજર સાઇડમાં પડેલી એક બોરી પર જાય છે, રામનિરંજન બોરીમાંથી એક માથું પણ બહાર કાઢે છે. જે દ્રશ્ય જોતા જ પોલીસના પણ શ્વાસ બે ઘડી થંભી જાય છે કે આ શું? રામનિરંજન જાણે કોઈ અચીવમેન્ટ કહેતો હોય, તેમ કહે છે,'આ કોઇ શ્રીવાસ્તવ છે.' પછી ફરી અંદર હાથ નાખીને બીજું એક માથું કાઢે છે. પોલીસ પૂછે છે, આ કોણ છે? તો કહે છે, 'આ મુઇમભાઇનું છે.' હવે પોલીસ જે દ્રશ્ય જુએ છે તેને જોતા જાણે સામે કોઇ રાક્ષસ બંને હાથમાં બે ખોપડી લઇને ઊભો હોય તેવું લાગી રહ્યું હતું. હવે ત્યાં જ ખેતરમાં રહેલા એક ઝાડ તરફ નજર કરવાનું રામનિરંજન પોલીસને કહે છે, તો એ દ્રશ્ય કોઇ ખૌફનાક હોરર સિરિયલથી કમ નહોતું. તેની ઉપર ખોપડીઓ લટકેલી, એ પણ કલર કરેલી. હવે પોલીસે કહ્યું કે,'આ બધું શું છે? આ બધું કોણે કર્યું?' તો સામેથી જવાબ મળ્યો,'રાજા કલંદરે.'
રાજા કલંદરે સજા ફટકારી
વિચિત્ર દ્રશ્યો જોઇને ડગમગી ગયેલી પોલીસે અંતે પૂછ્યું કે, 'પત્રકાર ધીરેન્દ્રસિંહ ક્યાં છે? જેઓ કેટલાય સમયથી ગાયબ છે.' અને રામનિરંજને જવાબ આપ્યો, 'તેને પણ રાજા કલંદરે જ સજા ફટકારી. જેને માર્યા બાદ તેની લાશના જે ટુકડાંઓ હતા તેને મધ્યપ્રદેશ નજીક આવેલા એક રીવા વિસ્તારમાં ફેંકી દીધા.' હવે પોલીસ પણ કંટાળી કે શું ક્યારનો રાજા કલંદર, રાજા કલંદર મંડી પડ્યો છે, આખરે કોણ છે આ રાજા કલંદર? જેનું વારંવાર આ રામનિરંજન નામ લઇ રહ્યો છે. જોકે પોલીસને પેલા તો રામનિરંજનની વાતનો વિશ્વાસ નહોતો આવ્યો. પરંતુ રામનિરંજને જ્યારે એવું કહ્યું કે, 'હું તમને એ જગ્યાએ લઇ જઉં તો, જ્યાં ધીરેન્દ્રસિંહની લાશના ટુકડાં ફેંકવામાં આવ્યા છે. પછી તો માનશો ને'. અને પોલીસ ફરીથી રામનિરંજનને લઇને ઉપડી રીવા. જ્યાં ધડ અને માથું બંને અલગ-અલગ મળ્યા. એટલે એ તો કન્ફર્મ થઇ ગયું કે, આ રામનિરંજન બોલ્યો તો સાચું. કે ધીરેન્દ્ર સિંહની હત્યા થઇ ગઇ છે. પરંતુ આ મર્ડર કર્યું તો કોને કર્યું. અને આ રાજા કલંદરને આ હત્યાકાંડ સાથે શું સંબંધ છે? ત્યારે પોલીસ પૂછે છે કે, 'તે જે કહ્યું એ બધું તો સત્ય છે પરંતુ આ રાજા કલંદર છે કોણ?' તો પહેલા તો રામનિરંજન પોલીસને પણ ગોળ-ગોળ ફેરવવાની કોશિશ કરે છે. પરંતુ પોલીસ જ્યારે કડકાઇથી તેની પૂછપરછ કરે છે ત્યારે ખુલે છે અસલી હત્યાકાંડનો પર્દાફાશ. અને જાણવા મળે છે કે, રાજા કલંદર બીજું કોઇ નહીં, પરંતુ તેના દિમાગનો એક વહેમ છે. અસલમાં રામનિરંજન એ જ રાજા કલંદર છે.
બાળપણથી જ રામનિરંજનને વધારે ગુસ્સો આવતો. એક વખત જ્યારે તેણે કોઇની પાસે લિફ્ટ માંગી, પરંતુ સામેવાળાએ (દૂરની પરિચિત વ્યક્તિ) તેને લિફ્ટ ન આપી, તો ગુસ્સામાં ને ગુસ્સામાં તેને પતાવી દીધો. માત્ર લિફ્ટ આપવાની ના પાડી, તો તેને દુનિયામાંથી જ અલવિદા કરી દીધો. તેને પણ ફાર્મ હાઉસ પર લઇ જઇને પતાવી દીધો. તે મોટા ભાગે પોતાના જ ખેતરમાં લોકોને બોલાવતો. જેને તે ફાર્મહાઉસ તરીકે બોલાવતો, અને ત્યાં જ સામેવાળાનું તે કાસળ કાઢી નાખતો. આ તેની ખાસિયત હતી. અને આજ રીતે એક બાદ એક લોકોને પતાવતો ગયો, પતાવતો ગયો અને લોકોના માથા ઝાડ પર લટકાવતો ગયો. એ પણ કલર કરેલા. ધીરેન્દ્રસિંહને પણ આ જ રીતે તેને ફાર્મહાઉસમાં બોલાવે છે, કે કંઇક કામ છે. કામના ન્યૂઝ આપવા છે. આ સાથે તેનો એક સાળો પણ હતો, વચ્છરાજ. અને એ સમયે ડિસેમ્બરનો મહિનો ચાલતો હતો. ઠંડી હતી એટલે ધીરેન્દ્રસિંહને આગ શેકવા બેસાડી દીધો. ત્યાં જ વચ્છરાજ આવે છે, અને પાછળથી આવીને દેશી કટ્ટાથી ધીરેન્દ્રસિંહને તે ગોળી મારી દે છે. બાદમાં બંને સાથે મળીને ધીરેન્દ્રસિંહનું ધડ અલગ કરી નાખે છે. અને બોડીના ટુકડે-ટુકડાં કરી નાખે છે. માથું પોતાની પાસે જ રાખે છે. પરંતુ માથાને તે ક્યારેય નહોતો ફેંકતો.
વધુ વાંચોઃ વિષ કન્યાએ લીધો 2000થી વધુ પુરુષોનો ભોગ, બનાવી મહિલાઓની ગેંગ, પણ કોઈ ન આપી શક્યું સજા
મગજનો સૂપ બનાવીને પી જતો
આ હત્યાકાંડની શરૂઆત કેવી રીતે થઈ? પૂછપરછમાં રામનિરંજને કહ્યું કે તેણે સાંભળ્યું હતું કે કાયસ્થ લોકો દિમાગના ખૂબ તેજ હોય છે. તો તેમના મગજ કઇ રીતે તેજ હોય છે. એક ચેક કરવા એક કાયસ્થને તેને ખેતરે બોલાવ્યો. અને તેના ટુકડા કરી તેના ધડ અને શરીરના પાર્ટ્સને ફેંકી દીધા. પરંતુ માથામાંથી મગજ કાઢી તેનું સૂપ બનાવીને પી ગયો. તેની માન્યતા હતી કે તે એવું વિચારતો કે તેનાથી મારું મગજ તેના જેવું જ તેજ થઇ જશે. બસ આ જ રીતે તે બધા સાથે આવું જ કરતો. અને બાદમાં ખોપડીને તે કલર કરી દેતો. અને તેની પર તે લખતો કે આ કાયસ્થની ખોપડી છે, આ પંડિતની છે, આ મુસ્લિમની છે. આવું હિન્દીમાં તે લખતો. બાદમાં તે ખોપડીઓને ઝાડ પર લટકાવી દેતો. જ્યારે પોલીસને આ વાતની ખબર પડી તો પોલીસના પગ નીચેથી તો જાણે જમીન સરકી ગઇ.
14 પેજની ડાયરીએ કર્યો ઘટસ્ફોટ
બાદમાં પોલીસને તપાસ દરમ્યાન રામનિરંજનના ઘરમાંથી એક ડાયરી મળી. જે તેના 14 પેજ ભરેલા હતા, જ્યારે બાકીના પેજ ખાલી હતા. જેમાં લખેલું માત્ર એક નામ, જાતિ અને તેની પર હતું ચોકડીનું નિશાન. 14એ 14 નામની આગળ તેને ક્રોસ કરેલું. જેમાં પેલું નામ કાલીચરણ શ્રીવાસ્તવનું હતું જ્યારે 14મું જે નામ હતું તે ધીરેન્દ્ર સિંહનું હતું. જોકે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેને 30 લોકોની હત્યા કરી નાખેલી. પણ 30ના પુરાવા નહોતા મળ્યા.
ખોપડીઓને ટ્રોફીની જેમ સાચવતો
2001માં જ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરાઇ. 11 વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ નીચલી કોર્ટે આદમખોર ગણીને, રાજા કલંદર એટલે કે રામનિરંજન અને તેના સાળા યશરાજ બંનેને 2012માં ઉંમરકેદની સજા ફટકારી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.