બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / વિશ્વ / તાજા દફનાવેલા મૃતદેહ સાથે અલી બ્રધર્સ કરતા અરેરાટી ઉપજાવતું કામ, કીડીઓએ ખોલ્યું કેસનું ચોંકાવનારું રહસ્ય
લગભગ મોડી રાતનો સમય. દૂર દૂર સુધી ન તો માણસ કે માણસનું કોઈ નિશાન દેખાતું હતું, એમાંય આ તો કબ્રસ્તાન ને અમાસની ઘોર અંધારી રાત. ક્યાંક ક્યાંકથી ચીબરીનો બિહામણો અવાજ અને શિયાળની લાળીઓ વાતાવરણને વધુ ડરામણું બનાવી રહી હતી. કોઈ બહાદુર માણસ પણ આવી સ્થિતિમાં કબ્રસ્તાનમાં આવતા થર થર કાંપે એવી સ્થિતિમાં બે ભાઈઓ ચોરીછૂપે એક કબર ખોદી રહ્યા હતા. જાણે કોઈ જોઈ જાય એની બીક લાગતી હોય તેમ થોડી થોડી વારે ખોદીને ચારે તરફ નજર નાખી લેતા, પોતે સેફ છે એવું સમજીને ફરી ખોદકામ શરૂ કરતા. આખરે એમને જે જોઈતું હતું તે મળ્યું. થોડા કલાકો પહેલા જ સાંજે આ જ કબરમાં એક યુવતીને દફનાવાઈ હતી, તેનો મૃતદેહ કાઢીને બંને ભાઈઓ થેલામાં ભરી નીકળી પડ્યા. બંનેના ચહેરા પર લોટરી લાગી હોય એવી ખુશી હતી. પણ આ બે ભાઈઓ તાજા દફનાવેલા મૃતદેહને લઈ કેમ જતા હતા? શું આ કોઈ તાંત્રિક વિધિની શરૂઆત હતી? આવા સવાલોના જવાબ તમને ક્રાઈમ સિક્રેટ્સના આજના ઉઘડતા પાનામાં મળશે.
ADVERTISEMENT
અડધી રાત્રે ખોદાઈ રહી હતી કબર
ADVERTISEMENT
પાકિસ્તાનનું પંજાબ રાજ્ય, જેના ભક્કર જિલ્લાનો દરિયાખાન વિસ્તાર. અહીં એક પરિવાર પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યો અને હોહા મચાવી. હજી ગઈકાલે સાંજે જ તેમણે પોતાની 24 વર્ષની લાડલી દીકરી સારા પરવીનના મૃતદેહને દફનાવ્યો હતો. આજે જ્યારે પરિવાર શ્રદ્ધાંજલિ આપવા કબ્રસ્તાન પહોંચ્યો તો કબર ખોદી નખાયેલી હાલતમાં હતી. પરિવારને કંઈક અજુંગતું થયાની આશંકા થઈ. હજી કેટલાક દિવસ પહેલા આ જ કબ્રસ્તાનમાં આવી જ એક ઘટના બની હતી. જેમાં આરોપીએ મૃતદેહને બહાર કાઢીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પરિવારને પણ આ જ ડર પેઠો, તેમણે કબર વધુ ખોદી અને ચોંકી ઉઠ્યા. કબરની અંદર સારાનો મૃતદેહ હતો જ નહીં. આખરે પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસે ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક તપાસ શરૂ કરી.
પોલીસે દરવાજો તોડ્યો અને...
ADVERTISEMENT
પોલીસને પોતાના સુત્રોથી માહિતી મળી કે એક વ્યક્તિ લગભગ દરરોજ કબ્રસ્તાનમાં અવરજવર કરે છે. જો કે પોલીસે આ વાતને ખાસ ગંભીરતાથી ન લીધી, પરંતુ સૂત્રો પાસેથી પોલીસને તાંત્રિક વિદ્યાની પણ સૂચના મળી. આખરે પોલીસે શંકાના આધારે વૉચ ગોઠવી. થોડા દિવસ તો આવું કોઈ દેખાયું નહીં, પોલીસ પણ કંટાળી હતી કે માહિતી સાચી નથી. ત્યાં જ એક દિવસ અચાનક આ વ્યક્તિ કબ્રસ્તાનમાં આવતો દેખાયો. પોલીસે આ વ્યક્તિને ઝડપી લીધો અને દરેક આરોપી પોતે કશું જ નથી કર્યું, તેનું રટણ કરતો હતો. પોલીસ આરોપીને લઈને તેના ઘરે પહોંચી. પહેલો આરોપી શંકાના આધારે ઝડપાયો તેનું નામ હતું ફરમાન અલી. ફરમાન અલી અને આરીફ અલી નામના બે સગાભાઈઓ સાથે જ રહેતા હતા. પહેલી નજરે તો પોલીસને અલી બ્રધર્સના ઘરે કંઈ શંકાસ્પદ મળ્યું નહીં, પરંતુ એક રૂમ પર તાળું લાગેલું હતું. પોલીસે ફરમાન અલી પાસે ચાવી માગી તો તેણે રૂમ આરીફ અલીનો હોવાનું કહી ચાવી એની પાસે હોવાનું રટણ કર્યું. આખરે પોલીસે દરવાજો તોડી નાખ્યો.
ADVERTISEMENT
કીડીઓએ ખોલ્યા કિસ્સાના રાઝ
દરવાજો ખૂલતા જ અજીબ પ્રકારની દુર્ગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ. જે દ્રશ્ય સામે હતું તે જોઈને પોલીસના જવાનોને પણ ઉલટી આવી ગઈ. એક ખૂણામાં માંસથી ભરેલું વાસણ પડ્યું હતું, બાજુમાં પડેલી છરી પર પણ માંસના ઝીણા ઝીણા ટુકડા ચોંટેલા હતા. આ વાસણ પાસે સંખ્યાબંધ કીડીઓ હતી, જ્યાંથી કીડીઓની લાઈન ઘરના જ બીજા વિસ્તારમાં જતી હતી. પોલીસે કીડીઓની લાઈન પર નજર કરી તો કીડીઓ એક બોરીમાં જતી હતી. બોરીમાં એક યુવતીની કપાયેલી લાશ હતી, જેના બંને પગ નિર્દયતાથી કાપી નખાયેલા,એક પગ બાજુમાં જ પડ્યો હતો, અને બીજો પગ ગાયબ હતો. આ એ જ યુવતી સારાનો મૃતદેહ હતો, જે એક દિવસ પહેલા કબ્રસ્તાનમાંથી ગાયબ થયો હતો. ઘટનાસ્થળ જોઈને બે મિનિટ માટે પોલીસ પણ સૂધબૂધ ખોઈ બેઠી. થોડી વાર તો શું થઈ રહ્યું છે, તે કોઈની સમજમાં ન આવ્યું. આખરે પોલીસે ફરમાન અલીની ધરપકડ કરી અને તેના ભાઈ આરીફ અલીની શોધખોળ શરૂ થઈ.
ADVERTISEMENT
તાંત્રિકની વાતમાં આવી બની ગયા નરભક્ષી
ADVERTISEMENT
આખરે આરિફ પણ ઝડપાયો, પોલીસે પોતાના અંદાજમાં પૂછપરછ શરૂ કરી. પોલીસ તપાસમાં બંને ભાઈઓએ જે ખુલાસા કર્યા, તે જાણીને એમ થાય કે આ બંનેને ફાંસીથી કમ કોઈ સજા થવી જ ન જોઈએ. વિકૃતિની હટ વટાવતા ગુનાખોરીનો ખુલાસો થયો. સૌથી મોટો ખુલાસો એ હતો કે અલી બ્રધર્સે સારાના મૃતદેહ સાથે જે કર્યું, તે કોઈ પહેલો વહેલો ગુનો નહોતો. આની પહેલા તેઓ 150થી વધુ મૃતદેહને કબરમાંથી કાઢીને શેકીને ખાઈ ચૂક્યા હતા. અલી બ્રધર્સ નરભક્ષી હતા. વિકૃતમાં વિકૃત ગુનેગાર પણ ન વિચારી શકે તેવું કામ આ બંને ભાઈઓ વર્ષોથી કરતા આવતા હતા. પોલીસ તપાસમાં બીજો પણ એક ચોંકાવનારો ખુલાસો થયો. ફરમાન અલી અને આરિફ અલી, આ બંને ભાઇઓના લગ્ન પણ થઇ ચૂકેલા, તેઓને બાળકો પણ હતા. પાછો પરિવાર પણ વધારે ગરીબ હતો. જોકે મળતી વિગત અનુસાર, કદાચ ગરીબાઇના કારણે જ બંને ભાઇઓ વધારે દુઃખી રહેતા અને પત્નીઓની મારઝૂડ કરતા. જેનું પરિણામ તેઓએ ભોગવવું પડ્યું. 2010માં બાળકો સહિત બંને ભાઇઓની પત્નીએ પિયર તરફ ચાલતી પડી અને અહીંથી જ બંને ભાઇઓએ પાર કરી વિકૃતિની પરાકાષ્ઠા. કેટલાક વર્ષો પહેલા અલી બ્રધર્સની મુલાકાત એક તાંત્રિક સાથે થઈ હતી. તાંત્રિકે તેમને સલાહ આપી કે જો જીવનમાં સુખી થવું હોય તો મનુષ્યનું માંસ ખાઓ, તમારા બધા જ દુઃખ દૂર થઈ જશે. જો કે, આ માનવ માંસ ખાવા માટે હત્યા પણ તમારે જ કરવી પડશે. દુઃખ દૂર કરવાની લ્હાયમાં અલી બ્રધર્સે તાંત્રિકની વાત તો માની લીધી, પરંતુ કોઈની હત્યા કરવાનો જીવ ન ચાલ્યો. આશ્ચર્યજનક વાત છે કે હત્યા કરવાનો જીવ તો ન ચાલ્યો, પરંતુ મરેલા લોકોના માંસ ખાવાનું તેમને સરળ લાગ્યું.

માનવમાંસ ખાવાનો ચસકો લાગ્યો!
પછી તો બંને ભાઈઓને જાણે માનવ માંસ ખાવાની આદત પડી ગઈ, જાણે લત લાગી. રોજે રોજ કબ્રસ્તાનમાં જઈને નવી નવી લાશો ઘરે લઈ જતા અને નાના નાના ટુકડા કરી, પકવીને ખાઈ જતા. બંનેની ખાસ આદત એ હતી કે તેઓ તાજા દફનાવેલા મૃતદેહ જ સિલેક્ટ કરતા હતા. લગભગ 150 જેટલા મૃતદેહ સાથે આવી હરકત કરવા છતાંય, બંને હજી સુધી પોલીસને હાથે નહોતા ચડ્યા. પણ કહેવાય છે ને કે પાપનો ઘડો ભરાઇ જાય એટલે ફૂટ્યાં વિના ન રહે. બસ આ કબ્રસ્તાન કાંડમાં પણ આવું જ થયું. જો કે, આ આખી ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આટલા ખતરનાક ઘટનાક્રમ છતાંય, કોર્ટે તેમને માત્ર 2 વર્ષની સજા ફટકારી. તો તમને જાણીને કદાચ નવાઇ લાગશે કે આની માટે કોઇ અલગથી કાયદો નથી, તેમજ આવા ગુનામાં સજાનું કોઇ ચોક્કસ ધોરણ પણ નથી. એટલે કોર્ટે મૃતદેહ સાથે અમાનવીય હરકત કરવાના આરોપમાં બંને ભાઇઓને બે-બે વર્ષની સજા ફટકારી દીધી. 2013માં બંને ભાઈઓ જેલમાંથી બહાર આવ્યા, તો લોકોના રોષનો ભોગ બનતા બનતા રહી ગયા. લોકોએ બંનેને જેલમાં જ રાખવાની માંગ કરી. પરંતુ કોર્ટના આદેશ સામે કોનું ચાલે. અંતે બંને ભાઇઓ સાથે કોઇ મોટી જાનહાનિ ના થઇ જાય એ માટે તેઓને પોલીસ સુરક્ષા આપવાની ફરજ પડી. સાથે બંને ભાઇઓ વિરૂદ્ધ વિરોધના સૂર ઉઠતા બંનેને એવી જગ્યાએ રાખવામાં આવ્યા કે જ્યાં કોઇ જ આ બંને ભાઇઓને નહોતું ઓળખતું.
... પણ આદત ન છૂટી
આમ કરતા કરતા એક વર્ષ નીકળી ગયું. 1 વર્ષ સુધી તો બંને ભાઈઓ માટે કોઈ ફરિયાદ ન આવી. પોલીસ સહિત બધાને લાગ્યું કે તેઓ સુધરી ગયા છે. પરંતુ 2014માં ફરી પોલીસ સ્ટેશનનો ફોન રણકી ઉઠ્યો. આ વખતે પણ ઘટનાસ્થળ પાકિસ્તાનના પંજાબનો ભક્કર જિલ્લો જ હતો. પોલીસને ફોન કરનાર વ્યક્તિએ માનવ માંસ શેકાતું હોવાની દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરી હતી. પોલીસ જ્યારે મહોલ્લામાં પહોંચી તો છેક છેલ્લા ઘર સુધી માનવમાંસની દુર્ગંધ આવતી હતી. પોલીસ દુર્ગંધનું મૂળ શોધતી શોધતી પહોંચી, દરવાજો ખખડાવ્યો તો ફરી સામે હતા અલી બ્રધર્સ! દરવાજો ખોલીને પોલીસ અંદર પહોંચી તો ફરી એના એ જ દ્રશ્યો. એક બાળકનું કપાયેલું માથું સાઈડમાં પડ્યું હતું. એક વાસણમાં શેકેલા માંસના ટુકડા પડ્યા હતા, જે બંને ભાઈઓ ખાઈ રહ્યા હતા. પોલીસે 24 ઓક્ટોબર, 2014ના રોજ ફરી બંને માનવભક્ષી ભાઈઓની ધરપકડ કરી.

આ વખતે ફરી કોર્ટમાં કેસ ચાલ્યો. લોકોને લાગતું હતું કે આ વખતે પણ બંને નરભક્ષી ભાઈઓને ખાસ સજા નહીં થાય. પરંતુ પુરાવાને આધારે અને ગુનાની ગંભીરતા તેમજ આરોપીઓનો ભૂતકાળ જોતા કોર્ટે આ વખતે અલી બ્રધર્સને 12 વર્ષની સજા ફટકારી. આજે પણ આ બંને ભાઈઓ જેલની હવા ખાઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.