કોરોના સંકટથી દેશની અર્થવ્યવસ્થાને રાહત આપવા માટે સરકારે કુલ 20 લાખ કરોડના આર્થિક પેકેજનું એલાન કર્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 5 દિવસ પ્રેસ કોન્ફરન્સ કરી આ આર્થિક રાહત પેકેજ વિશે જાણકારી આપી હતી. જોકે, જાણીતી રેટિંગ એજન્સી મુડીઝ ઇન્વેસ્ટર્સ અનુસાર આ આર્થિક પેકેજથી કોરોના વાયરસની નકારાત્મક અસર પૂર્ણ રીતે ખતમ નહીં થાય.
સરકારે કુલ 20 લાખ કરોડના આર્થિક પેકેજનું એલાન કર્યું હતું
આર્થિક પેકેજથી કોરોના વાયરસની નકારાત્મક અસર પૂર્ણ રીતે ખતમ નહીં થાય : મુડીઝ
આ ઉપરાંત અમેરિકી બેકિંગ કંપની ગોલ્ડમેન સાસનું માનવું છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થામાં 5 ટકાનો ઘટાડો થશે. આ ભારતનું એક વર્ષનું સૌથી ખરાબ પ્રદર્શન હશે.
મુડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે કહ્યું કે સરકાર દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવેલા 20 લાખ રૂપિયાના આર્થિક પેકેજથી નાણાકીય સંસ્થાઓની સંપત્તિ પરના જોખમમાં ઘટાડો આવશે, પરંતુ કોરોના વાયરસની નકારાત્મક અસરો પૂર્ણ રીતે ખતમ નહીં થાય. મુડીઝે કહ્યું, સરકારના ઉપાયોથી નાણાકીય ક્ષેત્ર માટે સંપત્તિ પરના જોખમને ઓછુ કરવામાં મદદ મળશે, પરંતુ તેઓ કોરોના વાયરસ મહામારીના નકારાત્મક પ્રભાવોને પૂર્ણ રીતે દૂર કરી શકશે નહીં.
એમએસએમઇ પેકેજ વિશે રેટિંગ એજન્સીએ કહ્યું કે કોરોના પ્રકોપ પહેલા આ ક્ષેત્ર તણાવમાં હતું, આર્થિક વિકાસમાં મંદી વધુ ઘેરી બનતા રોકડની ચિંતાઓ વધી જશે. જ્યારે નોન બેન્કિંગ કંપનીઓને લઇને મુડીઝે કહ્યું કે આ મદદ કંપનીઓની તાત્કાલિક જરૂરિયાતોની તુલનામાં ખુબજ ઓછી છે.
જ્યારે ગોલ્ડમેન સાસ મુજબ કોરોના સંકટથી ભારતીય અર્થવ્યવસ્થામાં આ ત્રિમાસીક ગાળામાં 45 ટકાનો ઘટાડો જોવા મળશે. આ ઉપરાંત જીડીપી (GDP) માં આ વર્ષે 5 ટકાનો ઘટાડો આવવાની આશંકા છે.
જ્યારે રેટિંગ એજન્સી ફિચ સૉલ્યૂશન્સે કહ્યું કે કોરોના વાયરસ સંકટથી બહાર નીકળવામાં સરકાર દ્વારા જાહેર કરાયેલ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ હાલ તો ચિંતાઓને દૂર કરવામાં સક્ષમ નથી. ફિચ અનુસાર, પેકેજ હેઠળ અપાયેલ વાસ્તવિક નાણાકીય મદદ જીડીપીના માત્ર એક ટકા છે, જ્યારે દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે તે જીડીપીનું 10 ટકા છે.