શ્રાવણ મહિનો શિવજીનો માનવામાં આવે છે, વેદકાળથી જ શિવજીની ઉપાસના થતી આવી છે. નીલકંઠ, શિવજી, ભૂતનાથ, અર્ધ નરનારીશ્વર જેવાં અનેક નામોથી જાણીતા ભગવાન શંકર સૃષ્ટિના રચિયતા છે. તેમને દેવોના દેવ કહેવાય છે.
ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. શિવ ભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો મહિનો એટલે શ્રાવણ માસ. સાત્ત્વિક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે.
બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે. દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્ત્વિકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરું, ત્રિશૂલ ધારક છે. ભૂતનાથ, ભૈરવાદી રુદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્વામી અને ભકતોના ઉપકારક છે.
તંત્ર સાધનામાં ભગવાન શિવને ભૈરવના નામથી પણ ઓળખવામાં આવે છે, હિંદુ ધર્મના મુખ્ય દેવતાઓમાંથી એક છે ભગવાન શિવ, વેદમાં તેમને રુદ્રના નામથી ઓળખવામાં આવે છે. શિવજીના ગળામાં હંમેશાં નાગ દેવતા બિરાજમાન રહેતા હોય છે અને તેમના હાથમાં ડમરું અને ત્રિશૂલ પણ જોવા મળે છે.
ભગવાન સદાશિવ પરમ બ્રહ્મ છે. ભાંગ, ધતૂરો, સાપ અને પ્રેત એ શિવના સાથી છે. આ બધાની ખરાબીને શિવે હરિ લીધી છે એથી જ તેમની સાથે જ રહેવા છતાં શિવ સૌમ્ય છે. આટલા માટે જ શિવ દેવોના દેવ મહાદેવ કહેવાય છે. શિવ મનુષ્યની ચેતનાના અંતર્યામી છે એટલે કે તેઓ મનુષ્યના મનમાં શું ચાલી રહ્યું છે તે બધું જાણતા હોય છે. તેમની અર્ધાંગી એટલે કે શિવ શક્તિને માતા પાર્વતીના નામથી ઓળખવામાં આવે છે.