૨૦૨૧ની હરાજી માટે હવે કિંગ્સ ઈલેવન પંજાબના પર્સમાં સૌથી વધુ રૂપિયા ૫૩.૨ કરોડ, જ્યારે ૨૧ ખેલાડીને રિટેન કરનાર SRH પાસે સૌથી ઓછું રૂ. ૧૦.૭૫ કરોડનું બેલેન્સ.
કિંગ્સ ઇલેવન પંજાબ પાસે સૌથી વધુ 53.2 કરોડનું બેલેન્સ
આઈપીએલ 2021 માટે 53 પ્લેયર્સની છુટ્ટી કરાઈ
21 પ્લેયર્સને રિટેન કરનાર સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે સૌથી ઓછુ 10.75 કરોડનું બેલેન્સ
આગામી આઈપીએલની સિઝન 11 ફેબ્રુઆરીએ યોજાઈ શકે છે
આઇપીએલ-૨૦૨૧ની હરાજી પહેલાં બધી ફ્રેંચાઇઝીઓએ મોટું સફાઈ અભિયાન હાથ ધરીને રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. કુલ ૧૩૩ ખેલાડી રિટેન કરાયા, ૫૩ની છુટ્ટી કરાઈ. હવે બધી ટીમની નજર હરાજીના દિવસ પર ટકેલી છે, જ્યાં પોતાની જરૂરિયાત પ્રમાણે પસંદગીના ખેલાડીઓને ટીમમાં સામેલ કરી શકે. ૨૦૨૧ની આઇપીએલ માટે તમામ ફ્રેંચાઇઝીએ પોતાની સ્થિતિ લગભગ સ્પષ્ટ કરી દીધી છે. આ બધી ટીમોએ ગઈ કાલે એ ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે, જેને આઇપીએલ-૨૦૨૧ માટે રિટેન કર્યા છે. આ સાથે જ એ ખેલાડીઓનું લિસ્ટ પણ બની ગયું છે, જેને ફ્રેંચાઇઝીઓએ રિલીઝ કરી દીધા છે. અહેવાલો અનુસાર આગામી સિઝનની હરાજી ૧૧ ફેબ્રુઆરીએ યોજાઈ શકે છે. હવે જ્યારે હરાજી યોજાશે ત્યારે કઈ ટીમના પર્સમાં કેટલાં નાણાં છે તેના પર એક નજર કરવા જેવી છે.
કિંગ્સ ઇલેવન પંજાબ પાસે પ્લેયર્સ માટે સૌથી વધારે બેલેન્સ
આ યાદીમાં સૌથી પહેલું નામ કિંગ્સ ઈલેવન પંજાબનું આવે છે, કારણ કે આ ફ્રેંચાઇઝી પાસે આઇપીએલ હરાજીમાં ખર્ચ કરવા માટે સૌથી વધુ ૫૩.૨ કરોડ રૂપિયાનું બેલેન્સ છે. આ સ્થિતિમાં તે ઘણા મોટા ખેલાડી પર બોલી લગાવી શકે છે. ત્યાર બાદ બીજા અને ત્રીજા નંબર પર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સનું નામ આવે છે. આરસીબી પાસે હાલ ૩૫.૭ કરોડ રૂપિયા છે. આરસીબીએ પોતાના સૌથી ઓછા ખેલાડીઓમાં વિશ્વાસ મૂક્યો છે. આ ટીમે ૨૦૨૦માં સામેલ ૧૨ ખેલાડીઓને જ રિટેન કર્યા છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ પાસે ૩૪.૮૫ કરોડનું બેલેન્સ છે. આરસીબીની નજર ઓલરાઉન્ડર ખેલાડીઓ ખરીદવા પર રહેશે, કારણ કે આરસીબીએ મોઇન અલી અને ક્રિસ મોરિસને રિલીઝ કરી દીધા છે, જ્યારે રાજસ્થાનની ટીમની નજર સ્ટીવ સ્મિથને રિલીઝ કર્યાં બાદ એક વિસ્ફોટક બેટ્સમેનને પોતાની ટીમમાં સામેલ કરવા પર રહેશે.
મુંબઈ અને રાજસ્થાને તેનાં 17-17 પ્લેયર્સ રિટેન કર્યાં છે
ચેન્નઈ સુપર કિંગ્સ પાસે ૨૨.૯ કરોડ રૂપિયાનું બેલેન્સ છે. રૂ. ૧૨.૮ કરોડના બેલેન્સ સાથે દિલ્હી કેપિટલ્સ પાંચમા નંબર પર છે. કોલકાતા નાઇટ રાઇડર્સ ૧૦.૮૫ કરોડના બેલેન્સ સાથે છઠ્ઠા સ્થાન પર છે. જ્યારે સૌથી ઓછું રૂ. ૧૦.૭૫ કરોડનું બેલેન્સ સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે છે, કારણ કે સનરાઇઝર્સે સૌથી વધુ ૨૧ ખેલાડીઓને રિટેન કર્યા છે. દિલ્હી કેપિટલ્સે ૧૯ અને સીએસકેએ ૧૮ ખેલાડીને રિટેન કર્યા છે. મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સે ૧૭-૧૭ ખેલાડીઓને રિટેન કર્યા છે. કિંગ્સ ઈલેવન પંજાબે ૧૬ અને કોલકાતા નાઇટ રાઇડર્સે ૧૩ ખેલાડીઓ સાથે પોતાનો કોન્ટ્રાક્ટ આગળ ધપાવ્યો છે.
આગામી આઈપીએલમાં સીએસકે પર ચાહકોની નજર રહેશે
આગામી હરાજી પર મોટા ભાગના ચાહકોની નજર ચેન્નઈ સુપર કિંગ્સ પર રહેશે. સીએસકેએ ગત વર્ષે ઘણું નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આઇપીએલના ઇતિહાસમાં એવું પહેલી વાર બન્યું હતું, જ્યારે આ ટીમ પ્લેઓફ માટે પણ ક્વોલિફાય કરી શકી નહોતી અને પોઇન્ટ ટેબલમાં તે સાતમા સ્થાને રહી હતી. આ સ્થિતિમાં હવે સીએસકેની નજર હરાજીમાં યુવા ખેલાડીઓ ખરીદવા પર રહેશે.