કિશન ભરવાડ હત્યા કેસમાં કંગના રાણાવતે મોટું નિવેદન આપતા કહ્યું કે તે શહિદ છે તેની પત્નીને પેન્શન મળવું જોઈએ. સાથેજ તેણે કહ્યું કે કિશન જેવા યુવકો જ દેશને અફઘાનિસ્તાન બનતા અટકાવે છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ કંગના ફરી ચર્ચામાં
ગુજરાતના અમદાવાદમાં આવેલ ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યા થઈ છે. જે હાલ ઘણો ચર્ચાનો વિષય બન્યો છે. ગત 25 તારીખે યુવક કિશન ભરવાડની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જેના કારણે હાલ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે બોલીવૂડ એક્ટj કંગના રાણાવતે પણ કિશન ભરવાડની હત્યાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.
કિશન શહીદ કરતા ઓછો ન કહેવાય: કંગના
ફેસબુક પર પોસ્ટ કરીને કંગનાએ કહ્યું કે કિશન ભરવાડની હત્યા આયોજનબદ્ધ રીતે કરવામાં આવી છે. મૌલવી દ્વારા આયોજનબદ્ધ રીતે તેની હત્યા કરવામાં આવી છે. જેથી સરકારે હત્યારાઓ સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ. વધુમાં કંગનાએ એવું પણ કીધું છે કે મૃતક કિશનની ઉંમર 27 વર્ષની હતી અને તેને એક નાની દિકરી પણ છે. તેણે જે પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી હતી તે પોસ્ટમાં તેને માફી માગવાનું કહેવામાં આવ્યું હતું તેણે તેમ કર્યું પરંતુ તેમ છતા તેની ઘાતકી હત્યા કરવામાં આવી. જેથી તે શહીદ કરતા ઓછો ન કહેવાય.
તેની વિધવાને પેન્શન મળવું જોઈએ: કંગના
કંગનાએ આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર એવું પણ કહ્યું છે કે કિશન જેવા યુવકોજ આપણા દેશને અફઘાનિસ્તાન બનતો અટકાવી રહ્યા છે. જેથી કિશનની વિધવાને પેન્શન મળવું જોઈએ. હાલ કંગનાએ કરેલી ફેસબુક પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે અને આ પોસ્ટ એક ચર્ચાનો વિષય પણ બની ગઈ છે.
એટીએસની ટીમના હાથમાં આવ્યો આખો કેસ
ઉલ્લેખનીય છે કે યુવક કિશન ભરવાડની હત્યાના કેસમાં વધું એક આરોપીની રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસે અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરી છે. જેણે આરોપી મૌલવીને હથિયાર આપ્યા હતા. જોકે આ કેસ હવે એસઓજીની ટીમ દ્વારા એટીએસને આપી દેવામાં આવ્યો છે. ગઈકાલે મોરબીથી પણ હત્યામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.