અમદાવાદઃ શનિવારે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે. ત્યારે વહેલી સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવશે. 4:30 વાગ્યે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવામાં આવશે. ત્યારબાદ 5 વાગ્યે ભગવાનને પાટા ખોલવામાં આવશે. સાત વાગ્યે પહિંદવિધિ થશે. પહિંદવિધિ બાદ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન થશે.
પ્રથમવાર હેરિટેજ થીમ પર રથયાત્રા નીકળશે. જગન્નાથ એપથી લાઈવ રથયાત્રા નિહાળી શકાશે. રથયાત્રાના રૂટ પર CCTVની બાજ નજર રહેશે. ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રથયાત્રામાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
ભગવાનના મામેરાના ભક્તોએ કર્યા હતા દર્શન
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રથયાત્રામાં ભગવાનને આપવાનું મામેરું ગઇકાલે ભક્તોના દર્શન માટે મુકવામાં આવ્યું હતું. મામેરાના દર્શન કરવા માટે સરસપુરમાં ભકતોની ભીડ ઉમટી પડી હતી. ભગવાનના મામેરાને વાજતે ગાજતે મામાના ઘરે લઇ જવામાં આવ્યું હતું. જેમાં ગાયક રાજલ બારોટએ પોતાના સુરીલુ સંગીત આપ્યું હતું.
અમદાવાદમાં સરસપુરમાં ભગવાન જગન્નાથજીના મામેરાના દર્શન થયા હતાં. મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટ્યા હતાં. મામાના ઘરે મામેરાનું અનેરું મહત્વ છે. જય રણછોડના નાદ સાથે સરસપુર ગુંજી ઉઠ્યું હતું.