દુનિયાભરના ટોચના વૈજ્ઞાનિકોએ એક નવી ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે, જો આપણે આ પૃથ્વી અને સમગ્ર માનવજાતનું અસ્તિત્વ બચાવવું હોય તો બહુ જલ્દી તમામ લોકોએ શાકાહારી બનવું પડશે. પહેલી નજરે થોડી વિચિત્ર લાગતી આ ચેતવણી હકીકતમાં બહુ ગંભીર છે.
જળવાયુ પરિવર્તનથી ધરતી અને માણસોના અસ્તિત્વને જો બચાવવું હોય તો અત્યારથી ચેતી જાઓ. ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઑન ક્લાઈમેટ ચેન્જ (આઈપીસીસી)એ જારી કરેલા એક રિપોર્ટમાં જળવાયુ પરિવર્તન અંગે સાવચેત કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, જો બહુ જલ્દી આપણે બધા આપણી ખાવા-પીવાની આદતો અને જમીનનો ઉપયોગ કરવાની પ્રવૃત્તિમાં પ્રભાવશાળી ફેરફારો નહીં કરીએ તો ઈચ્છવા છતાં પણ આપણે ક્લાઈમેટ ચેન્જના ખતરનાક પરિણામોને રોકી નહીં શકીએ.
52 દેશોના 107 વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં 7000 સંશોધનોના નિષ્કર્ષને સામેલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અંતિમ પરિણામ કાઢવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં જળવાયુ પરિવર્તન અને પૃથ્વીની સતત ખરાબ થતી જતી ગુણવત્તા વચ્ચેના દુષ્ચક્રને સમજાવવામાં આવ્યું છે.
દુનિયાની બરફ મુક્ત 70 ટકા જમીનને માણસોએ બહુ ખરાબ રીતે પ્રભાવિત કરી છે. તેની એક ચતુર્થાંશ જમીનની ગુણવત્તા સાવ ખરાબ થઈ ગઈ છે. આજે જે ખાદ્ય પદાર્થ આપણે ઉત્પન્ન કરીએ છીએ અને જે કંઈ આપણે ખાઈ રહ્યા છીએ, તે પ્રકૃતિના તંત્રને ખતમ કરી રહ્યું છે. જૈવ વિવિધતા બહુ ઝડપભેર ઘટી રહી છે અને આ સૌથી ચિંતાજનક બાબત છે. જળવાયુ પરિવર્તનથી દુષ્કાળ, પૂર અને લૂની આફત વધુ ગંભીર બની છે.
વૈજ્ઞાનિકો માને છે કે, આપણે તાત્કાલિક ધોરણે જમીન પ્રબંધનના આપણા જૂના રીવાજો બદલી નાખવા જોઈએ. આ ઉપરાંત આપણે માંસના ઉપયોગ પર અંકુશ લગાવવું જોઈએ. દુનિયાભરમાં ઝડપથી વધી રહેલી માંસાહારની પ્રવૃત્તિ અને ખાદ્ય પદાર્થોની બરબાદીના કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું હોવાનો દાવો વૈજ્ઞાનિકોએ કર્યો છે.
ગ્લોબલ વોર્મિંગમાં માંસાહારનું યોગદાન 14.5 ટકા છે. રિપોર્ટ અનુસાર, તમામ પ્રકારના ખાદ્ય પદાર્થોમાંથી 25-30 ટકા એવા છે જેનો ક્યારેય ઉપયોગ જ કરવામાં આવતો નથી. બીજી તરફ કરુણતા એ છે કે, દુનિયામાં 82.1 કરોડ લોકો કુપોષિત છે અને તેમનો પૌષ્ટિક આહારની ખુબ જરૂર છે. આંકડાઓ અનુસાર, દુનિયાના પ્રત્યેક નવમાંથી એક વ્યક્તિને હાલ ભૂખ્યા પેટે સૂવાની મજબૂરીનો સામનો કરવો પડે છે.