ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામે બીજી ટી-૨૦ મેચમાં શાનદાર જીત હાંસલ કરીને ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી ૧-૧ની બરોબર પર લાવી દઈને રોમાંચ વધારી દીધો છે. દિલ્હીમાં રમાયેલી પ્રથમ ટી-૨૦ મેચ હાર્યા બાદ રાજકોટમાં ટીમ ઇન્ડિયાએ જીત હાંસલ કરી હતી.
નાગપુરમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ રહી છે સફળ
આવતી કાલની મેચ એક રીતે 'ફાઇનલ' સમાન
ત્રણ મેચની ટી-20 શ્રેણી 1-1ની બરોબર પર
હવે નાગપુરમાં શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આવતી કાલે ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૦૦ વાગ્યે રમાશે. આવતી કાલની મેચ એક રીતે 'ફાઇનલ' સમાન છે, કારણ કે જે ટીમ આવતી કાલે જીતશે તે શ્રેણી વિજેતા બનશે.
એમ તો ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામે ફક્ત એક જ ટી-૨૦ મેચ ગુમાવી છે, પરંતુ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રેકોર્ડ કંઈક અલગ જ વાત કહી રહ્યો છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૧૦ ટી-૨૦ મેચ રમાઈ છે, જેમાંથી બાંગ્લાદેશે ફક્ત એક જ મેચ જીતી છે.
નાગપુરમાં ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં માત્ર ત્રણ ટી-૨૦ મેચ રમી છે, જેમાંથી ફક્ત એક મેચમાં જ ભારતીય ટીમ વિજેતા બની છે, જ્યારે બે મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ટીમ ઇન્ડિયા શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ટી-૨૦ મેચ રમી ચૂકી છે, જેમાંથી ટીમ ઇન્ડિયા ફક્ત ઈંગ્લેન્ડને જ આ મેદાન પર હરાવી શકી છે.
નાગપુરમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ મેચ શ્રીલંકા સામે ૯ ડિસેમ્બર, ૨૦૦૯ના રોજ રમી હતી. એ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૧૫ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૮૯ રન બનાવી શકી હતી. જ્યારે ૨૦૧૬માં ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૭ વિકેટે માત્ર ૧૨૬ રન બનાવ્યા હતા, તેમ છતાં ટીમ ઇન્ડિયા સેન્ટનર અને ઈશ સોઢીની શાનદાર બોલિંગ સામે માત્ર ૭૯ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
૨૯ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૪ રન બનાવ્યા હતા, જેમાં કે. એલ. રાહુલે ૭૧ રનની ઇનિંગ્સ રમી હતી, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ છ વિકેટ ગુમાવીને ૧૩૬ રન જ બનાવી શકી હતી.
આશિષ નેહરાએ શરૂઆતમાં સફળતા અપાવી હતી, જ્યારે બૂમરાહે અંતિમ ઓવરમાં બે મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. નેહરાએ મેચમાં કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. બૂમરાહે ચાર ઓવરમાં માત્ર ૨૦ રન આપ્યા હતા અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.