રાજ્યમાં કોરોનાના કેસો વધતા અંબાજી ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, 15 જાન્યુઆરીથી આ તારીખ સુધી મંદિર દર્શાનાર્થીઓ માટે રહેશે બંધ
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટનો મોટો નિર્ણય
દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર બંધ રહશે
ગબ્બર શક્તિપીઠ પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
રાજ્યમાં કોરોનાના કેસો વધતા અંબાજી ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે નિર્ણય કરતા દર્શાનાર્થીઓ માટે આગામી 22 જાન્યુઆરી સુધી મંદિરના દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે, કોરોના સંક્રમણ વધતા રાજ્યમાં અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેમાં નેતાઓ પણ બાકાત રહ્યા નથી. ત્યારે મંદિરે આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર બંધ રહશે
કોરોનાનો કહેર વધતા અંબાજી મંદિર 15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં ગબ્બર શક્તિપીઠ પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે, સાથે જ 17 જાન્યુઆરીએ યોજાનારી પોષી પુનમનો કાર્યક્રમ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભક્તો માટે અંબાજી મંદિરથી આરતીનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. અંબાજી મંદિરમાં યોજાનાર માતાજીની શોભાયાત્રા તેમજ સાંસ્કુતિક કાર્યક્રમો પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે.
ગબ્બર શક્તિપીઠ પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
ગૃહ વિભાગની સુચનાને ધ્યાને રાખી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીની વ્યવસ્થાપક સમિતિની આજરોજ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી વ્યવસ્થાપક સમિતિ દ્વારા શ્રી અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 15 જાન્યુઆરી, 2022થી 22 જાન્યુઆરી, 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર સાંજની આરતીનું જિવંત પ્રસારણ કરવામાં આવશે.
આજે 11 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાતા હડકંપ
ગુજરાતની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ ચૂકી છે. આજે 11 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. આજે 24 કલાકમાં 11,176 કોરોનાના કેસ નોંધાયા છે, તો 5 દર્દીના મોત થયા છે. તો કોરોનાને માત આપીનો આજે કુલ 4285 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 50612 પહોંચી ગઇ છે. હાલ ગુજરાતમાં કુલ 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ સ્ટેબલ છે. આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો અને દર્દીઓ ઓછા સાજા થતા રિકવરી રેટ ઘટ્યો છે. આજે 93.23 ટકા રિકવરી રેટ નોંધાયો છે. આજે 3,11,217 લોકોને રસી અપાઈ ચૂકી છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 836140 દર્દી સાજા થયા અને કુલ 10142 દર્દીના મોત થયા છે. તો રાજ્યમાં 9,44,44,918 લોકોનું રસીકરણ કરાયું છે.