કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાય થઈ ગઈ છે. તેમણે બુધવારે કહ્યું કે તેમને હવે કોઈ જગ્યા પર નહી જોઈ શકો, હવે તે ફ્રી થઈ ગયા છે.
સાંસદ તરીકેનાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ આઝાદે નિવેદન આપ્યું
જીવીશ ત્યાં સુધી જનતાની સેવા કરતો રહીશ
1975માં જમ્મુ કશ્મીર યુવા કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ હતો
મને કોઈ મંત્રી પદ નહોતુ જોઈતું
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાએ તેમનાં રાજ્યસભામાં વિદાય બાદ હવે કહ્યું છે કે તેમની ઇચ્છા ક્યારેય સાંસદ બનવાની નહોતી કે તેમને કોઈ મંત્રી પદ પણ નહોતુ જોઈતું. તેની સાથે તેમને કોઈ પાર્ટીમાં પદ પણ નહોતુ જોઇતું. તેમણે કહ્યું કે એક રાજનેતા તરીકે તેઓ તેમના કામથી સંતુષ્ટ છે અને હવે તેઓ જીવશે ત્યાં સુધી જનતાની સેવા કરતા રહેશે.
ઘણાં પ્રધાનમંત્રીઓ સાથે કામ કર્યુ
તેમણે કહ્યું કે, હું 1975માં જમ્મુ કશ્મીર યુવા કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ હતો. મેં પાર્ટીમાં ઘણાં પદ પર કામ કર્યું છે. મેં ઘણાં પ્રધાનમંત્રીઓ સાથે પણ કામ કર્યું છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને દેશ માટે કામ કરવાની તક મળી છે. હું ખુશ છું કે મે ઈમાનદારીથી પોતાનું કર્તવ્ય નિર્વહન કર્યું છે. મને દેશ અને દુનિયાને જાણવા અને સમજવાની તક મળી.
મારા કામથી સંપૂર્ણ સંતુષ્ટ છું
વધુમાં આઝાદે કહ્યું કે, હું એક રાજનેતા તરીકે પોતાના કામથી સંપૂર્ણ સંતુષ્ટ છું. મને લાગે છે કે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી જનતાની સેવા કરતો રહીશ. આપણે અમુક લોકોને ઉંડાણપૂર્વક જાણીએ છીએ જ્યારે અમુક લોકોને ઉપરછલ્લા જાણીએ છીએ. જે મને ઉંડાણપૂર્વક સમજે છે તેમણે વર્ષો સુધી મારુ કામ જોયુ છે માટે તેઓ ભાવુક બની ગયા. હું એ સૌનો આભારી છું. હું એ લોકોનો પણ ધન્યવાદ માનુ છું જેમણે મને મેસેજ, ફોન અને મારા માટે ટ્વીટ કર્યાં.
હવે કોઈ પદ પર નહીં જુઓ
આઝાદે વધુમાં કહ્યું કે, હું પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને વિભિન્ન દળોનાં સહયોગીઓનો આભારી છું. જેમણે મારા વખાણ કર્યા અને જેમની સાથે મને કામ કરવાની તક મળી. હું હવે આગામી સમયમાં કોઈ પદ પર નહી રહું, હવે હું ફ્રી થઈ ગયો છું. સાંસદ કે મંત્રી બનવાની હવે મારી કોઈ ઇચ્છા નથી, મે ઘણું કામ કરી લીધુ છે.