બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:55 AM, 8 August 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંના એક એવા હોર્મુઝ સ્ટ્રેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલો મુજબ, ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને લઈને ફ્રેમવર્ક કરાર થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે આ કરારનો અંતિમ ડ્રાફ્ટ અને તેની સંપૂર્ણ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. જો આ દરિયાઈ માર્ગ ફરીથી સંપૂર્ણપણે ખુલશે તો ભારત સહિત વિશ્વના અનેક દેશોને રાહત મળી શકે છે અને વૈશ્વિક ઊર્જા બજાર પર પણ તેની સકારાત્મક અસર જોવા મળી શકે છે.
ADVERTISEMENT

અહેવાલો અનુસાર, ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના પ્રવક્તા હસન ગાશાઘવીએ જણાવ્યું છે કે ઈરાન અને ઓમાન વચ્ચેના કરારનું સામાન્ય માળખું અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કરારની અંતિમ શરતો અને અન્ય મહત્વપૂર્ણ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન સરકારના ઉચ્ચ સ્તરે હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
ADVERTISEMENT
હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવા અંગે પણ ઈરાને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઈરાનના જણાવ્યા મુજબ, આ નિર્ણય અમેરિકા દ્વારા દરિયાઈ નાકાબંધી હટાવવામાં આવશે કે નહીં તેના પર નિર્ભર રહેશે. હાલ સુધી અમેરિકાએ નાકાબંધી હટાવવાની કોઈ સત્તાવાર તૈયારી દર્શાવી નથી. તેથી સ્ટ્રેટ ક્યારે સંપૂર્ણપણે ખુલશે તે અંગે હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે.
ADVERTISEMENT
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી કામચલાઉ માર્ગો દ્વારા પસાર થતા જહાજોને કોઈ ખાસ મંજૂરી, પરમિટ અથવા વધારાની ફી ચૂકવવાની જરૂર પડશે નહીં. જોકે આ નિવેદન માત્ર હાલની અવરજવર માટે છે અને સ્ટ્રેટને સંપૂર્ણપણે ફરીથી ખોલવા અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેથી ઈરાન અને ઓમાન વચ્ચેની વાતચીતથી આશા તો વધી છે, પરંતુ અંતિમ કરાર માટે હજુ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાવાના બાકી છે.
ADVERTISEMENT
આ દરમિયાન વિદેશ મંત્રાલયના એક સૂત્રને ટાંકીને દાવો કર્યો છે કે પ્રસ્તાવિત કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોના પ્રવેશ પર ઈરાનનો નિયંત્રણ હોઈ શકે છે. સાથે જ ઈરાન અને ઓમાન સંયુક્ત રીતે જહાજોના બહાર નીકળવાના માર્ગની દેખરેખ રાખી શકે છે. અહેવાલ મુજબ, જહાજોની અવરજવર માટે એક કેન્દ્રીય દરિયાઈ માર્ગ નક્કી કરવામાં આવી શકે છે, જ્યારે હાલમાં મર્યાદિત ઉપયોગમાં રહેલા અન્ય બે માર્ગો નિશ્ચિત સમયગાળા બાદ બંધ કરવાની પણ યોજના હોઈ શકે છે. રાનના નાયબ વિદેશ પ્રધાન કાઝેમ ઘરીબાદીએ પણ આ અઠવાડિયે જણાવ્યું હતું કે ઓમાન સાથે સૈદ્ધાંતિક સ્તરે સમજૂતી થઈ ગઈ છે. જોકે અંતિમ કરાર માટે બંને દેશો વચ્ચે હજુ કેટલીક પ્રક્રિયાઓ પૂર્ણ થવાની બાકી છે.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આશા વ્યક્ત કરી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ અંગે ચાલી રહેલી વાતચીત સફળ રહેશે. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો વાટાઘાટોમાં વધુ પ્રગતિ થશે તો હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલનો પુરવઠો વધુ સ્થિર બનશે, જેના કારણે વૈશ્વિક બજારમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વધી શકે છે. જો બંને દેશો વચ્ચે અંતિમ કરાર થાય તો ગેસોલિન સહિતના ઈંધણના ભાવમાં પણ રાહત મળી શકે છે.
ADVERTISEMENT
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંનો એક માનવામાં આવે છે. વિશ્વના અંદાજે 20 ટકા તેલ અને ઊર્જા પુરવઠો આ જળમાર્ગમાંથી પસાર થાય છે. તાજેતરના તણાવ છતાં આ માર્ગ સંપૂર્ણપણે બંધ થયો નથી, પરંતુ અગાઉની સરખામણીએ અહીંથી થતો ઊર્જા પુરવઠો ઘટ્યો છે. જો હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી સંપૂર્ણપણે ખુલશે તો વૈશ્વિક બજારમાં તેલ અને અન્ય ઊર્જા ઉત્પાદનોનો પુરવઠો વધવાની સંભાવના છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય તેલ બજાર પરનું દબાણ પણ ઓછું થઈ શકે છે.
આ પણ વાંચો : નેતન્યાહૂએ લગાવ્યો PM મોદીને ફોન, કહ્યું ''Thank u'', જુઓ શું કહ્યું?
ભારત સહિત અનેક દેશો માટે હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ ખૂબ વધારે છે, કારણ કે ઊર્જા આયાતનો મોટો હિસ્સો આ જ માર્ગ પરથી આવે છે. તેથી જો ઈરાન અને ઓમાન વચ્ચેનો કરાર અંતિમ સ્વરૂપ ધારણ કરે અને અમેરિકા સાથેના મતભેદોમાં પણ ઘટાડો થાય, તો માત્ર વૈશ્વિક વેપાર જ નહીં પરંતુ ઊર્જા સુરક્ષા અને ઈંધણના ભાવમાં પણ નોંધપાત્ર રાહત મળવાની શક્યતા છે. હાલમાં સમગ્ર વિશ્વની નજર આ વાટાઘાટો અને અંતિમ કરાર પર ટકેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.