ગુજરાતમાં ગઈ કાલે અમદાવાદ સહિત કેટલાંક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થયો હતો જ્યારે હવે આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી જણાવવામાં આવી રહી છે.
ગુજરાતમાં 3 દિવસની વરસાદની આગાહી છે જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી શક્યતા જણાવાઈ રહી છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ અલર્ટ થઈ ગયું છે. NDRF અને SDRFએ પણ આગોતરી તૈયારીઓ કરીને પોતાની ટીમોને કામે લગાડી દીધી છે.
દ.ગુજરાતમાં ભારે વરસાદની વકીને પગલે તંત્રએ વલસાડ, સુરત, નવસારી ખાતે NDRFની એક-એક ટીમ રવાના કરી દીધી છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ અને રાજકોટમાં પણ એક-એક ટીમ મોકલવામાં આવી છે.
આ બાજુ 6 ટીમ વડોદરા તથા 1 ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જેથી જ્યાં જરૂર પડે ત્યારે મોકલી શકાય.
લાંબા સમય બાદ ફરી એક વખત મેઘરાજા સમગ્ર ગુજરાતમાં પધરામણી કરીને ખૂટતો વરસાદ પૂરો કરી રહ્યાં છે. રાજ્યમાં અવિરત વરસાદ છેલ્લાં કેટલાંક દિવસથી વરસી રહ્યો છે. ત્યારે 188 તાલુકાઓમાં ગઈ કાલે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ થયો છે.
આ બાજુ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે પ્રાચીતીર્થ મંદિરમાં પાણી ઘૂસ્યુ છે. માધવરાય મંદિરની પ્રતિમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ ત્યાં સુધી પાણી ભરાઈ ગયું હતું.