ગુજરાતમાં મોટા પ્રમણમાં ટેક્સી માટે વપરાતા વાહનો, અંગત વપરાશના વાહનો અને રીક્ષાઓ CNG ગેસથી ચાલે છે. આ સ્ટેશનોની સંખ્યાના પ્રમાણમાં વાહનોની સંખ્યા ખુબ વધુ હોવાથી ચાલકોને ગેસ ભરાવવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે જે તેમનો સમય બગાડે છે. ગુજરાતમાં દેશના સૌથી વધુ CNG સ્ટેશન છે. આ ઉપરાંત ગુજરાતમાં હવે ૨૧૪ નવા CNG સ્ટેશનો બનવા જઈ રહ્યા છે તેવી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ CNG સહભાગી યોજના અંતર્ગત રાજ્યમાં ગુજરાત ગેસ લિમીટેડ અને સાબરમતી ગેસ લિમીટેડના સંચાલનના ક્ષેત્રોમાં વધુ ર૧૪ CNG સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો રજુ કર્યા છે. તેમના મતે શરુ થવા જઈ રહેલા આ નવા કેન્દ્રો ગાડી અને રીક્ષા વાળાઓને CNG કેન્દ્રોની લાંબી કતારોથી મુક્તિ અપાવશે.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાત હંમેશા પર્યાવરણ સાથે મિત્રતામાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતનો આ અભિગમ જાળવી રાખવા માટે રાજ્યમાં ૨૦૨૦ સુધીમાં કુલ ૧૦૦૦ CNG કેન્દ્રો ચાલુ કરવામાં આવે તેવો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે નવા CNG કેન્દ્રો એ ૧. CNG વાહનોના વપરાશકર્તાઓ ૨. CNG અને PNG ગેસની વિતરણ કંપનીઓ ૩. CNG ગેસના પંપના સંચાલકો એમ ત્રણેય પક્ષો માટે ફાયદાકારક રહે છે.
CNGમાં ગુજરાત સૌથી આગળ
અહી ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દેશના સૌથી વધુ CNG સ્ટેશન આવેલા છે. દેશમાં કુલ ૧૮૧૫ CNG સ્ટેશન છે જેમાંથી ૫૫૮ સ્ટેશન ગુજરાતમાં છે. આમ ગુજરાતમાં દેશના ૩૧% CNG સ્ટેશન આવેલા છે.
સરકારના અંદાજા પ્રમાણે ફાળવાયેલા ૨૧૪ નવા CNG કેન્દ્રો સ્થાનિક અંદાજે ૧પ હજાર લોકોને રોજગારી પૂરી પાડશે. મુખ્યમંત્રીના કહેવા મુજબ આ નિર્ણય ગુજરાતની પર્યાવરણ પ્રિય અને પ્રદુષણ રહિત પરિવહન સેવાની દિશામાં ભરેલ પગલું છે.
સૌરઊર્જાનું મહત્વ ચર્ચાયું
આ ઉપરાંત મુખ્યમંત્રીએ સૌર ઊર્જા પર પણ ભાર મુક્યો છે. તેમણે જણાવ્યું કે ઘરવપરાશમાં ઘરના રૂફટોપ ઉપર સોલાર પેનલ વડે ઊર્જા પેદા કરીને અને MSMEs માટે સૌરઊર્જા વડે વિદ્યુત પેદા કરીને સૂર્યની અખૂટ શક્તિનો ઉપયોગ કરી શકાય છે. આમ ઊર્જાના પુન:પ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરીને ગુજરાતે ગ્લોબલ વોર્મિંગ જેવી પર્યાવરણની સમસ્યાનો પડકાર ઝીલવા પોતાની સજ્જતા દર્શાવી રહ્યું છે.
GSPCના ચેરમેન અને રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે જણાવ્યું હતું કે, ગેસ આધારિત અર્થ વ્યવસ્થાના નિર્માણમાં ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં સૌથી વધુ ગેસ કનેકશન, ગેસ વિતરણ વ્યવસ્થા ઉભી કરાઇ છે. અત્યાર સુધીમાં દર વર્ષે ૬૦ જેટલા સીએનજી સ્ટેશન સ્થપાતા હતા જેની હવે વધારવામાં આવશે. આ સીએનજી પંપોના નિર્માણથી નાગરિકોને સસ્તો અને ઝડપી ગેસ પુરવઠો મળતો થશે અને ઘર આંગણે રોજગારી મળતી થશે તથા ગેસના ડીલરો, ગેસ કંપની અને ગ્રાહકોને ફાયદો થશે.
અહી એ પણ નોંધનીય છે કે રાજ્યના ૩૩ જિલ્લાઓ પૈકી ૨૫ જિલ્લાઓમાં ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ કંપની દ્વારા સીએનજી/પીએનજીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.