ગુજરાત સરકારે દિવાળી સુધી શાળાઓ ન ખોલાવાનો નિર્ણય લીધો હતો. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને પછી સરકાર નિર્ણય લેશે. તેવામાં હવે રાજ્યના શિક્ષકોને લઇને ખુશખબર આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શિક્ષકોને 21 દિવસનું દિવાળી વેકેશન મળશે.
રાજ્યના શિક્ષકોને 21 દિવસનું મળશે દિવાળી વેકેશન
શિક્ષકોને 29 ઓક્ટોબરથી 18મી નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે
સ્કૂલમાં લેવાનારી સત્રાંત પરીક્ષા અંગે બાદમાં નિર્ણય લેવાશે
રાજ્યના શિક્ષકોને 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. જ્યારે સત્રાંત પરીક્ષા અંગે બાદમાં નિર્ણય લેવાશે. મહત્વનું છે કે, કોરોનાને કારણે રાજ્યમાં 16 માર્ચથી સ્કૂલો બંધ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે. જેમાં નક્કી કરવામાં આવતી તારીખો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાગુ પડે છે. જોકે કોરોનાને કારણે આ વર્ષે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયું નથી અને શાળાકીય પ્રવૃતિ કેલેન્ડર બની શક્યું નથી.
ઉલ્લેખનીય છે કે, અનલોક-6ની નવી ગાઈડલાઈન પછી સરકાર ગુજરાતમાં શાળાઓ ખોલવા અંગે નિર્ણય લેશે. થોડા દિવસ અગાઉ આ અંગે શિક્ષણ અને આરોગ્ય વિભાગ વચ્ચે બેઠક થઈ હતી. શાળાઓ ખોલવા બાબતે આરોગ્ય વિભાગનો અભિપ્રાય લેવાયો હતો. જેમાં સંચાલક મંડળે દિવાળી પછી શાળા ખોલવા તૈયારી બતાવી હતી.