બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / PM મોદી પણ અહીં ઝુકાવે છે શિશ, રાજવી પરિવાર કરે છે સેવા, નવરાત્રિમાં વાંચો પ્રજ્ઞાચક્ષુઓને આંખો આપતા માતાજીની વાત
Last Updated: 03:42 PM, 23 September 2025
કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી 100 કિલોમીટર દૂર આવેલો છે માતાનો મઢ. અહીં ક્ચ્છ કુળદેવી આશાપુરા માનું મંદિર આવેલું છે. માતાનો મઢ યાત્રાધામ મંદિર ચારે બાજુથી નાની ટેકરીઓ અને પર્વતોથી ઘેરાયેલો છે. અહીં મંદિરના ગર્ભગૃહમાં આશાપુરા માતાની છ ફૂટ ઉંચી મૂતિ બિરાજમાન છે. આ મૂર્તિ મનુષ્યના શરીર કરતા પણ ઉંચી છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ આશરે 550 વર્ષ પહેલા એટલે કે 14મી સદીમાં રાજાશાહીના સમય દરમિયાન થયું હતું.
ADVERTISEMENT
આ મંદિરના ગર્ભગૃહમાં માતાના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે. આશાપુરા માતાનું દિવ્ય સ્વરૂપ બધા જ ભક્તોને આકર્ષિત કરે છે. માતાના મઢમાં નિજ મંદિર અને મંદિરને ફરતે કરવામાં આવેલું કોતરણી કામ, અફાટ ઝૂમર અને મંદિરના ગુંબજમાં માતાજીની દૈવી શક્તિના દર્શન કરાવતી પ્રતિમાઓના દર્શન કરીને ભક્તો ધન્ય થઈ જાય છે. આશાપુરા માતાની મૂર્તિમાં સાત તેજસ્વી નેત્રો આવેલા છે. એવું માનવામાં આવે છે કે જે કોઈને આંખોની રોશની ન હોય એ અહીં આવીને માતાજીની માનતા રાખે તો આશાપુરા મા જીવનમાં છવાયેલો અંધકાર દૂર કરી દે છે. સાચા મનથી માનવામાં આવેલી માનતાઓ આશાપુરા માતા પૂર્ણ કરે છે. આશાપુરા માતા તેમના દ્વારે આવતા તમામ ભક્તોની આશા પૂરી કરે છે, તેથી જ આશાપુરા નામ પડ્યું છે. કહેવાય છે કે કચ્છમાં સાક્ષાત આશાપુરાના બેસણા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એવું કહેવાય છે કે, અનેક વર્ષો પહેલા દેવચંદ વાણિયા નામનો એક વ્યક્તિ કચ્છમાં રહેતો હતો. તેણે નવરાત્રિમાં અહીં માતાજીની સ્થાપના કરીને ભક્તિપૂર્વક આરાધના કરી હતી. તેની ભક્તિ જોઇને માતાજી પ્રસન્ન થયા અને દેવચંદ વાણિયાને સપનામાં આવીને કહ્યું કે જે જગ્યાએ મારી સ્થાપના કરી છે, એ જ જગ્યાએ મારું મંદિર બનાવજે. સાથે જ મંદિરના દ્વાર છ મહિના સુધી ન ખોલવા પણ કહ્યું. આ સંભાળીને દેવચંદ ખૂબ રાજી થઈ ગયો. તેણે અહીં મંદિર બંધાવ્યું. મંદિરની રખેવાળી કરવા માટે તે અહીં જ રોકાવા લાગ્યો. આમને આમ પાંચ મહિના પસાર થઈ ગયા. એક દિવસ અચાનક જ મંદિરની પાછળથી ઝાલર અને ઘૂંઘરુંનાં અવાજની સાથે મધુર રણકાર સંભળાયો. આ સાંભળીને દેવચંદની અધીરાઈ ખૂટી ગઈ અને તેણે મંદિરના દ્વાર ખોલી દીધા. મંદિરમાં પ્રવેશતાની સાથે જ જીવ ધન્ય થઈ જાય એવી દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા.
પરંતુ દેવચંદ વાણિયાએ એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી નાખ્યા હતા, જેને લીધે માતાજી અર્ધસ્વરૂપમાં પ્રગટ થયા હતા. આ પછી દેવચંદ વાણિયાએ માતાજીની માફી પણ માગી. જો કે માતાજી તેની ભક્તિથી પ્રસન્ન હતા, જેથી તેને માફ કરી દીધો અને વરદાન માંગવા કહ્યું. એવું કહેવાય છે કે દેવચંદ વાણિયાએ પુત્ર રત્નની માંગણી કરી હતી અને માતાજીએ તેની દીકરાની આશા પૂર્ણ કરી. આમ માતાજી ભક્તોની આશા પૂર્ણ કરતા હોવાને લીધે આશાપુરાના નામે ઓળખાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: કચ્છમાં ભૂકંપ અને નરેન્દ્ર મોદી CM બન્યા, આજે પણ કચ્છી માડુઓ યાદ કરે છે મોદીએ કચ્છમાં વીતાવેલા દિવસો
ADVERTISEMENT
કચ્છનો રાજવી પરિવાર માતાજીનો પ્રથમ સેવક માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન માતાના મઢમાં પત્રી વિધિ મુખ્ય આકર્ષણ હોય છે. નવરાત્રિમાં છેલ્લા દિવસે આશાપુરા માતાની મૂર્તિ પર રાખેલી પત્રી (ફૂલ) ડમરુના તાલે રાજપરિવારના પ્રતિનિધિના ખોળામાં આવી જાય છે. પત્રી પ્રસાદ મળે એટલે એવું કહેવાય કે ક્ચ્છ પર માતાજીની અસીમ કૃપા થઈ. માતાજીની કૃપાથી જિલ્લામાં સારો વરસાદ થાય છે. ક્ચ્છ કુળદેવી આશાપુરા માતાજી જાડેજા વંશને સહાય થયા છે અને ચૌહાણ કુળની કુળદેવી છે.

ADVERTISEMENT
વર્ષ 2016માં નાસા દ્વારા જાહેર કરવામાં આવ્યું કે, માતાનો મઢ એ વિશ્વની એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાંથી મંગળ ગ્રહના પથ્થર જેવા અવશેષો મળી આવ્યા છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા મંદિરનું સંચાલન થાય છે. અહીં ગાદીપતિ તરીકે રાજાબાવા યોગેન્દ્રસિંહજી સેવા આપી રહ્યા છે. અહીં ભાવિકોને રહેવા જમવાની સુવિધા સાથે રહેવા માટે 70 થી વધારે રૂમો બનાવવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા માતાના મઢ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવરાત્રિમાં અહીંની ભવ્યતા વધારે વધી જાય છે.
માતાના મઢમાં નવરાત્રિમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. નવરાત્રિમાં અહીં સેંકડો ભક્તો પગપાળા ચાલીને પણ આવે છે. લાખો લોકો દર વર્ષે અહીં માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માતાનામઢ આશાપુરા માતાજીમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. કચ્છમાં આવતા પોલીસ અધિકારીઓ, બીએસએફ, વહીવટીતંત્રના અધિકારીઓ પણ કચ્છમાં ફરજ બજાવતા પહેલા માતાજીના આશીર્વાદ મેળવે છે.

આસો નવરાત્રિ દરમિયાન ક્ચ્છ તેમજ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિત રાજ્યભરથી તેમજ મુંબઈથી પણ ભક્તો પગપાળા ચાલીને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે. અમુક ભક્તો સાયકલથી પણ આવે છે. પદયાત્રીઓની સેવા માટે કચ્છમાં સેવા કેમ્પ પણ ચાલે છે. અહીં સો-સો મીટરના અંતે સેવા કેમ્પો જોવા મળે છે. આ સેવા કેમ્પોમાં આસ્થા અને સેવાની ભાવનાથી પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે. દર વર્ષે લાખો માઇભક્તો નવરાત્રિમાં આશાપુરા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT