બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:04 AM, 5 August 2026
ગુજરાત સરકારે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં ઉંદર સહિતના નાના પ્રાણીઓને પકડવા માટે ઉપયોગમાં લેવાતા ગ્લુ ટ્રેપ અથવા સ્ટીકી બોર્ડ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ, ખરીદી, સંગ્રહ અને ઉપયોગ હવે સમગ્ર ગુજરાતમાં તાત્કાલિક અસરથી બંધ રહેશે. સરકારના આ નિર્ણય બાદ વેપારીઓથી લઈને સામાન્ય નાગરિકો સુધી કોઈપણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકશે નહીં.
ADVERTISEMENT
ગ્લુ ટ્રેપમાં અત્યંત ચીકણું અને મજબૂત ગુંદર લગાવવામાં આવતું હોય છે. તેમાં ઉંદર ઉપરાંત પક્ષીઓ, ખિસકોલી અને અન્ય નાના પ્રાણીઓ પણ ફસાઈ જતાં હોય છે. બહાર નીકળવાના પ્રયાસ દરમિયાન તેમના શરીરને ગંભીર ઈજાઓ પહોંચે છે. લાંબા સમય સુધી ફસાયેલા રહેવાના કારણે તેઓ ભૂખ, તરસ અને પીડા સહન કરતા મૃત્યુ પામે છે. સરકારનું માનવું છે કે આવી પદ્ધતિ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા સમાન છે અને તેને રોકવી જરૂરી છે.
ADVERTISEMENT
સરકારે જણાવ્યું છે કે ગ્લુ ટ્રેપનો ઉપયોગ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960ની જોગવાઈઓના વિરુદ્ધ છે. ભારતીય પ્રાણી કલ્યાણ બોર્ડે પણ અગાઉ ગ્લુ ટ્રેપને અમાનવીય ગણાવી તેનો ઉપયોગ ન કરવાની ભલામણ કરી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કડક પ્રતિબંધ લાગુ કર્યો છે.
ADVERTISEMENT
સરકારી ખરીદી માટે ઉપયોગમાં લેવાતા GeM પોર્ટલ ઉપરાંત અન્ય ઈ-કોમર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ ગ્લુ ટ્રેપની લિસ્ટિંગ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યના તમામ સરકારી વિભાગો, બોર્ડ, કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પણ આવા ટ્રેપની ખરીદી કે ઉપયોગ ન કરવાની સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભૂગર્ભજળને લઈને મોટો નિર્ણય! ખાનગી નહીં, જાહેર સંસાધન ગણાશે; ગેરકાયદે ઉપયોગ પર જેલ-દંડ
ADVERTISEMENT
સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રતિબંધ છતાં ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અથવા ઉપયોગ કરનાર સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023 અને ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જિલ્લા પોલીસ અને Society for Prevention of Cruelty to Animals (SPCA)ને મળતી ફરિયાદોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
હવે રાજ્યમાં ગ્લુ ટ્રેપનો સ્ટોક રાખવો કે તેનું વેચાણ કરવું પણ ગેરકાયદેસર ગણાશે. તેથી વેપારીઓએ દુકાન અને ગોડાઉનમાં રહેલો જથ્થો વેચાણ માટે ઉપલબ્ધ રાખવો નહીં. સરકારે નાગરિકોને પણ અપીલ કરી છે કે ઘર, ઓફિસ, દુકાન કે ફેક્ટરીમાં ઉંદર નિયંત્રણ માટે ગ્લુ ટ્રેપનો ઉપયોગ ન કરે. તેના બદલે પાંજરા જેવી માનવીય અને વૈજ્ઞાનિક રીતે સ્વીકૃત અન્ય સુરક્ષિત પદ્ધતિઓ અપનાવવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.