બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાતમાં ભૂગર્ભજળને લઈને મોટો નિર્ણય! ખાનગી નહીં, જાહેર સંસાધન ગણાશે; ગેરકાયદે ઉપયોગ પર જેલ-દંડ
Last Updated: 09:56 AM, 5 August 2026
ગુજરાત સરકાર ભૂગર્ભજળના ઉપયોગને ખાનગી મિલકત તરીકે નહીં પરંતુ રાજ્યના દરેક નાગરિકના વહેંચાયેલા જાહેર સંસાધન તરીકે માન્યતા આપતા નવા કાયદાની તૈયારી કરી રહી છે. પ્રસ્તાવિત ગુજરાત ભૂગર્ભજળ બિલ-2026 આગામી મહિને રજૂ થવાની સંભાવના છે. રાજ્યમાં સતત ઘટી રહેલા ભૂગર્ભજળના સ્તરને ધ્યાનમાં રાખીને સરકાર આ કાયદા દ્વારા પાણીના સંરક્ષણને વધુ અસરકારક બનાવવા માંગે છે. બિલમાં પીવાના પાણી, ખેતી અને આજીવિકા માટેના ઉપયોગને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે જ ભૂગર્ભજળનું પ્રદૂષણ અથવા ગેરકાયદે નિષ્કર્ષણ કરનારાઓ સામે જેલ અને ભારે દંડ જેવી કડક જોગવાઈઓ પણ કરવામાં આવશે.
ADVERTISEMENT

સરકાર રાજ્યભરમાં ભૂગર્ભજળના ઉપયોગ પર નજર રાખવા માટે ગુજરાત રાજ્ય ભૂગર્ભજળ નિયમન અને વિકાસ સત્તામંડળની સ્થાપના કરવાની યોજના બનાવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સત્તામંડળ ટકાઉ ભૂગર્ભજળના ઉપયોગ માટે જરૂરી નીતિઓ તૈયાર કરશે અને તેના અમલની દેખરેખ રાખશે. ઉપરાંત રાજ્યના પર્યાવરણીય રીતે સંવેદનશીલ અને નાજુક વિસ્તારોને ભૂગર્ભજળ સંરક્ષણ ક્ષેત્ર તરીકે જાહેર કરવાની જોગવાઈ પણ બિલમાં કરવામાં આવી છે. આવા વિસ્તારોમાં જળભંડારોને સુકાતા અટકાવવા માટે ભૂગર્ભજળના નિષ્કર્ષણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકી શકાશે.
ADVERTISEMENT
પ્રસ્તાવિત બિલમાં કડક દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ભૂગર્ભજળને પ્રદૂષિત કરવાના ગુનામાં રૂ. 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે ભૂગર્ભજળ સંરક્ષણ ક્ષેત્રની અંદર ગેરકાયદેસર રીતે પાણી ખેંચનારાઓ સામે રૂ. 10 લાખ સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકોને જેલની સજા પણ થઈ શકે છે. સરકારનો હેતુ પાણીના ગેરવપરાશ અને પ્રદૂષણ પર કડક નિયંત્રણ લાવીને ભવિષ્ય માટે ભૂગર્ભજળના સ્ત્રોતોને સુરક્ષિત રાખવાનો છે.
ADVERTISEMENT
બિલમાં વરસાદી પાણીના સંગ્રહને પણ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા સ્થાપિત કરવામાં નિષ્ફળતા બદલ દંડની જોગવાઈ રહેશે અને ગંભીર કિસ્સામાં જેલની સજા પણ થઈ શકે છે. નવા બાંધકામ માટે બિલ્ડિંગ પ્લાન મંજૂર કરાવતા પહેલાં વરસાદી પાણીના સંગ્રહની જોગવાઈ ફરજિયાત બનાવવામાં આવશે. ઉપરાંત પાણીના રિસાયક્લિંગને પણ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ છે, જેથી ભૂગર્ભજળ પરનો બોજ ઓછો કરી શકાય.
ADVERTISEMENT
ઔદ્યોગિક એકમો અને મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરતી સંસ્થાઓ માટે પણ નવા નિયમો લાગુ થશે. ફેક્ટરીઓએ ભૂગર્ભજળ પંપ કરતા પહેલાં સરકાર પાસેથી પરવાનગી લેવી ફરજિયાત રહેશે. ઔદ્યોગિક અને જથ્થાબંધ પાણી વપરાશકર્તાઓ પાસેથી પાણીનો ચાર્જ વસૂલવામાં આવશે, જ્યારે કૃષિ ક્ષેત્રને આ જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી છે. પાણીના ચાર્જમાંથી મળનારી આવકનો ઉપયોગ પાણી સંરક્ષણ અને જળસંચય સંબંધિત કામગીરીમાં કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : આજથી અમદાવાદમાં બે દિવસ રિક્ષાચાલકોની હડતાળ, CNGના ભાવ વધારા સામે વિરોધ
આ કાયદા હેઠળ ગામડાથી લઈને રાજ્ય સ્તર સુધી ભૂગર્ભજળના સંચાલન માટે વિકેન્દ્રિત સંસ્થાકીય માળખું ઉભું કરવાની પણ યોજના છે. દરેક ગ્રામ પંચાયત, તાલુકા, નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે ભૂગર્ભજળ સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવશે. આ સમિતિઓ સ્થાનિક સ્તરે પાણીના સંરક્ષણ, વરસાદી પાણીના સંગ્રહ, પાણીના પુનઃઉપયોગ અને ભૂગર્ભજળના ટકાઉ ઉપયોગ માટે કામગીરી કરશે. સરકારનું માનવું છે કે આ કાયદો અમલમાં આવ્યા બાદ રાજ્યમાં ભૂગર્ભજળના સંરક્ષણને નવી દિશા મળશે અને ભવિષ્યની પાણીની જરૂરિયાતોને વધુ અસરકારક રીતે પહોંચી વળવામાં મદદ મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.