બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / અમદાવાદ નજીકનું ગામ, જ્યાં પાંડવોએ છુપાવ્યા હતા શસ્ત્રો, યુદ્ધ જીત્યા બાદ યાત્રા કાઢી, હજારો વર્ષો બાદ યથાવત્ છે પરંપરા
Last Updated: 01:50 PM, 30 September 2025
Rupal Palli 2025 : નવરાત્રિનો પર્વ એના અંત તરફ છે, ત્યારે જ દર વર્ષની જેમ આ વખતે પણ રૂપાલની પલ્લીમાં કેટલું ઘી વપરાશે, તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરના રૂપાલ ગામની પલ્લી આખા દેશમાં પ્રસિદ્ધ છે. ઐતિહાસિક વરદાયિની માતાનું મંદિર, જ્યાં આખા વર્ષમાં પણ લાખો ભક્તો દર્શન કરે છે, ત્યાં પલ્લીની રાતે રસ્તાઓ પહેલા માનવ મેદનીથી અને પછી ઘીથી છલકાય છે. ગામના દરેક રસ્તા પર જાણે ઘીની નદીઓ વહેવા લાગે છે. પાંડવોએ શરૂ કરેલી એક પ્રથા હજારો વર્ષો બાદ પણ રૂપાલના નાગરિકો સાચવીને બેઠા છે.
ADVERTISEMENT

પલ્લીનું પાંડવો સાથેનું કનેક્શન
ADVERTISEMENT
મહાભારત કાળ દરમિયાન પાંડવોના ગુપ્તવાસ દરમિયાન બનેલી આસ્થા ઉપર આધારીત આ મંદિરનું પૌરાણિક મહત્વ અદભૂત છે. ઐતિહાસિક માન્યતા મુજબ પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન ખીજડાના ઝાડ પાસે શસ્ત્રો છુપાવ્યા બાદ માતા વરદાયિની પાસે રક્ષણ માટે પ્રાર્થના કરી હતી. બાદમાં યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયા પછી કૃષ્ણ, પાંડવો અને દ્રૌપદીએ સુવર્ણ પલ્લી સાથે ગામમાં યાત્રા કાઢી હતી, જે આજે રૂપાલની પલ્લી તરીકે ઓળખાય છે. આ યાત્રા આજેય દર વર્ષે અખંડ પરંપરાથી યોજાય છે. બંસી પથ્થર અને સોમપુરા શૈલીની શિલ્પકલાથી બનેલા આ મંદિરનું પુનઃનિર્માણ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા થયું છે. પૌરાણિક માન્યતા મુજબ માતાજી સૃષ્ટિના આરંભથી જ અહીં બિરાજમાન છે, જે નવદુર્ગાના નવ સ્વરૂપોમાંથી એક બ્રહ્મચારીણી, હંસવાહિની સ્વરૂપે અહીં પુજાય છે.

ADVERTISEMENT
નીકળી હતી સોનાની પલ્લી!
પલ્લી વિશે તો દર વર્ષે કેટલું ઘી વપરાયું એ આપણે છાપાઓમાં વાંચીએ જ છીએ. પરંતુ VTV Digital દ્વારા મંદિરના ટ્રસ્ટી નીતિનભાઈ પટેલ સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે બીજી ઘણી અજાણી અને રસપ્રદ માહિતી જણાવી. નીતિનભાઈના કહેવા પ્રમાણે,"જ્યારે પાંડવો 14 વર્ષનો વનવાસ હતો, ત્યારે રૂપાલ રોકાયા હતા અને 14 વર્ષ પૂર્ણ થયા ત્યારે તેમણે એક યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાંથી જ તેમણે શક્તિ ઉત્પન્ન કરી હતી. વરદાન આપનાર વરદાયિની માતાજીને પાંડવો દ્વારા આજથી હજારો વર્ષો પહેલા સોનાની પલ્લી યોજી હતી. તે વખતે પાંડવો દ્વારા ઘી નો અભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ અમે સૌ ગામના લોકો પરંપરા પ્રમાણે નોમની રાત્રે પલ્લી કાઢીએ છીએ. આ પલ્લીમાં ભાવિક ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે કોઈ 100 ગ્રામ, કોઈ 500 ગ્રામ, કોઈ કિલો તો કોઈ એક ઘીનો ડબ્બો ચડાવતા હોય છે. આ સાથે આ તમામ ઘી એ ચોક્કસ સમાજના લોકો જ લઈ શકે છે. આ સાથે તેઓ આ ઘી એકત્ર કરી પોતાના સમાજમાં પણ પ્રસાદી તરીકે વિતરણ કરતાં હોય છે. આ વરદાયિની માતાજીની પલ્લી રાત્રે 12 વાગ્યે નીકળી સવારે 6 વાગ્યે નિજ મંદિર પરત આવે છે."
ADVERTISEMENT

20 કરોડ રૂપિયાથી વધુના ઘીનો અભિષેક
ADVERTISEMENT
શારદીય નવરાત્રિની આસો સુદ નવમીની મધ્યરાત્રિએ યોજાતી પલ્લી યાત્રા માત્ર ગુજરાત માટે નહિ સમગ્ર ભારત માટે શ્રદ્ધાનું પ્રતીક છે. લાખો ટન શુદ્ધ ઘી સાથે ઉજવાતી આ યાત્રા દ્રવિડકાળથી અખંડ ચાલતી આવી છે. અહીં ભક્તો પોતાના વ્રત, માગણીઓ અને મન્નતો સાથે માતાની પલ્લી પર ઘીનો અભિષેક કરે છે. દર વર્ષે આશરે 20 કરોડથી વધુ રૂપિયાનું ઘી ભક્તો દ્વારા પલ્લી ઉપર ચડાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે, પલ્લી ઉપર ઘી ચડાવનારા ભક્તો મુખ્યત્વે બહારથી આવતા હોય છે-ગામના લોકો માત્ર યાત્રાનું આયોજન કરે છે. પલ્લી પૂરી થયા પછી ઘી ગરીબ અને જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે-જે સમૂહ સેવા અને માનવતા નું ઉત્તમ ઉદાહરણ છે.

ADVERTISEMENT
આ વર્ષનું આયોજન પણ ખાસ
આ ઉપરાંત નીતિનભાઈનું કહેવું છે કે આ પરંપરા લગભગ 5000 વર્ષ જૂની છે, આજે પણ હજારો ટન ચોખ્ખા ઘીનો અભિષેક થશે. આ પલ્લીમાં બહારગામથી પણ હજારો લોકો આવે છે. એટલે અહીં દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. નીતિનભાઈના કહેવા પ્રમાણે વરસાદી વાતાવરણને કારણે આ વર્ષે ખાસ ડોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વરદાયિની માતાની આ પલ્લી માત્ર ધાર્મિક આસ્થાનું જ નહીં પરંતુ કોમી એકતાનું જ નહીં, સામાજિક એકરસતાનું પણ પ્રતીક પણ છે. કારણ કે પલ્લીના નિર્માણ અને યાત્રામાં ગામના તમામ કોમના લોકો ઉત્સાહથી ભાગ લે છે.

આ પણ વાંચો :
મંદિરની વેબસાઈટ પર દર્શાવ્યા પ્રમાણે વણકર સમાજ ખીજડાનું લાકડું લાવે છે. સુથાર ભાઈઓ પલ્લીનું નિર્માણ કરે છે. વાળંદ સમાજ પલ્લીને વરખડા સાથે બાંધે છે. કુંભાર ભાઈઓ કુંડા તૈયાર કરે છે. પિંજારા (મુસ્લિમ) સમાજ કપાસ ભરે છે. પટેલ સમાજ પૂજા-આરતી કરીને કુંડમાં અગ્નિ પ્રગટાવે છે. ક્ષત્રિય ચાવડા સમાજ તલવાર સાથે પલ્લીની આગેવાની કરે છે. પંચોલ સમાજ માતાજી માટે સવા મણનો ખીચડો તૈયાર કરે છે. આ સહયોગથી પલ્લી રાત્રે 12 વાગ્યે માતાજીના મંદિરથી નીકળી ગામભરમાં ફરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.