બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMCની ઘોર બેદરકારી, અધિકારીઓ માટે બનેલા 24 ક્વાર્ટર 18 વર્ષથી બંધ, હવે ભાડે આપવાની તૈયારી
Last Updated: 03:26 PM, 3 July 2026
Khokhra AMC Quarters : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરી એક વખત પોતાના આંતરિક આયોજનને લઈને ચર્ચામાં આવ્યું છે. વાસ્તવમાં ખોખરા વિસ્તારમાં અધિકારીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા ઓફિસર્સ ક્વાર્ટર્સ વર્ષો સુધી ઉપયોગમાં જ ન લેવાતા હવે તેને ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઉઠતા આયોજનમાં થયેલી ગંભીર બેદરકારી સામે આવી છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
પ્રાથમિક વિગતો મુજબ AMC દ્વારા વર્ષ 2008 દરમિયાન અંદાજે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ક્લાસ-1 અને ક્લાસ-2ના અધિકારીઓ માટે 24 વિશાળ 4 BHK ક્વાર્ટર્સ તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ આ ક્વાર્ટર્સનો હેતુ મુજબ ક્યારેય ઉપયોગ થયો નહીં. વર્ષો સુધી આ મકાનો બંધ હાલતમાં જ રહ્યા, જેના કારણે સરકારી સંપત્તિ ધૂળ ખાતી રહી અને જાળવણીનો ખર્ચ પણ વધતો ગયો.
ADVERTISEMENT
આ તરફ સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા દરમિયાન આ પ્રોજેક્ટને "સફેદ હાથી" સમાન ગણાવી તેની સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ અધિકારીઓ માટે બનેલા ક્વાર્ટર્સ ખાલી રહેતા જાહેર નાણાંના યોગ્ય ઉપયોગ અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં ભવિષ્યમાં આવી પ્રકારના આયોજન કરતી વખતે વાસ્તવિક જરૂરિયાત અને ઉપયોગિતાનું યોગ્ય મૂલ્યાંકન કરવાની સૂચના પણ આપવામાં આવી હતી.
આ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વનો નિર્ણય લઈને ખાલી પડેલા 24 ક્વાર્ટર્સને હવે ભાડે આપવાનો માર્ગ મોકળો કર્યો છે. તેનાથી બંધ પડેલી મિલકતનો ઉપયોગ થશે અને AMCને ભાડા રૂપે આવક પણ મળશે. આ નિર્ણયથી લાંબા સમયથી નિષ્ક્રિય પડેલી સરકારી મિલકત ફરી ઉપયોગમાં આવી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ડિંડોલીમાં કારચાલકે 5 વાહનને લીધાં અડફેટે, હેલમેટે બચાવ્યો યુવકનો જીવ, જુઓ CCTV ફૂટેજ
આ બેઠકમાં પ્રોપર્ટી ટેક્સને લગતો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. રોડ પહોળા કરવાની કામગીરી, ટીપી સ્કીમ અથવા અન્ય જાહેર હેતુસર તોડી પાડવામાં આવેલી મિલકતોને વર્ષો સુધી પ્રોપર્ટી ટેક્સના બિલ મોકલાતાં હોવાની ફરિયાદો સામે આવતાં હવે એસ્ટેટ વિભાગ અને ટેક્સ વિભાગ વચ્ચે સીધો સંકલન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ડિમોલિશન બાદ સંબંધિત મિલકતના રેકોર્ડ સમયસર સુધારી શકાય અને નાગરિકોને બિનજરૂરી ટેક્સ બિલનો સામનો ન કરવો પડે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.