બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / ગીરમાં લીલીછમ વનરાજી વચ્ચે પૌરાણિક ટપકેશ્વર મહાદેવ બિરાજમાન, જ્યાં પાણી ટપકે ત્યાં થાય છે શિવલીંગ ઉત્પન્ન

દેવ દર્શન / ગીરમાં લીલીછમ વનરાજી વચ્ચે પૌરાણિક ટપકેશ્વર મહાદેવ બિરાજમાન, જ્યાં પાણી ટપકે ત્યાં થાય છે શિવલીંગ ઉત્પન્ન

Last Updated: 06:10 AM, 20 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટપકેશ્વર મહાદેવનું મંદિર ગુફામાં હોવાથી અને અહીં પાણી ટપકવાથી સ્વયંભૂ શિવલિંગ બનતા હોઈ હજારો લોકોની આસ્થાનું પ્રતિક બન્યું છે.

ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને ગીર જંગલ અને ગીર બોર્ડર વિસ્તારમાં અનેક પ્રાચીન જગ્યાઓ આવેલી છે. દરેક જગ્યાનો પ્રાચીન ઇતિહાસ મહત્વનો છે. સાથે જ તેનું આધ્યાત્મિક મહત્વ પણ અદકેરું છે. મેઘાવી ઋષિની તપશ્ચર્યાથી ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકી તે જગ્યાએ સ્વયંભુ શિવલિંગનું નિર્માણ થયુ, જે ટપકેશ્વર મહાદેવ નામથી ઓળખાય છે. ગીર જંગલ મધ્યની વચ્ચે પૌરાણિક કાળથી પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલા અને ગુફામાં બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો અનેરો લાહવો મેળવી મહાદેવની ભક્તિમાં ગળાડૂબ થાય છે. ગીરગઢડા નજીક ગીરની લીલીછમ વનરાજી વચ્ચે ગુફામાં પૌરાણિક ટપકેશ્વર મહાદેવ બિરાજે છે. મહાદેવના દર્શનનો લાભ ઠેક ઠેકાણેથી ભાવિકો દ્વારા લેવામાં આવી રહ્યો છે. પૌરાણિક સમયમાં મેઘાવી ઋષિ દ્વારા ઘણા વરસો સુધી આ જગ્યામાં તપશ્ચર્યા કર્યા બાદ મહાદેવ પ્રસન્ન થયા અને મેઘાવી ઋષિએ જ્યાં તપશ્ચર્યા કરી હતી તે ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકવાનું શરૂ થયું અને કાળક્રમે પાણીના ટીપા પડતા હતા તે જગ્યાએ સ્વયંભુ શિવલિંગનું નિર્માણ થવા પામ્યું. બિંદુ સ્વરૂપે શિવલીંગનુ નિર્માણ થયુ ત્યારથી આ જગ્યાને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ગીરની લીલી વનરાજી વચ્ચે બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે 5 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડે છે.

111

પાણીના ટીપાથી શિવલિંગનું નિર્માણ એટલે ટપકેશ્વર મહાદેવ નામ

ટપકેશ્વર મહાદેવનું મંદિર આરક્ષિત જંગલમાં હોવાને કારણે અહી દર્શનાર્થીઓએ પોતાની સુરક્ષા જાતે રાખવી પડે છે. ગુફામાં આવેલા શિવલિંગના દર્શન કરવા માટે ભક્તો કષ્ટ વેઠીને પણ અહી આવે છે. ગુપ્ત સરસ્વતી નદીને કાંઠે આવેલું ટપકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર હોવાને કારણે ખાસ કરીને શ્રાવણ માસમાં અને શિવરાત્રી દરમ્યાન અહી ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અહી આવેલી ગુફાઓ વર્ષમાં એક વાર પાણીથી ભરાઈ જાય છે. જેને આજ દિન સુધી કોઈ જોઈ શક્યું નથી.જેને મહાદેવનો એક ચમત્કાર માનવામાં આવી રહ્યો છે. જે ગુફામાં ટપકેશ્વર મહાદેવ બિરાજે છે તે ગુફામાં પ્રાણવાયુની ભારે અછત હોવા છતાં ભક્તો આ ગુફામાં કલાકો સુધી બેસીને ભોળાનાથની આરાધના કરે છે. ગીરમાં આવેલી આ ગુફાઓમાં જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં શિવલીંગ ઉત્પન્ન થાય છે. ટપકેશ્વર મંદિર ભક્તોમાં મીની અમરનાથ તરીકે પણ ઓળખાય છે. ગીર સોમનાથ જિલ્લાને કુદરતની ઘણી બક્ષિસ મળેલી છે. આ જિલ્લામાં ગીરનું જંગલ, પહાડો, સમુદ્ર, નદી અને ઝરણાં સાથે વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ પણ અહીં બિરાજે છે. ગીરમાં અનેક પ્રાચીન તેમજ દુર્લભ મંદિરો પણ આવેલા છે. ગિરગઢડા તાલુકાનાં હરમડિયા ગામથી 5 કિલોમીટર દૂર ફરેડા ગામનાં ઘનઘોર જંગલ વિસ્તારમાં ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મહાદેવનુ મંદિર મહાભારતકાળનું હોવાની લોકવાયકા છે. અહીં વિશાળ ગુફાઓ પણ આવેલી છે. ગુફામાં પર્વત પરથી પાણી ટપકે અને તે પાણીના ટીપાં દ્વારા સ્વયંભૂ શિવલિંગ બને છે. આથી અહીં જે શિવલિંગો છે તે પાણીનાં ટપકવાથી બનતા હોઈ આ મહાદેવ ટપકેશ્વર મહાદેવ કહેવાય છે.

mahadev mandfir

શિવલીંગો પર ગુફાની અંદરથી સતત પાણી ટપકયાં કરે છે

શિવરાત્રી દરમિયાન આ દુર્ગમ સ્થળે શિવભક્તો અચૂક દર્શનાર્થે આવે છે. સામાન્ય રીતે જામવાળા અને ગીરગઢડાનો જંગલ વિસ્તાર સિંહો અને અન્ય પશુપક્ષીઓનાં અવાજથી ગુંજતો હોય છે. પરંતુ આ જંગલ શિવરાત્રી દરમ્યાન બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠે છે. ગીરની વચ્ચે આવેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર ગુફામાં હોવાથી અને અહીં પાણી ટપકવાથી સ્વયંભૂ શિવલિંગ બનતા હોઈ હજારો લોકોની આસ્થાનું પ્રતિક બન્યું છે. ગીર જંગલમાં પાંચ કિલોમીટર ઉબડ ખાબડ રસ્તા પર પગપાળા ચાલીને આવનારા શ્રદ્ધાળુઓ ટપકેશ્વર મહાદેવ મંદિરે પહોંચતા જ તરોતાઝા બની જાય છે. કુદરતનાં ખોળા સમાન ગીરમાં આવેલા આ મંદિરની આજુબાજુ કુદરતી પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા મળે છે. અહી આવતાજ ભાવિકોને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. આ મંદિરને મીની અમરનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણીવાર શ્રદ્ધાળુઓને અહીં સિંહો સાથે પણ ભેટો થઈ જાય છે. ટપકેશ્વર મહાદેવ મંદિર અન્ય શિવ મંદિર કરતા અલગ તરી આવે છે. કારણ કે ગીર જંગલની વચ્ચે આવેલું આ મંદિર માનવ સર્જિત નથી અને વિશાળકાય પહાડની અંદર આવેલી કુદરતી ગુફા છે. 50 ફૂટ ઊંડી ગુફાની અંદર અનેક શિવલીંગો આવેલા છે. જે શિવલીંગો પર ગુફાની અંદરથી સતત પાણી ટપકયાં કરે છે.

tapakeshavar mahedav

ગુફાની બહારનાં ભાગે કૂવો ગાળવા છતાં પાણી નીકળતુ નથી

પંદરથી પણ વધારે શિવલિંગ ગુફામાં જોવા મળે છે. પાણીના ટીપા પડવાથી નવા શિવલિંગો બને છે. અને શિવલિંગોનો આકાર પણ દિન પ્રતિદિન વધે છે. ગીર મધ્યની વચ્ચે પૌરાણિક કાળથી પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલા અને ગુફામાં બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો અનેરો લ્હાવો મેળવીને મહાદેવની ભક્તિમાં ગળાડૂબ થાય છે. આમ આ જગ્યામા શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળે છે. ચંદ્રાભાગા નદીનાં કિનારે આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ સ્કન્ધ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે પાંડવોએ પોતાના વનવાસ દરમ્યાન ગુપ્તવાસ સમયે આ ગુફામાં વસવાટ કર્યો હતો. ભાવિકો અને સ્થાનિકોનાં કહેવા પ્રમાણે અહી દર ગુરુપૂર્ણિમાનાં દિવસે ચમત્કાર જોવા મળે છે. ગુફાની અંદર નદીની જેમ પાણીનો પ્રવાહ આવે છે જે પાણી બે દિવસ રહે છે પછી પરત ફરે છે. ઘણી વખત ગુફાની અંદર દૂર સુધી જવાની ઘણા લોકોએ કોશિશ કરી છે પરંતુ અમુક ગુફામાં અંધાર પટ હોવાનાં કારણે ગુફા ક્યાં સુધી છે તે કોઈ જાણી શક્યું નથી. ગ્રામજનોનાં કહેવા પ્રમાણે આ ગુફા જુનાગઢ ગીરનારમાં મળે છે. એક લોકવાયકા પ્રમાણે દુષ્કાળનાં વર્ષોમાં પણ ટપકેશ્વર મહાદેવ મંદિરની ગુફામાં પાણી ટપકયાં કરે છે. આ વિસ્તારમાં ક્યારેય પાણીની કમી થતી નથી. પણ ગુફાની બહારનાં ભાગે કૂવો ગાળવા છતાં પાણી નીકળતુ નથી.

mahadev 1

આ પણ વાંચો: જસદણના ગઢડીયા ગામે અંકાશી મેલડી માતાનું મંદિર, સરકારી આદેશ પર મંદિરને પાડવા ગયા ત્યારે થયો હતો ચમત્કાર

લોકવાયકા પ્રમાણે ગુફા જુનાગઢ ગીરનારમાં મળે છે

ગુફાની અંદર જાણે કુદરતી એસી હોય તેવો ભાવિકોને અહેસાસ થાય છે. ગુફામાં પ્રવેશતા જ ઠંડક અને શીતળતાનો અહેસાસ થાય છે. એવી પણ માન્યતા છે કે આસ્થા વગર માત્ર કુતુહલ વશ આ ટપકેશ્વર મહાદેવની ગુફામાં કોઈ વ્યક્તિ લાંબો સમય બેસી શકતું નથી. મહાદેવના મંદિરે ભાવિકો માનતા પણ માને છે. ટપકેશ્વર મહાદેવ તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. ગીર ગઢડાનાં ફરેડા ગામ નજીક આવેલા ઘનઘોર જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરે અનોખા ભાવ સાથે ગુજરાતભરમાંથી શ્રધાળુઓ ઉમટી પડે છે. અને નજીકનાં ગ્રામ્ય પંથકમાંથી આવતા વૃદ્ધ માણસો આ મંદિરનાં દર્શન કરી અમરનાથ યાત્રા જઈ આવ્યા હોવાનો અહેસાસ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tapkeswar Mahadev Temple Swayambhu Shivling Tapkeswar Mahadev
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ