રાજ્યોના દૂર-સૂદૂર અને આંતરિયાળ વિસ્તારો સુધી મિષન ઇન્દ્રધનુષ ઝુંબેશ પહોંચે તે દિશામાં લોકભાગીદારીથી કામગીરી હાથ ધરવા તમામ રાજ્યોને મંત્રી મનસુખભાઇ માંડવિયાએ અનુરોધ કર્યો છે. મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત અપાતી વિવિધ પ્રકારની રસીની બુંદ બુંદ લાભાર્થીઓને જીવનઉપયોગી બનીને આરોગમ્ય બનાવશે તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.
કોરોના મહામારી વચ્ચે 170 કરોડ કોરોના રસીકરણ સાથે ભારત દેશે સમગ્ર વિશ્વમાં સહિયારા પ્રયાસોનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. આજે વિશ્વના અન્ય દેશો ભારતના કોરોના રસીકરણ મહાઅભિયાનની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.
સગર્ભા બહેનો અને નવજાત બાળકોમાં ઘાતક રોગોનું જોખમ અટકાવવાની પ્રાથમિકતા સાથે માન. કેન્દ્રીય મંત્રીશ્રી @mansukhmandviya જી દ્વારા આજે ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં શુભારંભ કરવામાં આવેલા મિશન ઇન્દ્રધનુષ 4.0ના અન્વયે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ ઝુંબેશમાં જોડાવવાનો અવસર મળ્યો. pic.twitter.com/LvfgbfTIw3
90 ટકા થી વધુ લોકો સુધી રસીનો લાભ પહોંચાડવાનો દ્રઢ નિર્ધાર
એક સર્વેનો સંદર્ભ ટાંકતા કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું કે વર્ષ 2014 અગાઉ વિવિધ પ્રકારની રસીનું પ્રમાણ 43 ટકા હતું જે આજે દેશભરમાં 76 ટકા સુધી પહોંચ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આરંભેલા મિશન ઇન્દ્રધનુષમાં દેશના 90 ટકા થી વધુ લોકો સુધી રસીનો લાભ પહોંચાડવાનો દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો છે. જેને પરિપૂર્ણ કરવા કેન્દ્રીય આરોગ્ય વિભાગ દેશના અન્ય રાજ્યોના સહિયારા પ્રયાસો સાથે કટિબધ્ધ છે તેમ મનસુખભાઇ એ જણાવ્યું હતુ.
નાગરિકોને શું મળશે લાભ?
ગુજરાતમાં આરંભ થયેલ મિશન ઇન્દ્રધનુષ 4.0. ત્રણ તબક્કામાં 7 ફેબ્રુઆરી, 7 મી માર્ચ અને 4 એપ્રિલ ના રોજ કાર્યરત કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓમાં સગર્ભા બહેનો અને બાળકોને આવરી લઇ આરોગ્ય સંલગ્ન વિવિધ રસીઓ આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ધનુર, ઝેરી કમળો, પોલિયો, ક્ષય, ડીપ્થેરીયા, ઉટાટીયુ, હીબ બેક્ટેરિયાથી થતા ન્યુમોનિયા તેમજ મગજનો તાવ જેવા રોગો અને ઓરી , રૂબેલા જેવા ધાતક રોગો સામે પ્રતિરોધક રસી આપવામાં આવશે.
શું છે સમગ્ર કાર્યક્રમ ?
બે વર્ષથી નાની ઉમરના બાળકો અને રાજ્યની સગર્ભા બહેનોને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાનો છે. બે વર્ષથી વધુ ઉમરના બાળકોને પણ કોઈ પણ રસીકરણ સેશન પર રસીકરણ સેવાઓ પૂરી પાડવાનો આ રસીકરણ અભિયાનનો ઉદ્દેશ છે. અત્રે નોંધનીય છે કે, રાજયમાં અગાઉ મિશન ઇન્દ્રધનુષના ૨૦૧૫ થી ૨૦૨૧ દરમ્યાન સફળ અમલીકરણ કરવામાં આવેલ છે. આ દરમ્યાન કુલ 9,61,380 બાળકો અને 2,05,925 સગર્ભા સ્ત્રીઓને 1,94,193 વધારાના રસીકરણ/મમતા સેશનનું આયોજન કરી રસીકરણ સેવાઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.