શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની મહત્વની જાહેરાત, શિક્ષકો માટે આગામી 6 મેના રોજ બદલી કેમ્પનું કરાશે આયોજન.
ગુજરાતના શિક્ષકો માટે મોટા સમાચાર
6 મેના રોજ કરાશે બદલી કેમ્પનું આયોજન
રાજ્યના 10 લાખ કરતા વધુ પરિવારોને મળશે રાહત
ગુજરાત સરકાર દ્વારા સતત પ્રજાલક્ષી અને સરકારી કર્મચારીઓના હિતમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકોની બદલી કેમ્પને લઈને મહત્વની જાહેરાત કરી છે.
કોર્ટની કાર્યવાહીને કારણે અટકી પ્રક્રિયા
જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, શિક્ષક પતિ-પત્નીના કિસ્સાઓમાં સરકારે રાહત આપી હતી અને વતન શબ્દ દૂર કરવાની માંગણી પણ સરકારે સ્વીકારી હતી. તો એમપણ કહ્યું કે,કોર્ટના હુકમો પણ સરકારે ધ્યાને રાખવાના હોય છે અને કોર્ટની કાર્યવાહીને લઇ શિક્ષકોની બદલીની પ્રક્રિયા અટકી હતી. સમગ્ર મામલે અમે અલગ-અલગ વિભાગની ફાઇલો મંગાવી હતી અને આગામી સમયગાળામાં તેનો ઉકેલ લાવીશું.
6 મેના રોજ શિક્ષકો માટે યોજાશે બદલી કેમ્પ
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આગામી 6 મેના રોજ શિક્ષકોની બદલી માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં જિલ્લા ફેરબદલી અને અરસ પરસનો સમય ગાળો 7 દિવસનો રહેશે. તો આ સાથે જ શિક્ષકે કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું રહેશે નહીં.
10 લાખ કરતા વધુ પરિવારજનોને ફાયદો
જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું કે, બદલી કેમ્પના આયોજનથી રાજ્યના 10 લાખ કરતા વધુ શિક્ષક પરિવારજનોને ફાયદો થશે. તો બદલી કેમ્પમાં કરાયેલ શિક્ષકોની બદલી આગામી 20 મે સુધીમાં કરાશે.